આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

Post a Comment

2 Comments

Thank you for your comment!