Showing posts with label gujarat. Show all posts

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે.

સમૂહ લગ્ન:
  • વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે. 
  • મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે. 
  • મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે. 
  • સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે. 

આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (NGO), ધનિક ઉધ્યોગપતિઓ અને જ્ઞાતિસમૂહો આ પ્રથા અપનાવી લેશે. સાદાઈથી લગ્ન કરવા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે તો ખૂબ જ યોગ્ય છે. લગ્નમાં પૈસાના ધુમાડો કરી દીધા પછી આખી જિંદગી દેવને કારણે દુઃખી થવામાં કે પોતાની જમીન વેચીને આવક ગુમાવવામાં કોઈ મહાનતા નથી,મૂર્ખાઈ છે. સમાજે ફરજિયાત અમલ કરવાના આદેશ બહાર પાડવો જોઈએ- જેથી તેનો ચોક્કસ અમલ થાય છે.

સુધારા માંગતા મુદ્દાઓ વિચારીએ.

આમંત્રણ પત્રિકા અને આમંત્રણની રીત:

મોંઘીદાટ કંકોત્રી છપાવવાથી આમંત્રિત કોઈ રીતે પ્રભાવિત થતો નથી- અને અઢળક નાણાવ્યય થાય છે.

રૂબરૂમાં આમંત્રણ આપવાની વિધિઓ ત્રાસ જેમણે સહન કર્યો હોય તે જ જાણે. મુંબઈથી અમદાવાદ કે બીજા રાજ્યમાં રહેતા સંબંધીઓને રૂબરૂ આમંત્રણ આપવું ખરેખર ત્રાસદાયક થાય છે. જે સ્નેહી છે- જે ખરા સંબંધી- મિત્રો છે- તે લગ્નમાં આવવાના જ છે.

લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયામાં વોટ્સએપ (WhatsApp) દ્વારા આપી ફોનથી આમંત્રણ પાકું કરવું ખૂબ સહેલું અને યોગ્ય છે.

વરઘોડો:

જાહેર માર્ગને અવરોધતો, ટ્રાફિકનું રોકાણ અને ત્રાસ ફેલાવતો, ફટાકડા દ્વારા હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ કરતા વરઘોડો કાઢીને આપણે શું સાબિત કરીએ છીએ? વળી ડી. જે. નો ઘોંઘાટ બહેરાશ ન આવે તો જ નવાઈ- વરઘોડો સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય છે.



ભોજન સમારંભ:

પચાસથી વધારે મદ્રાસી, પંજાબી, ચાઈનીઝ, વિવિધઆઈસ્ક્રીમો સરબતો સુપો સાથેનું ભોજન પીરસવામાં કોઈ મહાનતા નથી- એ દ્વારા અન્નનો અસહ્ય બગાડ અને ખાનારના પાચનતંત્રને નુકસાન સિવાય છે શું? વળી બુફે પ્રથામાં લોકો દ્વારા ભીડમાં બીજીવાર ન જવાની આળસ ને કારણે લીધેલુંવધારે પડતું ભોજન પૂરું કેવી રીતે કરવું શક્ય છે?

ઔરંગાબાદ જૈન સમાજે લીધેલ નિર્ણય મુજબ લગ્નમાં છ થી વધારે વાનગીઓ હોય તો ફક્ત વર કન્યાને આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું. અગ્રવાલ સમાજેપણ આ પ્રથાને અનુમોદન આપ્યું છે, આર્થિક સંપન્ન બંને સમાજો આ કરતા હોય છે તો, આપણે તેનું અનુકરણ ચોક્કસ કરવું જ રહ્યું.

લગ્ન ગમે એટલા મોટા હોય પણ લોકો તેને યાદ રાખતા નથી. ખર્ચાળ-ભભકાવાળા લગ્ન કરવા બદલ કોઈને એવોર્ડ મળતો નથી- લગ્ન એ સંસ્કાર છે. અહીં પરસ્પરને વચન બધ્ધ કરી જીવનભર સાથે રહી, અનુકૂલન સાધી, બે કુટુંબમાંથી આવેલ વર-કન્યાના મિલન દ્વારા વંશવૃદ્ધિનો હેતુ ધરાવતો વિધિ છે-

રાસ-ગરબા, સંગીત-સધ્યા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પ્રી-વેડિંગ શૂટિંગ, બ્યુટી-પાર્લર,મહેંદી અને પીઠી ચોળવાની વિધિ

​સંગીતસંધ્યામાં આવતા ઓરકેસ્ટ્રાનું બિલ, વર-કન્યા,બંને માબાપ, ભાઈ ભાભી વગેરેને મહીના સુધી પ્રેક્ટિસ કરાવી કરાવતા ડાન્સ અને રાસ-ગરબાનો પ્રસંગ શું સાબિત કરે છે?કંઈ-નહીં, કોઈ ખાસ આનંદ મળતો દેખાતો નથી – ઊલટાનુંઅભદ્ર પ્રદર્શન પણ બિનજરૂરી રીતે થતું હોય છે. ખર્ચ તો વળી ત્રણ ચાર લાખ રૂપિયાનો થઈ જાય છે.

ફોટોગ્રાફી – વિડિયો:

કેટલા આલ્બમ કે વિડીયો ઘરના સભ્યો નિયમિત રીતે જુવે છે. કદાચ એકપણ વાર આલ્બમ કે વિડીયો ન જોયો હોય એવા સભ્યો મળી આવે છે. વર્ષ પછી તો ક્યાં મૂક્યા છે તે પણ ઘણાને ધ્યાન પણ હોતું નથી.

પ્રિ-વેડ શૂટિંગમાં વર્ગ કન્યાને લગ્ન પહેલા એક કે બે દિવસ દૂરના સ્થળે હોટેલમાં લઈ જઈ પિક્ચરના ગીત પ્રમાણે ડાન્સ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે. નવા ખરીદેલા ચાર-પાંચ કે વધારે ડ્રેસ બદલાવી ફોટોગ્રાફી કરતાં હોય છે.ઉપરાંત લગ્ન પહેલાનું એકાંત કેટલું નુકસાનકર્તા હોઈ શકે તે તૂટેલા લગ્નવાળાને જ ખબર પડે. ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી અનેફોટોગ્રાફીની વિધિમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચીને કઈ મળતું નથી!

બ્યુટી પાર્લર:

લગ્નના બે દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર થતી ઘણીબધી સ્ત્રીઓ લગભગ પાંચ-છ કલાક ન બગાડે તો જ નવાઈ.ઘણીવાર તો આ કારણે લગ્ન અને બીજી વિધિઓ પણ ખોરવાતી હોય છે. બ્યુટી પાર્લરના આઠ દસ કલાકારોની ફોજ પછી દોઢ બે લાખ રૂપિયા ન લે તો જ નવાઈ. આજ વાત મહેંદીની એક સાંજ માટે કહી શકાય.

આમ બધી વિગતોનો કુલ ખર્ચ, બધા લોકોના ત્રણ-ચાર દિવસના રોકાણનો ખર્ચ અને તેમને નોકરી ધંધામાં થતું નુકસાન અને દોડાદોડી-ત્રાસના હિસાબ નિરાંતે માંડવા જેવો છે.

વિચારો, આમ લગ્નમાં થતો ખર્ચ રોકવાથી થયેલીબચત ભવિષ્યમાં વર- કન્યાને, બંને પક્ષના મા-બાપોને અને ભાઈ-બહેનોને માંદગીસમયે, અભ્યાસમાં કે બીજી કોઈ જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

ખરેખર વધારે પૈસા હોય તો, સમાજ સેવામાં દાનમાં વાપરી શકાય.

ચાલો. નીચે મુજબ સમાજ દ્વારા નિયમો નક્કી કરી તેનું પાલન કરીએ.

  1. લગ્નમાં બંને પક્ષના મળીને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લેવો જોઈએ તેટલા જ તમારા અંગત સ્નેહીઓ હોય છે.બાકીના તો?
  2. આમંત્રણ ફોનથી અને મોબાઈલમાં whatsapp દ્વારા આપી શકાય. 
  3. એક જ દિવસ લગ્નવિધિ ચાલવું જોઈએ. 
  4. ભોજનમાં વધુમાં વધુ છ વાનગી પીરસવું જોઈએ. 
  5. સમૂહ લગ્નમાં આયોજનોમાં જોડાવું જોઈએ. 

ચાલો, સુધારાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ તો કેવું?


ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૨૧/૦૪/૨૦૨૪

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો. 


એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો લેતા ફક્ત રૂપિયા ૫૦૦૦ થી ૧૧,૦૦૦ સુધી લગ્નવિધિ સમયે સોની પાસે વજન કરાવીને પુરાવજનનું સોનું ઉઘરાવતા તે વાત આજે કદાચ માનવામાં ન આવે, પરંતુ તે વાંકડાની નામોશી ત્યારે હકીકત હતી.

લેવડદેવડની ચર્ચા અને સમજૂતી લગ્ન નક્કી કરવાની પ્રથમ વિધિ ચાંદલા સમયે કરાતી અને આ બાબતોનો બંને પક્ષની અને બે સાક્ષીઓની સહીવાળા કાગળનું લખાણ કરાવવામાં આવતું.

ચાંદલા વિધિ સમયે લાલ પેનથી લખાતું કરારનામું:


શ્રી ગણેશાય નમઃ


વિક્રમ સંવત ___________ના__________ મહિનાના કૃષ્ણ/શુક્લ પક્ષની તિથિ અને વારે_________ સમયે આ લખાણ કરવામાં આવે છે.

કુ. _______________,  ________________ ની પુત્રી______________ ગામ___________ તાલુકા__________ જિલ્લાની રહેવાસીનો ચાંદલો કુ. _________,  _________ ના પુત્ર_________ ગામ_________ તાલુકા___________ જિલ્લાના રહેવાસી સાથે નક્કી કર્યા તે ચાંદલા દરમ્યાન નીચે મુજબની આપ-લેની ખાત્રી કરી છે. જેનો અમલ થતાં લગ્નની વિધિ પૂર્ણ કરીશું.

૧) હળદર ૬૨૫ ગ્રામ (સવા સેર)

૨) પાન – Betel-nuts _____ ગ્રામ 

૩) રોકડ વાંકડો _______ રૂપિયા (આશરે રૂપિયા ૫૦૦૦૦ સુધી)

૪) સોનાના ઘરેણાં ___________ તોલા (આશરે ૫ થી ૫૦ તોલા સુધી)

૫) પહેરામણી – પુત્રીની માતાને _______ રૂપિયા 

૬) શાલ _______ અને સાડી ________ સ્થિતિ પ્રમાણે શોભે તેવી.

૭) આ ઉપરાંત પ્રસંગને આનુષંગિક ઘરઘામણમાં આપવાની વસ્તુઓ વાસણો- ટેબલ, ખુરશી વિગેરેની યાદી.

૮) વરયાત્રામાં આવેલા _______ વ્યક્તિઓને ભોજન – ચા નાસ્તો

૯) નોંધ: ઉપરોક્ત યાદી ઉપરાંત રોકડવદા, સુવાવડનો ખર્ચ, જાનખર્ચ, વાહનખર્ચ અને વાજાવાળાનો, સુવાવડ શેતરંગી ખર્ચ મજરે આપવાનો રેહશે. 

ઉપરોક્ત લેવડ દેવડ વાંકડાના આવેજ રૂપે __________ રૂપિયા આજ રોજ આપીએ છીએ.



સહી:                                              

કન્યાપક્ષ પિતા        __________________

વરપક્ષ પિતા         __________________



સાક્ષીની સહી:                                             

૧)         __________________

૨)         __________________
  

        


લગ્ન પહેલા આ લેખિત કરારનો સખ્તાઈથી અમલ કરવા કરાવાતો. વાંકડો (રોકડ પૈસા), ઘરેણાં(સોના અને ચાંદીના), ઘરઘામણને નામે ઘરવખરીની બધી જ વસ્તુઓ- વાસણો -ફર્નિચર ઉઘરાવતા વરપક્ષને કંઈ ખોટું કરવાની લાગણી થતી નહીં. ઓછી આવકવાળો ગરીબ સ્થિતિનો કન્યાનો બાપ આ વ્યવહાર દેવું કરીને કે પોતાની જમીન વેચીને નિભાવતો જોવામાં સમાજને કે સગા સંબંધીઓને કોઈ નાનમ કે સંકોચ થતો નહીં. આ ઉપરાંત સગા સંબંધીએ કે મિત્ર મંડળ દ્વારા આપેલ રોકડ ભેટ, સોનું કે વસ્તુ કન્યાને સાસરે પહોંચાડવાની રહેતી.

વાત એટલેથી પતતી હોય તો વાત અલગ છે, પણ લગ્નના બીજા દિવસે દસીયાની વદા- ત્રણ ખાવાં-દિવાળીમાં દીવા મૂકવા- પ્રસુતિ સમયનો ખર્ચ- દર વર્ષે કન્યાના કપડા નો ખર્ચ અને કન્યાના મરણ સમયે લાકડાનો ખર્ચ કન્યા પક્ષે જ કરવાનો કુરિવાજ હતો. વર્ષ દરમિયાન ગમે ત્યારે પિયર આવેલી કન્યા સાસરે ખાલી હાથે ન જતાં પૂરી, વડા અને લાડવા અચૂક લઈ જતી

અને સમયનું ચક્ર ફરે છે- તેમ વખત જતા કન્યાની સંખ્યા ઘટતાં ઉપરાંત કન્યાનું ભણતર અને આવક વધતાં અને વરપક્ષની લાયકાત કન્યા ની સરખામણીએ ઘટતા, ઉપરોક્ત બધા જ રિવાજો મોટા ભાગે અદ્રશ્ય થયા- વરપક્ષેહવે વગર વાંકડે- વગર સોનાએ અને વગર ઘરઘામણે લગ્ન કરવા ફરજિયાત સંમતિ આપવી જ પડે છે- અરે, કન્યા પક્ષનો લગ્નનો ખર્ચો પણ વરપક્ષ આપવાની ગરજ બતાવતા જોવા મળે છે. છતાં છોકરાઓ (દેખાવડા, કમાતા, ભણેલા અને વ્યસન મુક્ત હોવાછતાં) મોટી સંખ્યામાં કુવારા રહી જતા જોવા મળે છે. 

સમય સમયની વાત છે.



ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૧/૦૪/૨૦૨૪

અનાવિલોની દશા અને દિશા

લેખક: સુરેશ દેસાઇ, નવસારી

અનાવિલ બુધ્ધિશાળી જ્ઞાતિ છે એ નિ:શંક વાત છે. એની આ બુધ્ધિમતા વારસાગત છે. જો કે અનાવિલોનો વંશકાળ ચોક્કસ નથી. બ્રિટીશ શાસનમાં અનાવિલ જ્ઞાતિનું નામ ચમકતું થયું. બીજી જ્ઞાતિઓને રાવસાહેબ કે રાવબહાદુરનો સરપાવ મળતો હતો એમ અનાવિલોને ‘દેસાઇગીરી‘ મળી. બસો વર્ષ પહેલાં ‘દેસાઇઓ‘ ગણ્યાગાંઠ્યા હતા. બીજા અનાવિલો નાયક,મહેતા,વશી તરીકે ઓળખાતા. દેસાઇઓ એટલે સામાન્ય રીતે મોટા જમીનદાર ! અંગ્રેજો કે મરાઠા માટે જે મહેસુલ ઉઘરાવતા એને એમની મહેનતના બદલામાં મોટી જમીન આપવામાં આવતી. આ મોટી જમીનમાંથી થોડી જમીન દેસાઇઓ એમના સગાંવહાલાંઓને આપતા. એ બધા પછીથી પોતાને દેસાઇ કહેવડાવતા. આમ તો અનાવિલોની ઉત્પતિને રામ રાજ્ય સાથે જોડવામાં આવે છે પણ મોગલ કાળમાં કે એ પહેલાં દેસાઇઓનો ઉલ્લેખ જોવા મળતો નથી.

દેસાઇઓ ગોરા, ઊંચા અને બોલકણા હોવાથી બીજી જ્ઞાતિઓથી જૂદા પડતા. અંગ્રેજોની જેમ દેસાઇઓને પણ હુકમ કરવાનું ગમતું હોવાથી ગામની ‘પટેલગીરી‘ એ હોંશેહોંશે સ્વીકારતા. શિક્ષણ પ્રત્યે અનાવિલોને રૂચિ હતી અને શિક્ષણ દીકરાઓ પૂરતું મર્યાદિત નહી રાખતાં દીકરીઓને પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. જે અનાવિલોની ખેતીની આવક ઓછી હતી એ શિક્ષકનો વ્યવસાય સ્વીકારતા અને પોતાના સંતાનો અને ગામના અનાવિલોના સંતાનો પણ શિક્ષણ લે એવી પ્રથા એમણે પાડી હતી. શિક્ષક સિવાય રેલવે,તલાટી,કાપડ મિલોમાં પણ અનાવિલો નોકરી કરતા.

અનાવિલો ડાંગર, જુવાર, કપાસ, વાલ, મગ, દીવેલા, સીંગ વગેરેની ખેતી કરતા. શાકભાજીનો પાક લેવામાં મહેનત કરવી પડે એટલે એવા રોકડિયા પાકથી એ દૂર રહેતા. લગભગ દરેક અનાવિલને ત્યાં દૂઝાણુ(ગાયભેંસ) રહેતું અને એમાંથી રોજીંદો ખર્ચ નીકળી જતો. જેમાં બહુ મહેનત ના કરવી પડે અને મજૂરો પાસે કામ કરાવી શકાય એવા પાક લેવાનું અનાવિલો પસંદ કરતા. કેરીનો પાક લેવાનું તો પાછળી ચાલુ થયું. અનાવિલો હળપતિઓ પાસે ખેતી કરાવતા એટલે હળપતિઓ સાથે અનાવિલોના માલિક-મજુરના સબધ બંધાયા જે હજુ સુધી ટકી રહ્યા છે.

અનાવિલો ઘર અને જમીન વેચીને શહેરમાં રહેવા આવી ગયા એનાં કારણો જાણવાં જરૂરી છે.બીજા પાસે ખેતી કરાવતા હોવાથી અનાવિલોને ખેતીના ફાયદા સમજાયા નહીં. વધુ ઉત્પાદન અને વધુ આવક આપતા પાકની ખેતી કરવાનું અનાવિલો આળસુ હોવાથી એમને સૂઝ્યું નહીં. સ્વભાવે અનાવિલો આરામપ્રિય રહ્યા છે. આવશ્યકતાથી વધુ મેળવવાનો એમના સ્વભાવમાં નહોતું, અને જો મળે એ ખોટા ખર્ચ કરીને ઉડાવી દેવાતું. જમીન વેચવાનું મોટું કારણ જમીનની પહેલાં નહીં સાંભળેલી કિંમત હતું. ૧ વિઘું જમીનની આટલી કિંમત અનાવિલોએ પહેલાં કદી સાંભળી નહોતી. બીજું કારણ મહત્તમ અનાવિલ ખેડૂતો પાસે પાંચ વિઘાંથી વધારે જમીન નહોતી. ભાઇઓ વચ્ચે જમીન વહેંચાવાથી ઓછી થતી જતી હતી. આટલી જમીનમાંથી લેવાતા પાકમાંથી મળતી આવક પર્યાપ્ત નહોતી થતી. મોજશોખ કરવાનો તો પ્રશ્ન જ નહોતો. જમીનના આટલા ભાવ આવતાં અનાવિલોએ જમીન વેચવા કાઢી. જમીનની જે રકમ આવી એમાંથી શહેરમાં ઘર લઇને વધેલી રકમ બેંક/પોસ્ટમાં મૂકી.લગભગ વાડીગામો અને ચોર્યાસી અને ઓલપાડ તાલુકાને બાદ કરતાં ૭૦% અનાવિલો શહેરમાં રહેવા આવી ગયા. ૨૪ કલાક વીજળી, સિનેમા,નાટક, ટીવી, હૉટલોમાં નાસ્તો અને સાંજે જમવાનું, અંગ્રેજી ભણતર,રાજકારણ –આ બધાં કારણો ગામો તૂટી જવાના કારણો બન્યાં. દક્ષિણ ગુજરાતમાંથી કણબીઓ જમીનજાગીર છોડીને અમેરિકા જતા રહ્યા એ રીતે અનાવિલો પણ ગામ છોડીને શહેરમાં જતા રહ્યા. શહેરોમાં જઇ વસેલો અનાવિલ કામવિહોણો બની ગયો.યુવાનો દિશાહીન બન્યા, લગભગ બધા અનાવિલ યુવાનો ગ્રેજ્યુએટ તો છે જ, પણ ગ્રેજ્યુએટને નોકરી મળવાનું હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે શું કરવું એ પ્રશ્ન બની ગયો છે.

અનાવિલોની અત્યારની સ્થિતિ જોઇએ તો લગભગ ૧૫% અનાવિલો વરીષ્ઠ નાગરિકો છે. ૨૦% ૩૫ વર્ષથી ૫૫ વર્ષના આધેડ કે પ્રૌઢ અનાવિલો છે. અનાવિલોની કુલ બે લાખની વસતિમાં ૧% ડૉક્ટર, ૨% એડવૉકેટ,સી.એ,ટ્યુટર વગેરે ૪% એન્જિનિયર, ૨% શિક્ષકો, ૫% વ્યવસાયિકો, ૪% વિદેશમાં વસતા અનાવિલો, ૩૦% ખેડૂતો, ૧૦% નોકરિયાતો(બેંકો,વીમા કંપનીઓ,પ્રાઇવેટ અને લીમીટેડ કંપનીઓ) થોડા બેકારો અને ગૃહિણીઓ છે. ૫% અનાવિલોને બાદ કરતાં બધા સામાન્ય સ્થિતિના છે. અનાવિલોની આર્થિક સ્થિતિ ધીમેધીમે બગડતી જાય છે.


લગ્ન,જનોઇ, ધાર્મિક વિધિઓ પાછળ અનાવિલો મોટા ખર્ચ કરતા થયા છે. યજ્ઞોપવિતની વિધિ બિલકુલ અર્થહીન હોવા છતાં પરંપરાના નામે હજુ વળગી રહ્યા છે.સંતાનોના ઇન્ટરકાસ્ટ મેરેજને અનાવિલો ખુશીથી સ્વીકારે છે. અનાવિલો પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હોવાનું કહેવાય છે પણ મૃત્યુ પછી યોજાતી શ્રાધ્ધ વિધિને હજુ વળગી રહ્યા છે.મેડીક્લેઇમ જરૂરી હોવા છતાં એનાથી અળગા રહે છે.ગરબા અનાવિલોની સંસ્કૃતિ છે અને ગરબાને અનાવિલો વળગી રહ્યા છે.શિવરાત્રિ,રામનવમી વગેરે તહેવારો ઉજવે છે પણ દિવાળીમાં ફટાકડાનો ખર્ચ,સાથિયા,મિષ્ટાન્ન, ભાઇબીજ વગરેનું ચલણ ઓછું થઇ ગયું છે. લગ્નો હજુ પણ સમયસર-મુર્હુત પ્રમાણે યોજાતાં નથી અને ડીજે પર જુવાનિયાઓ અને સ્ત્રીઓ કલાકો સુધી નાચતા રહે છે.

અનાવિલોએ પ્રિવેડીંગ ફોટોશુટ અને લગ્ન પહેલાં દીકરીને સાસરે રહેવા મોકલવા જેવી જોખમી પ્રથાને અપનાવી લીધી છે.દક્ષિણ ગુજરાતના દરેક નાનામોટા શહેરોમાં અનાવિલ મંડળો હોવા છતાં લગ્નપ્રથામાં સુધારા કરવા બાબતે કોઇ વિચાર થતો નથી. અનાવિલ મંડળોમાં સક્રીય સભ્યોની સંખ્યા ખૂબ અલ્પ પ્રમાણમાં છે.ગરબા ઉત્સવમાં હજારો યુવકયુવતી અને આધેડ વયના અનાવિલો ભેગા થાય છે પણ એ સિવાય સામાજિક કાર્યોમાં કોઇને રસ નથી પડતો.અનાવિલ મંડળો રચનાત્મક પ્રવૃતિઓના અભાવે નિષ્ક્રીય બની જાય છે

અનાવિલો હજુ પણ આડંબરી છે. આડંબરી હોવાના કારણે એમને કોઇની આગેવાની સ્વીકાર્ય નથી હોતી. આડંબર,તોછડાઇ ઉપરાંત હોશાતોશી અને અદેખાઇ અનાવિલોના લોહીમાં વહે છે.બહુ ઓછી બાબતોમાં અનાવિલો વચ્ચે સહમતિ સધાતી હોય છે. અનાવિલોને સંગઠિત કરવાનું સરળ છે પણ એમને સક્રીય કરવાનું કામ કઠણ છે. વાદવિવાદ,પોતે જ ખરા હોવાની મમત, જીદ,પદ લાલસા અનાવિલોનો મૂળગત સ્વભાવ છે.રાજકારણમાં અનાવિલોને રસ છે પણ એમનો ત્યાં કોઇ ભાવ નથી પૂછાતો.બહુ નાની સંખ્યા હોય એવી જ્ઞાતિઓ સંપીલી હોવાના કારણે આગળ નીકળી જાય છે અને અનાવિલો પાછળ રહી જાય છે.

અનાવિલોને ભૂતકાળ નડે છે. ભૂતકાળમાં અનાવિલની સામાજિક પ્રતિષ્ઠા હતી, જમીનદારી હતી,શિક્ષણ હતું, મહત્વનાં સ્થાનો ઉપર પદ શોભાવતા હતા,રીતિરિવાજોમાં અગ્રસર હતા,શિક્ષણ અને ખેતીના અભાવે બીજી જ્ઞાતિઓ આર્થિક રીતે પાછળ હતી ત્યારે અનાવિલો ખાધેપીધે સુખી હતા.પણ આળસ,અહંકાર, તોછડાઇ અને સામાજિક બદલાવ સાથે એડજસ્ટમેન્ટ સાધવાની અનીચ્છાએ અનાવિલો પાછળ પડતા ગયા.

અનાવિલોએ પોતાની જ્ઞાતિને વિકાસના પંથે લઇ જવાના ઉપાયો વિચારવા જોઇએ.


લેખક સુરેશભાઈના બીજા લેખો 

[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન

“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન 
ગણદેવી તાલુકા સીનિયર સિટિજન વેલફેર ટ્રસ્ટ ખાતે ડૉ. ભરતચંદ્ર દેસાઈનું પ્રવચન



નસિંહ મેહતા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!

મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો.

સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે

સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે.

આપણી સૌની કમનસીબી એ છે કે આપણામાના, આપણી વચ્ચેના કે આપણા સાથી એવા પોતાના મહાન વ્યક્તિત્વ-જિનિયસ-ને એમના જીવનકાળ દરમિયાન ઓળખી શક્તા નથી કે વખાણતા નથી તો નરસિંહ મહેતા તેમા કેવી રીતે અપવાદ હોય?

ભક્તકવિ નરસિંહ મહેતા
  • “આદિકવિ”
  • “નરસૈયો”
  • જન્મ: 1414 તળાજા( ભાવનગર) ​
  • મરણ: 1481 માંગરોળ (જુનાગઢ)
  • પિતા: કૃષ્ણદાસ મહેતા
  • જાતિ: નાગર બ્રાહ્મણ
  • આઠ વર્ષે માતા પિતાનું અવસાન. ઉછેર- દાદી જય ગૌરી
  • લગ્ન: 1429 
  • ​પત્ની: માણેકબાઇ

કૃતિઓ
  • કુંવરબાઈનું મામેરુ
  • શામળશા નો વિવાહ 
  • ભક્તિ પદો
  • હિંડોળા 
  • પ્રભાતિયા 

પંક્તિઓ
વૈષ્ણવજન તો તેને રે કહીએ
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
ભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.

નરસિંહ મહેતા એવોર્ડ: ઈ.સ. 1999 થી શરૂ આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આશ્રેષ્ઠ કવિઓને આપવામાં આવે છે.



નરસિંહ મહેતાની કવિતાઓ સાત ભાગોમાં વહેંચી શકાય.
  1. પુત્ર શામળશાના વિવાહના પદો
  2. પુત્રી કુંવરબાઈનું મામેરૂના પદો
  3. હૂંડીના પદો
  4. હરિ પદો
  5. સુદામાચરિત્ર
  6. કૃષ્ણ પ્રેમ ક્રીડાના પદો
  7. ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદો
નરસિંહ મહેતાની કવિત્વશક્તિ અને ભક્તિ પ્રચૂરતાને અલગ તારવી શકાય નહીં.ભક્તિના સોપાનો ચઢીને જ્ઞાનની ઊંચાઈએ પહોંચેલા કવિ અનુભવેલા અનન્ય દર્શનો જનભોગ્ય વાણીમાં, શબ્દભંડોળનું વૈવિધ્ય છતાં સરળ ભાષામાં વ્યક્ત કરવામાં ભારે સફળતા મેળવી છે.

નરસિંહ મુખ્યત્વે ભક્ત છે, અને એનું કવિત્વ આનુંષગીક છે. તેમની કવિતા મુખ્યત્વે સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. તેથી તેઓ મહાન કવિ છે અને સમગ્ર ગુજરાતી સાહિત્ય તેમને લીધે ઉજળું છે. (અનંતરાય રાવળ)

પ્રેમભક્તિનું અલૌકીક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે. એ સાથે જ નરસિંહની પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે- આ મહાન ઘટના ખરેખર વિરલ છે. (ઉમાશંકર જોશી)

આપણે વિશ્વશાંતિની વાતો કરીએ છીએ, તેનો આરંભ ગૃહશાંતિથી કરવો પડશે. જો આપણે નરસિંહ મહેતાના પ્રેમભર્યા અને સાચી સમજણ આપતા કીર્તનોથી આપણા સંતાનોને સુવાડીશું અને તેમના પ્રભાતિયાની મધુર પદાવલીથી જગાડશું, તો ગૃહશાંતિ ચોક્કસ થશે અને આ ગૃહ શાંતિથી પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં શાંતિ પ્રસરશે. વિશ્વશાંતિ બીજું શું છે?(ધનસુખલાલ સાવલિયા)

નરસિંહના વિવિધ પદોમાં ઈશ્વરરહસ્યવાદ, આત્મરહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યનાઅંશો પ્રગટે છે. એટલે કે નરસિંહ ગુજરાતી કવિતાના પ્રથમ ઊર્મિ કવિ છે, સાથે સાથે એ ગુજરાતી કવિતાના સમર્થ અને પ્રથમ રહસ્યવાદી કવિ પણ છે. તેથી, તેમની રચનામાં ગુઢઅનુભવની રજૂઆત ઘણી સહજ, સરળ અને વેધક રીતે થઈ છે. (રાજેન્દ્રસિંહ રાયજાદા)

રચના: ૧
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫

તત્વચિંતન અને ભક્તિભાવની જુગલબંધી મારો નરસૈયો જ કરી શકે. ભગવાન, તારા સ્વરૂપો ભલે બદલાય, પણ છેલ્લે તો તું એક જ છે. વૃક્ષોમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.... આ એકદમ મોટી વાત આપણને કેટલી સરળતાથી સમજાવી દીધી. એમની શ્રદ્ધા-ખાતરી-વિશ્વાસ જુઓ છેલ્લે કહે છે પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.

રચના :૨ 
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫

ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરવા શબ્દો શોધવાની મથામણ આપણે કરવી પડે, નરસિંહ મહેતાએ નહીં! ભગવાન પામવાની ચાવી બતાવતા કહે છે.... જડ અને ચેતન રસ કરી જાણવો,પકડી પ્રેમ સજીવન મુળી..... નેત્ર વિણ નીરખવો, રૂપવિણ પરખવો વણજીવ્હાએ રસ સરસ પીવો. ભગવાન અને આપણો કવિ નરસિંહ અલગ નથી તેઓ દર્શન કરે છે અને કરાવે છે...જુઓ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝુલે


રચના: ૩

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;

મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.

શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?

શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?

શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?

શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?

એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.

સાધનાની વિવિધ રીતોની તત્વદર્શન કર્યા સિવાયની નિરર્થકતા જેવી ગુઢ વાત સાદીરીતે તેઓ જ કહી શકે.

રચના:૪

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.

મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;

રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.

વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.

આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે

આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!



સંદર્ભ:
૧) શબ્દવેદ: નરસિંહ મહેતાની સમગ્ર કવિતા સંકલન: ઉર્વીશ વસાવડા 
૨) જનકલ્યાણ: ઓગસ્ટ 23 નરસિંહ મહેતા આધ્યકવિ: લે. ડૉ. અંજની મહેતા

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.


તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.



ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.

હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.

ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.


ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.



માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.


ઘેરીયા દ્વારા ગવાતા ગીતો

“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!

પ્રવેશ સમયનું ગીત:

કિયાતે ઝાંપાને કેવી ઝાંપલી રે,
મગનભાઇના મોલ બતાવે રે

ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.

લગ્નમાં ઘેરીયા ગીત:

ઘોડીએ ચડ્યા ભીલો ભીલ “હમરેક મોરચા”

હમરેખ= એય સાંભળે છે કે?
મોરચા= બાળક, બચ્ચા

પારણું: સંતાન પ્રાપ્તિ માટે, ખોળો ભરવા કે નાના બાળને ઝુલાવવાના ગીતો

“વાવલીએ વધ્યા રે ગોરી ના પેટ જો નવમે માસે જનમીયા બાળ ગોપાળજો”

માતાના ગરબા:

મા પાવા તે ગઢથી ઉતર્યા માં
માનો ગરબો રે રમતો રાજને દરબાર


વાસંતી ઘેર

નર્મદા જિલ્લામાં નાંદોદ, ઝઘડિયા અને નેત્રંગ વિભાગમાં સુરત-વલસાડ જિલ્લા જેવા જ નૃત્યો પુરુષ હળપતિઓ કરે છે પરંતુ, નાંદોદના દક્ષિણ ભાગે ડેડીયાપાડા અને બેડવાણ પંથકમાં સ્ત્રી પુરુષો સંયુક્ત ઘેર બનાવી પોતાની રસ રુચિ પ્રમાણે વસ્ત્રાલંકાર પહેરી એકબીજાની કેડે કે ખભે હાથ બાથ લઈને ભેરુ બાંધો કરીને વર્તુળાકારે સર્પાકારે કે અનિયમિત આકારોમાં ઘેર રમે છે. અહીં દાંડિયા નથી પણ પશુઓની માફક ઠેકડા મારી કે વિવિધ ચાળાઓમાં ઘેરીયા નૃત્ય કરે છે. આ નૃત્ય હોળી દરમિયાન ભજવાય છે.

ઘેરીયા

દક્ષિણ ગુજરાતનાં હળપતિઓ દ્વારા યોજાતા ઘેરીયા નૃત્યમાં થતી ઘેરમા જોડાવાની શરતો:
  • એક માસનું બ્રહ્મચર્ય
  • માંસ-મદિરા ત્યાગ
  • સંયમિત આચાર સંહિતા
  • માતૃભક્તિ માતૃશક્તિની આરાધના
  • “હા રે હા”નું કોરસ, ઘુઘરાનો રણકાર, પુરુષ દ્વારા સ્ત્રીનો પહેરવેશ
  • બધાનું મિશ્રણ ધરાવતું, માતાની આરાધના માટે દક્ષિણ ગુજરાતના હળપતિઓની ભક્તિનૃત્ય ધરાવતું આદિવાસી નૃત્ય


આયોજન

  • ઘેર બાંધવાનો હળપતિ કોમ દ્વારા નિર્ણય
  • ૨૦-૨૫ ઘેરીયાઓની પસંદગી
  • નૃત્યના વિવિધ પ્રકારના પાત્રોની વરણી
  • એક મહિના માતાજી આરાધના-બ્રહ્મચર્ય-માંસાહાર-મદિરા ત્યાગ અને પ્રેક્ટિસ

લોકવાયકા

ઘણી બધી વાયકાઓ છે તેમાંથી બે:
  1. લીલારાણી નામની રાણીને યુવાન રાઠોડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. રાણીએ તેને પામવા ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ રાણીને પ્રસન્ન થઈ ને ઘેરીયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યુ હતું. આ ઘેરીયા રાસની યાદ માં ઘેરીયા રાસ રમાય છે.
  2. પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કરીને લોકોનું ધર્માંતરણ કરાવતા ધર્માંતરણથી બચવા રાઠોડ પાવૈયાનો વેશ ધારણ કરી ઘેરીયા નૃત્ય કરતા છટકી ગયા. ત્યારથી ઘેરીયા નૃત્ય પરંપરા ચાલુ થઈ.




પહેરવેશ

અર્ધનારી વેશ: ઘેરીયા નૃત્યમાં વેશમાં મહિલાઓનો વેશ અને શૈલી પુરુષોનો એવું સંયોજન હોય છે.
  1. ત્રણ સાડીનો વેશ: એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી સાડી કમરના ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભા ઉપર બાંધેલા હોય છે ત્રીજી સાડી કમરની નીચે ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરાય છે.
  2. શણગાર: કંઠમાં મણકા અને મોતીની ગળામાં ગલગોટાનો હાર, પગમાં બૂટ-મોજા, કમરે ઘૂઘરા , કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણીયા, હોઠે લાલી ઉપરાંત ગોગલ્સ. એક હાથમાં મોરપીંછ નો ઝૂડો- બીજા હાથમાં દાંડીયો




ઘેરીયા કલાકારો
  • ઘેરીયો:  એક હાથમાં બાવળ કે શીસમનો દાંડીયો અને બીજા હાથે મોરપીંછનો ઝૂડો- રમત રમનાર અને નૃત્ય કરનાર.
  • કવિયો: વેશ પુરુષનો (ઘેર મંડળીના નેતા): ખમીસ, બંડી કે કોટ, માથે સાફો કે ફેટો. એક હાથમાં મોરપીંછ નો જુડો બીજા હાથમાં છત્રી.
  • પ્રસંગ પ્રમાણે ગીત ગવડાવનાર કવિયો ઘેરીયાઓને રમાડે તે નાયક-માર્ગદર્શક.
  • ગભાણીયો: ઘેરીયાઓને સાજ-સજ્જ કરી તૈયાર કરનાર.
  • વાધ્યવાદકો: થાળી વાળો, મંજીરા વાળો, ખંજરી વાળો અને તબલચી કે ઢોલક વાળો
  • બગલી વાળો: લાંબી લાકડીવાળો- લાકડીના ઉપરના છેડે ખમીશ કે બંડી રૂપે ડગલી લટકાવીને વસ્ત્રદાન માંગે છે. બગલીવાળો ઘેરને નજર લગતા રોકે છે.
  • ઘોડી વાળો: જોકર: લોકોનું મનોરંજન કરનાર લાકડી ઉપર લાકડાના ઘોડાનું માથું લઈને ઘોડેસવારી કરતો હોય તેમ ઘેરની ફરતે ફરી લોકોને હસાવનાર.
  • તરકટિયો: તરકટ કરીને લોકોને હસાવનાર
  • કાળી બિલાડી બનેલ ઘેરીયો: બિલાડી નો વેશ, શરીર ઉપર કાળો રંગ ચોપડીને પાછળ પૂંછડી લગાવી બિલાડી બનનાર ઘરમાં જઈને ભૂત પ્રેત ઘરમાંથી ભગાવનારી પરંપરા નિભાવે છે.


આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.





સંદર્ભ:
  1. પુસ્તક: ઘેરીયા નૃત્ય અને ગીતો: પ્રિ. ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
  2. લેખ: ગુજરાત ૨૦૭૯ પેજ:૭૪ : ઘેરીયા: અજય મો. નાયક, પત્રકાર
  3. અશોકભાઇ પટેલ, પત્રકાર, ગણદેવી

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૧૮/૧૧/૨૦૨૩

ગુજરાત રાજયમાં ધાર્મિક વ્યવહારો

ધર્મ બાબતે સૌ નાગરિકો ખાસ સંવેદનશીલ હોય છે અને પોતાના ધર્મની ગરિમા જળવાય રહે તે માટે ખાસ સક્રિય હોય છે. તેથી પોતાના ધર્મની મહાનતા સિદ્ધ કરવા તત્પર અને સક્રિય રીતે પ્રયત્નશીલ હોય છે. એટલે ઈસ્લામ – ખ્રિસ્તી – જરથોસ્તી કે હિન્દુ ધર્મની કોઈ સરખામણી શક્ય નથી. દરેક ધર્મ પોતાની રીતે અને પોતાની માન્યતા મુજબ મહાન છે.

હિન્દુ ધર્મમાં આસ્થા ધરાવનાર ગુજરાતમાં બહુમતી ધરાવે છે - ત્યારે તકલીફ સૌ હિન્દુઓની એકતાનો અભાવ છે. ઘણા બધા ભગવાનો શિવ - માતાઓ (અંબિકા, ઉમિયા, ચામુંડા, સરસ્વતી, લક્ષ્મી, વિગેરે) - શ્રી ક્રુષ્ણ - રાધા, શ્રી રામ - સીતા છે. રામાયણ, ચાર વેદો, મહાભારત, ભગવદ્દગીતા જેવા ધર્મગ્રંથો છે. આથી દરેકમાંથી કોઈ એક ભગવાન કે કોઈ એક ધર્મગ્રંથ પ્રત્યે વધારે આસ્થા હોવાથી એકરૂપતા નથી. આ બાબતે સૌએ સાથે મળીને સક્રિય બની એકતા લાવવી અનિવાર્ય છે. આ અશક્ય નથી.

હિન્દુઓ બુદ્ધિશાળી અને વિચારશીલ હોવાથી પોતે ધર્મનો અર્થ સમજી અને પોતાની રીતે ધાર્મિક જીવન જીવવા સક્ષમ હોવા છતાં વિવિધ વિચારશરણી અને આચાર શીખવતા ગુરુઓનું અનુસરણ કરવાની તેમને વધારે ફાવટ છે. એટલે ધર્મગુરૂઓ પોતાનો રસ્તો માનતા ઘણાબધા લોકોને ભેગા કરી વિશિષ્ટ આચરણ-માન્યતાઓ વાળો એક વિશાળ સંપ્રદાય બનાવે છે.

શ્રી રામ શર્મા પ્રેરિત ગાયત્રી પરિવાર, શ્રી દયાનંદ સરસ્વતી દ્વારા સ્થાપિત આર્યસમાજ, શ્રી પાંડુરંગ આઠવલેનો સ્વાધ્યાય પરિવાર, શ્રી શ્રી રવિશંકર દ્વારા ચલાવાતો “આર્ટ ઓફ લિવિંગ” (Art of Living), સત્ય સાંઈ બાબા પરિવાર, શિવબાળા સ્થાપિત પ્રજાપિતા બ્રહમાકુમારી પરિવાર, હરે રામ હરે ક્રુષ્ણ (ISKCON) ઇસ્કોન માર્ગ જેવા અહીં આપેલ અસંખ્ય વિચાર પ્રવાહો ગુજરાતમાં સક્રિય રીતે ચાલે છે.

૧. ગુજરાતમાં વિવિધ ધર્મો:
  1. હિન્દુ ધર્મ: સનાતન ધર્મ (વૈદિક ધર્મ)
    • જૈન: શ્વેતાંબર , દિગંબર , સ્થાનકવાસી , વિસા પંથી , તેરા પંથી
    • બૌદ્ધ ધર્મ : હીનયાન, મહાયાન
    • શીખ ધર્મ
  2. ઈસ્લામ: સુન્ની, શિયા, વહોરા, પિરાણા (હિન્દુ મુસ્લિમ મિશ્ર)
  3. ખ્રિસ્તી ધર્મ: કેથલિક , પ્રોટેસ્ટંટ
  4. જરથોસ્તી ધર્મ
  5. બહાઈ ધર્મ - જગતમાં એકજ ધર્મ છે અને જગતમાં એક જ ઈશ્વર છે.

Photo Courtesy: ndtv.com

૨. હિન્દુ ધર્મના તેંત્રિસ કોટીમાંથી મુખ્ય ભગવાનો:
  • શિવ: 12 જ્યોતિલિંગો - શિવ – પાર્વતિ
  • શક્તિ માતા: અંબિકા, ઉમિયા, ભદ્રકાલી, ખોડિયાર, હરસિદ્ધ, ચામુંડા, સરસ્વતી, કમલા
  • શ્રી રામ-સીતા
  • શ્રી કૃષ્ણ-રાધા

૩. ગુજરાતમાં ચાલતા સંપ્રદાયો:

  • વૈષ્ણવ – શ્રી કૃષ્ણ ભક્ત
  • પુષ્ટિ માર્ગ – શ્રી કૃષ્ણ
  • સ્વામિ નારાયણ સંપ્રદાય
  • રાધા સ્વામી
  • શ્રી રામ શર્મા – ગાયત્રી પરિવાર
  • સંતોષી મા
  • દશા મા
  • સ્માર્ત સંપ્રદાય – શિવ ભક્તિ
  • (નાના-મોટાના ભેદભાવ વગર સૌને પ્રણામ કરતો) શ્રી ક્રુષ્ણ પ્રણામી સંપ્રદાય
  • આર્ટ ઓફ લિવિંગ - શ્રી શ્રી રવિશંકર
  • શ્રી રંગ અવધૂત પરિવાર
  • કુબેર પંથ - સારસા ઉપરાંત ડેરા મંદિરો
  • રામદેવ પીર - રેણુજા
  • સત્ય સાઈ બાબા
  • આર્ય સમાજ - સ્વામી દયાનંદ સરસ્વતી
  • ઓશો – રજનીશ

  • આનંદમયી મા સંઘ
  • શ્રી અરવિંદ કેન્દ્રો
  • ચિન્મયાનંદ મિશન
  • સદ્વિચાર પરિવાર - સંત પુનિત મહારાજ
  • સ્વાધ્યાય મંડળ - પાંડુરંગ આઠવલે
  • અક્રમ વિજ્ઞાન - દાદા ભગવાન
  • કબીર પંથ - સંત કબીર
  • ISKCON
  • રામકૃષ્ણ મિશન
  • દિવ્યજીવન સંઘ – શિવાનંદ
  • રાધા વલ્લભ સંપ્રદાય
  • ઉદાસી સંપ્રદાય
  • પૂજ્ય મોટાની સંસ્થા
  • શિરડી - સાઈ બાબા
  • બ્રહ્મો સમાજ
  • પ્રજાપિતા બ્રહ્મા કુમારી
  • અહીં આ ધાર્મિક પ્રવુતિની માહિતી આપી ટીકા કરવાનો કોઈ ઉપક્રમ નથી. પરંતુ આવા માર્ગે જવાથી હિન્દુ એકતા જોખમાય છે એવું લાગે છે. આસ્તિક અને નાસ્તિક વર્ગીકરણ પ્રમાણે આ વર્ગ આસ્તિક જ ગણાય છે - પણ દરેક ફાંટામાં માનનાર વિશાળવર્ગ પોતાની મહાનતા સ્થાપિત કરવાના કારણે કદાચ બીજી વિચારશરણી ધરાવતા વર્ગોથી જુદો પડે છે.

    “વિવિધતામાં એકતા” સૂત્ર ખોટું નથી – છેલ્લે તો આ બધા હિન્દુઓ જ છે એમ કહેવું અર્ધસત્ય છે. શ્રી શ્રી રવિશંકર, શ્રી અરવિંદ, શ્રી રામ શર્મા કે સત્ય સાઈ બાબા જેવા ઘણા બધા વિચારકોના શિષ્યો વેશભૂષા–આચરણ–ધાર્મિક વલણો અને ઉત્સવો જુદી–જુદી રીતે ઉજવે છે. આમ કદાચ ધર્મમાં વિવિધ ફાંટા–ભાગલા પડે છે.

    ભગવાને દરેક મનુષ્યને બુધ્ધિ શક્તિ, વિવેક અને વિચાર સાથે મોકલ્યો છે. ત્યારે પોતાનો જીવનમાર્ગ જાતે જ નક્કી કરી શકાય અને તે માટે ગુરૂ બનાવવું કે ખોટા વિધિવિધાન જરૂરી નથી.

    આ ખોટી ઘેલછા નથી તો શું? શ્રધ્ધાળુઓ, ભક્તો, આસ્તિકોનું ઝૂંડ દલીલ, શંકા, ટીકા, સવાલ વગર, આંખ બંધ કરી, બુધ્ધિ બંધ કરી ગુરૂ જે કહે તે સ્વીકારવા તૈયાર હોય તો ધર્મોના વેપારીઓ ન વધે તો શું?
    રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતા ન જોખમાય એવું કઈ “સર્વસ્વીકાર્ય” ધાર્મિક સરખું (Uniform) વલણ જરૂરી નથી શું?


    ડો. ભરત દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

    માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

    ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


    ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

    માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

    ગુજરાતી ભાષામાં વાતચીત

    પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

    આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

    માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

    - બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

    હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

    પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

    આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

    તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


    ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
    લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

    આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

    કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

    પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

    ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

    અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

    ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

    મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

    આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
    1. વૈદિકસંસ્કૃત
    2. લૌકિકસંસ્કૃત
    3. પ્રાકૃત
    4. અપભ્રંશ
    5. ગૌર્જરઅપભ્રંશ
    6. જૂની ગુજરાતી
    7. મધ્યકાલીન ગુજરાતી
    8. અર્વાચીન ગુજરાતી
    આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

    ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

    માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
    લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

    સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
    મળી માતૃભાષા મને ગુજરાતી...
    - ઉમાશંકર જોષી 

    એવી ગુજરાતી ભાષાને વંદન.

    જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

    પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
    “જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

    પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

    મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

    મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

    “બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

    અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

    પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

    એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

    માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

    માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

    માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

    માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

    યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

    માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

    તા. ૨૧-૦૨-૨૦૨૨ 
    ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
    +91 2634 284 620

    ગોધરાકાંડ ૨૦૦૨

    ૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

    મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


     ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

    પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

    બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

    ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

    અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

    બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

    અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

    નરોડા પાટિયા, અમદાવાદ

    નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
    • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
    • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
    • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
    • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
    • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
    ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

    ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

    મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
    • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
    • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
    ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
    • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
    • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
    આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

    મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

    હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

    પંચમહાલ જિલ્લાના રણધીપુર

    ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

    બેસ્ટ બેકરી, વડોદરા

    વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
    ‘આ ખોટું થયું.’
    ‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
    અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

    ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?

    Prime Minister Visits Saputara

    Prime Minister Narendra Modi is fond of touring all around India and the world. Now, when a VVIP of his stature visits a place, security personnel don't allow others to be around. The place would become deserted and reserved for him only. So was the case when we - Dr Vijaybhai Desai, his wife Minaben, my wife Dr Bhavana, and I - visited Saputara last weekend on 19-21 March 2021. The whole place was appearing reserved for us - because almost all the hotels, restaurants, and tourist sightseeing places were empty, without many people around, making us experience a VIP status - something rare to find.

    Family Reunion 2021

    My daughter-in-law Shivani has seen many family get-togethers during the last decade at her paternal home town - Dungri. So she wanted a similar gathering with the family in Bilimora. We four i.e. Bhavana, Vaishali, Rahul, and I were reluctant to hold one without any cause. Ultimately, we thought of trying this at least once, and so we decided to hold our Sharada Mohan family's first "Family Reunion" on 24-25 January 2021, Sunday-Monday.

    A family is a unit of people formed naturally by brothers and sisters of the same parents. A family can be extended by adding uncles and aunts (Kaka, Fui, Mama, Masi) with their offspring. Thus, a family comprises the people who love and support the members in good and bad times.

    We tried to meet for two days and one night thinking it would be enough time - neither too short nor dragged. Yes,  we were happy and enjoyed ourselves all the while.

    To finalise the venue, we initially Anaval Shukleshwar Dham and Saidham, Majigam. The cleanliness and furnishing of the rooms, the interiors, and the area outside at Saidham appealed to us. We just booked the rooms and started searching for the caterer. Maheshbhai Raval, chairman of the Saidham suggested Umesh from Gandevi. We finalised the menu with the timetable and ordered it accordingly. We invited all the members to confirm their presence and all replied accordingly.


    For reasons unknown to us, our bond of family was not strong enough and emotional attachment was appearing weak. But to our pleasant surprise, we were found wrong. In two days, togetherness melts all the ice of wrong prejudices and misbeliefs. 

    Get set and go! 

    On Sunday morning, nearly all gathered at the venue before 10:00. They had a long journey of 390 km from Pune, 350 km from Ahmedabad, and 200 km from Mumbai to reach the venue.

    We thought we would play, chat, eat, and enjoy all the available time. To our pleasure, the same could be done! Our family comprises the elderly averaging mid-60s, the young generation at 40s and children around 5-10 years of age. The youngest being at 5 and the eldest at 76! All of them mixed together to play the games like cricket, saat thikari (સાત ઠીંકરી), badminton, housie, musical chair, pass-the-ball game. I will say - 'seeing is believing'! Because the words can not describe the details and experience. During the game of cricket, a lady at 70 was running fast to take the runs! Everybody wanted to win the housie game. So not getting the required numbers and desired result was making them unhappy, even angry and very chirpy. It got loud in the calm late night in the temple campus. But that only reenergised everyone to play for longer.

    While playing saat thikari, cracking down the seven stones piled up and then getting the members of the opposite team out was never easy. All were excited and enjoying. Same with the musical chair and pass-the-ball games! The challenging games brought out the competitive spirit in all.


    Food: The arranged meals such that at regular two hours' intervals some food was served. Breakfasts, three Gujarati Thalis, and a non-stop serving of tea-coffee made the show. The menu was of Anavil taste including walnut halva (અખરોટનો હલવો), shrikhand (શ્રીખંડ), and jalebi (જલેબી) as sweets; Jalaram sev-khaman (સેવ ખમણ), upama (ઉપમા), undhiyu (ઉંધીયું), banana-methi pakoda (કેળા-મેથીના પકોડા), batata-vada (બટાકા વડા) as farsaan (ફરસાણ) with two vegetables and rice-daal to complete the menu. All loved moong shaak (મગનું શાક) and hot fried puris (પુરી) for the breakfast on the last morning. The concluding event was high tea! Tea-coffee with biscuits and home-made chocolates Vaishali had prepared.


    We had a nice jogging track of about a kilometre to walk around the pond full of greenery with lotus flowers all around. Most of us went for a walk there with ones' own group and enjoyed the sunrise and/or sunset as a bonus! Only lucky people get a chance of long walks in nature these days.


     The meeting - getting together - is itself a great pleasure. Just imagine a family gathering without any agenda and just with the desire to be with one another. 

    We could realise that being together itself creates great emotions of love, respect and brotherhood.  Just talking without subject and making a presence at the sight gives a sense of well-being, happiness and satisfaction. 

    At the end of the day, we have learnt to keep meeting again and again. Our craving to be together again at the earliest has begun!


    --Map directions to Sai Dham, Majigam

    Three Decades Of My Nomadic Experience

    I recently read the novel "Pyramid of Virgin Dreams" by Vipul Mitra. He affectionately described the pains and pleasures of multiple transfers because of his father’s job as DSP and later himself as an IAS officer. While reading it occurred to me, I have had a similar life of changing a place many times nearly every alternate year. So why not narrate my story and the article is here!
    A nomad means someone who lives by travelling from place to place - moving around all the while.
    I was a nomad for the initial 28 years of my life, staying and studying at more than 15 places. A year or two and change of the place again! 

    ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને

    અનાવિલ સમાજનો પરિચય
    • વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે.
    • અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે.
    આપણો ઈતિહાસ
    1. આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ.
    2. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે.
    3. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેના રાજા અનાવિલ હતા. જેના આપણે વંશજો છીએ. બૌદ્ધ ધર્મના લોકોને વૈદિક ધર્મ પ્રત્યે તિરસ્કાર હોવાથી તેમણે ભીલ લોકોનો સાથ લઈ વાંસિયાભીલ સાથે મળી આપણે યજ્ઞકાર્ય માં વ્યસ્ત હતા ત્યારે યુદ્ધમાં હરાવ્યા હતા. 1186 માં અનાવિલ રાજા સંમધર વશીએ પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની મદદથી વાંસિયા ભીલને હરાવ્યો હતો પછી તેને રાજયમાં રસ ન હોવાથી રાજપૂત રાજાઓને સોપ્યું હતું જે વાંસદા રાજ્ય તરીકે ઓળખાતું હતું.
    સતીમાતા મંદિર

    ગણદેવીના 400 વર્ષથી પ્રખ્યાત અનંત વશી પરિવારના ગોપાળજી દેસાઈના પુત્રી ઈચ્છાબેને પતિના મૃત્યુબાદ તેમની ચિતા ઉપર બેસી અગ્નિસ્નાન કર્યું હતું. સતી બન્યા છે અનાવિલ સમાજના “ગણદેવી ના દેસાઈજી પરિવારે” એકમાત્ર સતીની યાદમાં એક મંદિર બનાવ્યું છે તેમના પરિવારની ટેકરી ઉપર તળાવકિનારે ગણદેવી ચાર રસ્તા ખાતે એમને યાદકરીને પ્રણામ-સન્માન પાઠવવા દર વર્ષે કાળીચૌદશે ત્યાં મેળો ભરાય છે.

    મામાદેવ મંદિર, પૂણી

    ધાડપાડુઓથી બહેનને બચાવવા અને ચોરોને લૂંટતા રોકવા પૂણી ખાતે યુવાઓની મદદથી અનાવિલે ધાડપાડુઓનો સફળ સામનો કરી બહેનને લૂંટાતી બચાવી હતી પણ ભાઈ આ પ્રસંગે મૃત્યુ પામ્યો હતો. તેની યાદમાં પૂણી ખાતે આ “મામાદેવ મંદિર” આવેલ છે.

    સુરત

    તમને જાણીને નવાઈ લાગશે પણ સુરતમાં અનાવિલો છવાયેલા હતા. મોટાભાગની સુરતની જમીન અનાવિલોની માલીકીની હતી. તેમણે અનાવિલ વસ્તીવાળા ફળિયાઓ જેને પરાં કહેતા તે વસાવ્યા હતા.

    નં અનાવિલ નામ જમીન પરાનું નામ
    1 સગરામ વશી 20 એકર સગરામપુરા
    2 રઘુનાથ ઉર્ફે રઘનાથ 46 એકર રઘુનાથપુરા
    3 રામભાઈ 47 એકર રામપરા
    4 હરિભાઈ હરિપુરા
    5 રૂદ્રજી રુદ્રપુરા
    6 મહિધર 57 એકર મહિધરપુરા
    7 સામજી સામપરા
    8 ગોપી નાયક ગોપીપુરા
    9 ઈંદરજી 25 એકર ઈંદરપુરા

    અનાવિલો રાજયમાં સત્તા અને ધનવાળા હોવાથી ઉપરાંત અજાચક પૈસા ન લેનાર હોવાથી “બાદશાહ” કહેવાતા.

    મહાનુભાવો

    અનાવિલ સમાજના દરેક વ્યક્તિ મહાન એટલે અનાવિલ મહાનુભાવો એટલે ફક્ત મોરારજી દેસાઈ, ભૂલાભાઈ દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, કે ડી.એ.દેસાઈ નહિ અનાવિલ સમાજનો એકેક વ્યક્તિ આપસૌ મહાનુભાવો.


    અનાવિલ સમાજના વારસાગત લક્ષણો (Genetic Characters)

    અનાવિલ એટલે હોંશિયાર
    Clever
    ખુલ્લા દિલના
    Frank
    સહનશક્તિવાળા
    Tolerant
    શાંત
    Quiet
    આનંદી
    Cheerful
    વૈભવી જીવન ચાહકો
    Luxury Loving
    નેતા
    Leader
    વહીવટકર્તા
    Administrator

    આ બધા સાથે બે મુખ્ય લક્ષણો એટલે આપવડાઈ અને હમ સચ્ચાઈ.
    1. આપવડાઈ: (Superiority complex  - thinking of oneself to be the greatest) આપડવાઈ એટલે હું સર્વશ્રેષ્ઠ એટલું જ નહિ, મારાથી વધારે ઊંચાઈએ કોઈ નહિ, દુનિયામાં સૌથી મહાન એટલે હું. દરેક અનાવિલના આ લક્ષણે આપણી એકતાને રોકી છે.
    2. હમ સચ્ચાઈ: (Whatever I say is the final truth and my truth is the only truth - no arguments.) હું જે કહું તે જ સાચ્ચું કોઈ વાદવિવાદ નહિ. હું કહું તેમ જ કરો એવો આગ્રહ તે હમ સચ્ચાઈ.
    આપણી મહાન જાતિ અનાવિલમાં થોડા સુધારા કરવાની જરૂર છે. ચોકકસ આપણે મહાન છીએ જ.


    Related articles:
    Anavils - An Endangered Community
    More Anavil articles

    Image courtesy: bruhadanavil.org

    Kankaria Carnival, Flower Show And Ahmedabad

    25-Dec-2017 onwards, I had talked with my friend Anilbhai Desai on phone two-three times. Every time, he mentioned the worthiness of seeing Kankaria Carnival and invited us. But I was resistant to go. On 30-Dec-2017, while talking with Jayshreeben Desai, she also invited and insisted to visit Ahmedabad. So, my wife Bhavana and I accepted the invitation. In fact, when we need to face young generation people, we avoid out of fear of difference and generation gap. Even visiting close relatives and friends is not that pleasing nowadays, and so we avoid as far as possible. I had sufficiently interacted with Anilbhai's son – Darshan and his wife Shalu, so I could be little courageous to decide for the visit.

    Janki Van – A Nature Retreat

    If you want to be alone to be with nature, it is an ideal spot. But if you enjoy crowds with your group this is an equally important place to visit.

    42 km from Bilimora on Vansda Road, we reached Janki Van in less than an hour. Dr Nayana Patel, Dr Bhavana Desai (my wife) and I visited the place impromptu on a weekday.


    The name Janki is related to Sita Mata of Ramayana and it is believed that at a certain point in the history, Sita Mata did stay here. The garden, a great picnic spot (16 hectors big), is situated 5 km away from Vansda, 6 km from Unai and 42 km from Bilimora. It is developed by the Gujarat Forestry Department under social forestry action and was inaugurated on 02-Aug-2015 while celebrating the Forest Day. Please, keep in mind it remains closed on Monday and visiting hours are 10:00 am to 5:00 pm.

    My Awakening Of The Great Indian Tribal Hospitality

    An  Adivasi girl Sangita at Nahari Hotel, Pangarbari (near Wilson Hills, Gujarat) teaches us the Indian culture and way of welcoming guests!

    On 15-Jun-2016, my friend Sanjay Mahant and I visited a scenic hill-station in South Gujarat – Wilson Hills (near Dharampur). We wandered during the noon enjoying the view of the hill-station and chitchatting. We just did not think of the time while experiencing the pleasing wind and nature.

    Rare Story Of A Charity School For Tribal Girls

    This is a rare story of how a person from Valsad (Gujarat) turned into someone serving Aadivasi (tribal) girls far away from his home in the interiors of the Dharampur forests.

    Naresh Ramanandi, my friend Sanjay Mahant’s brother-in-law, is a dedicated follower of Shri Rang Avadhoot Bapji of Nareshwar. Bapji once told I shall take rebirth as an Adivasi. So in search of Shri Avadhoot Bapji, Nareshji opted to reach this area and thought of some service activity.


    Fortuitous Visit To Wilson Hills

    It was a Thursday, otherwise a working day at my hospital, but I chose to declare it a holiday because my friend Sanjay Mahant and I asked each other to go for an event at Kanya Chhatralaya, Vagavad (near Dharampur, Gujarat). In turn, surprise visit to this hill-station materialised on 15-June-2016.

    One of the less visited hill-stations and waiting to be developed for tourist needs, this is one of the best hilly places I have ever seen. If you want to share nature in a less crowded, say lonely place, Wilson Hills is for you. This 2500 feet high place is 25 km away from Dharampur and 130 km from Surat. We can easily reach here by very good roads in the scenic Western Ghats.

    What nobody knows about this hill-station is, this is the only place 2500 feet high showing glimpse of the sea!


    Rahul & Shivani's Wedding

    Whatever smartness or intelligence one has, to anticipate the probable attitude of the future partner is difficult. So for the continuation of the marriage, adjustment and compromises are must, compulsory.



    One has to marry because the law does not allow man-woman physical relations at random and society has laid certain norms of man-woman staying together. Though liberate present-day scenario allows live-in relations and physical relationship without much fuss, marriages are unavoidable.

    Once decided to marry, the second question arising is the method – the technique of the wedding. How many persons to be invited, the place of the wedding, the menu and its preparation and the details of the function is the subject of this article.

    Anavils - An Endangered Community

    After Parsis, Anavils (Anavil Brahmins, અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why?

    Because,
       - they get married too late,
       - many are dying unmarried,
       - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth.

    So,
       The number of children per couple is either one or zero.
       It is certain that nothing can save this community from extinction - vanishing!
    Let me try to introduce this community.

    Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited.”

    British Government recognized Anavil as one with a sharp intellect and efficient administrator.

    Ambelal G Desai (Valsad), Author of a book on Anavils of South Gujarat, who studied Anavilism extensively, said: “By and large, the people of this area – Anavils – are clever, frank, tolerant, quiet, luxury-loving and cheerful. They are not prone to quarrel readily and are not found wanting in doing whatever could be achieved lawfully.” (Anavils of South Gujarat was published in 1969 in Gujarati, and translated in English by Harish Desai and Hakumat Desai in 1995)

    Captain Newport (1882) had personal and extensive contact with Anavils. He found Anavils as:
    1. Flattering and obedient
    2. On being questioned, they would hardly give a straight answer. They would either give the wrong answer prompted by selfish motives or feign ignorance.
    3. Best Farmers
    4. Smart and industrious
    5. Intelligent
    The settlement report (1868) with the British says:
    1. They are known for their tact and quarrelsome nature.
    2. They are firmly insistent on getting their viewpoint accepted.
    3. They are fond of litigation and fight with unusual tenacity for a tree, a piece of land, or for a confiscated right. Only death can end their dispute.
    4. They cannot be won over by arguments or negotiations. 
    I am adding my own impressions of Anavils being an Anavil one-self and staying amongst them for 64 years in two Hindi words: Aapvadai (Superiority complex) and Hamsachchai (My truth is the only truth).
    1. Superiority Complex: We (Anavils, that is) have inherited this virtue because of being “King" - the rulers. Each one of us considers him/herself "The Best" of all around and the most intelligent individual, whatever the real IQ level may be. This simple-looking virtue becomes bad to worse later when he/she progresses to consider all others inferior to him/her. The real problem starts here and because of this lack of respect for one another in particular and community, in general, cannot be expected. The unity amongst caste fellows is not to be dreamt of.
    2. My truth is the only truth: We are intelligent people and good administrators, but we dominate. Whatever one says is the only truth and it has to be followed by everyone. It is not optional nor there is any scope for correction or discussion. This nature has led to many poor relationships amongst each other and no fellow is available.
    From Prime Minister, Physician, and Pleader to Peon – Anavils are everywhere!

    We were living and belonging to South Gujarat (in India), from Kosamba in the north to Vapi towns within the south. 120 kilometers area between rivers Daman Ganga in the south to Kim in the north was inhabited in South Gujarat (India) by Anavils. Nowadays one can find an Anavil anywhere in any country in the world.


    You can find Anavils anywhere, say:
    Prime Minister of India, Morarji R Desai
    Chief Justice of India, Dhirubhai Desai
    Governor of the State (Andhra Pradesh), Khandubhai Desai
    Managing Director of L & T, Anil M Naik
    Physician to President of India, Dr Chhotubhai Naik
    Pleader, Bhulabhai Desai
    The list can never end until you fill all the important positions by Anavils. Let’s go deeper into history.

    History of Anavils

    The history of Anavils has deep roots. 5,000 years back, Anavils were brought to a village named Anaval  (then known as Anadipur) in South Gujarat from Ayodhya by Hanuman for doing Maha Yajña for Shri Rama who wanted to wash out the sin of killing King Ravana – a brahmin. They were Aryans migrated from Afghanistan.

    According to the Court poet Bhukhan of Chatrapati Shivaji Maharaj, the population of Anaulla (now known as Anavils) were staying at Magadh around Bihar. The ruler Anavil named "Putrak" married to Naga Kanya "Patli" and they constructed the capital city of their state "Patli-Putrak". He said, the great Chanakya, also known as Kautilya, was Anavil.

    After this great mission, these Brahmins labelled as Anavils became ruler of Kingdom Anaval. Anaval state had Vyara, Mahuva, Vansada and Chikhali talukas.

    Buddhists took the Bhil community in hand to have a war with Anavils under the leadership of Vansia Bhil. The Anavil king lost this war. Around 1186 AD, the Anavil king Samandhar Vashi won the war against Vansia Bhil with the help of Rajput King of Paatan, Siddharaj Jaisinh. But he lost interest in Kingdom and gave it to Rajputs. King Digvirandrasinh was the last Rajput ruler of this state, later named as Vansada state.
    Anavils were spread all around 300 villages of South Gujarat. I must tell about a few important ones with their relevant stories.
    • Anaval: Anaval is 60 km from Surat and Navsari having Shukleshwar Mahadev Temple on the bank of river Kaveri. It is considered to be the primary place of Anavil settlement in the region and Brahmins who resided here became famous as Anavil Brahmins (1932 Anaval Jagat). Anaval is our birth-place and Lord Rama had installed Lord Shukleshwar himself (1906  Vasanji Desai). Shri Kalidas (in Mukta Shastra) said Anaval was inhabited by Anavils and their marble decoration was comparable to Paris and Venice.
    • Surat: Majority of land was owned by Anavils. The credit for creation and growth of Surat city goes to Anavils. It was only Anavils, the active force in this District as it is in their names they formed different "Para" resided by a specific group of Anavils. Residents of Surat are using these names for described area till today.
    • Gandevi: "Desaiji Pedhi" of Anant Vashi is known for last 400 years. Their history is highly credit-worthy. I must tell you about the Sati Mata temple of Gandevi, situated on the bank of a pond at crossroads. The daughter of Gopalji Desai, Ichchhaben, had become "Sati" (dying on the cremation-fire of her husband). She was the first and the last Sati in Anavil community. In her memory, Desaiji family erected a temple. The people of faith go to pay obeisance to temple where a fare is held annually during festivals of Diwali.
    • Mamadev Temple of Puni: We can go on talking this and that, but I shall contain with this last story of Puni. An Anavil brother attacked robbers to protect his sister from being robbed. He attacked robbers successfully with the help of local youth but lost his own life in the pious duty of saving the sister and village from robbers. In his memory, the grateful people of Puni erected a temple "Mamadev Temple" seen till today.
    Anavils are a dynamic community ready to change for better and in the process, they have had multiple resolutions for social reforms regarding marriage, engagement, dowry, thread ceremony, death and condolence. 1868 Resolution, 1924 Kaliawadi Resolution, 1929 Puni Resolution and 1931 Paria (Taluka: Olpad) Anavil Samaj Sudharak Mandal to name a few.

    Gopi Naik Raso said, "The Anavil, instead of engaging himself in duties of a Brahmin, made politics dear and achieved bright success in it. He became the pillar of the state. Power and wealth were at his feet and he remained Ajachak (Non-acceptor) and a donor. Because of being non-acceptor and donor, he enjoyed a special position amongst the Brahmins. People respected him for his power and influence with the government. His generosity earned him the nickname of "Baadshah".

    With all these details, who would like this great community to vanish? The attempts to save them has to start at earliest before it is too late. In addition to Anavils themselves, the NGO and Government machinery should be active to stop their decrease in number.
    Timely marriage, early children (minimum two) and marriage among the same caste of Anavils are the minimum steps.
    Who will do this?
    Shall we start a commercial campaign to do all this?
    Or shall we start preparing museum of Anavils to show the extinguished species of Anavils?
    We cannot sit and relax...

    The facts and statistics in this article are based on the book Anavils of South Gujarat written by Ambelal Gopalji Desai (in Gujarati) and translated in English by Harish Desai and Hakumat Desai (1995), published by Harshad K Desai.


    ----------------------------------
    Have a look at the brief survey I conducted on Facebook.
    ----------------------------------



    ----------------------------------
    And the feedback I received.
    ----------------------------------