માતૃભાષા - વિશ્વ માતૃભાષા દિવસે...

માતૃભાષા એટલે બાળક ગર્ભમાં હોય ત્યારે, ધાવણ લેતો હોય ત્યારે અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે માતા દ્વારા બોલાતી ભાષા. માનવજીવનમાં માતાનું વિશેષ મહાત્મય દર્શાવાતું હોવાથી આ ભાષા – બોલવામાં, લખવામાં અને વ્યવહારમાં વપરાતી ભાષાને પિતૃભાષા ન કહેતાં – માતૃભાષા કહી છે.

ડો. નલિનીબેન ગીલીટવાળાએ આચાર્યશ્રી ડો. કલ્પેશભાઈ ટંડેલ અને પ્રો. ડો. શીતલબેન વસાવાના સહયોગથી શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા ખાતે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉજવણી કરવાનું આયોજન તા. ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૨ શુક્રવારે કર્યું. ઉત્સાહી અને ખંતીલા ડો. શીતલબેન વસાવાએ એમનું સર્વોત્તમ પ્રદાન આપી વિદ્યાર્થીઓને ગીતો-પ્રવચનો-વિવિધ એવોર્ડ અને લોકબોલી વિષયક તૈયારી કરાવી. એમ કહું કે પ્રશંસાના શબ્દો ઓછા પડે એવું લગભગ બે કલાકનું રસપ્રદ આયોજન કર્યું. વિદ્યાર્થી ઉજમાબેન ચોરાવાળા એ “માતૃભાષા–દૂધભાષા–હ્રદયની ભાષા” વિષય ઉપર અને હર્ષ પટેલે “ભાષાનો ઉદ્દભવ અને વિકાસ” વિષય રસપ્રદ અને માહિતીપ્રદ પ્રવચન આપ્યું. “ભાષા મારી ગુજરાતી છે” અને “જય જય ગરવી ગુજરાત” ગીતો સમૂહગીત તરીકે રજૂ કર્યા. ક્વિઝ દ્વારા ગુજરાતી ભાષાને લગતી પ્રશ્નોત્તરી દ્વારા જાણકારી આપી. ગુજરાતી બોલીઓ–કાઠિયાવાડી, ચરોતરી, ચૌધરી અને દક્ષિણ ગુજરાતની લોકબોલીઓનો લાક્ષણિક શૈલીમાં પરિચય કરાવ્યો. મેઘના ટંડેલે આપેલી એવોર્ડ વિષયક માહિતી જાણવા જેવી છે. ગુજરાતી ભાષા માટે રણજિતરામ સુવર્ણચંદ્રક, નરસિંહ મહેતા પુરસ્કાર, રમણભાઈ નીલકંઠ હાસ્ય પુરસ્કાર, નર્મદ સુવર્ણચંદ્રક,સાહિત્ય ગૌરવ પુરસ્કાર અને કુમાર ચંદ્રક એવોર્ડ દર વર્ષે વિવિધ સંસ્થાઓ દ્વારા અપાય છે. 


ગુજરાતી ભાષામાં પ્રાથમિક અભ્યાસ 

માતૃભાષાનું ગૌરવની ઉજવણી કરતી વખતે થોડું ઉદાસ થવાય તે અનોચિત નથી, કારણ કે વર્તમાનમાં માબાપો બાળકને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ ભણાવવું ફરજિયાત હોવાનું માને છે અને બાળક માતૃભાષા ન શીખે તો કોઈ નાનમ અનુભવતા નથી. ત્યારે ચાલો, એક આશાનું કિરણ “નવી શિક્ષણ નીતિ” દ્વારા દેખાયું છે. આ નીતિ મુજબ બાળકને ધોરણ પાંચ સુધીનું શિક્ષણ સમગ્ર ભારતદેશમાં પોતાની માતૃભાષામાં શીખવવું ફરજિયાત બનાવાયું છે. હકીકતમાં માતૃભાષામાં ભણતા બાળકનો નૈસર્ગિક વિકાસ સરળ અને ઉત્તમ કક્ષાનો થાય છે, તે ભૂલવા જેવુ નથી. કદાચ ગુલામી કે પછી પોતાની માતૃભાષા માટે ગૌરવનો અભાવ–અંગ્રેજી ભાષાને સર્વોત્તમ માનવા પ્રેરતો હોય તો નવાઈ નથી. 

ગુજરાતી ભાષામાં વાતચીત

પરસ્પર વાતચીત દરમ્યાન કે લખાણમાં વધારે પડતું અંગ્રેજી વાપરવાની ટેવને લીધે, ઘણીવાર આખું વાક્ય ક્યારેય શુદ્ધ ગુજરાતીમાં બોલાતું નથી. અરે, બે ગુજરાતી જાણનારા વ્યક્તિઓ પણ પરસ્પર અંગ્રેજીમાં વાત કરતાં હોય ત્યારે શું થાય ? પોતાની ભાષા માટે અભિમાનનો અભાવ – ગૌરવનો અભાવ અને અંગ્રેજી ભાષા વિષે ખોટો ઊંચો અભિપ્રાય સિવાય શું હોય શકે ?ગુજરાતી ન સમજતા–કે–ગુજરાતી લખાણ કે વાતચીત ન કરી શકતા બાળકો એ વર્તમાનની વિચિત્રતા જ નથી શું? ચાલો કંઈક સમજીએ.

આપણી માતૃભાષા લુપ્ત થતી ભાષાઓની યાદીમાંથી ક્યારે નીકળે? જ્યારે આપણે સૌ માતૃભાષા માટે ગૌરવ અનુભવીએ અને દૈનિક વ્યવહારમાં માતૃભાષા જ બોલીએ–લખીએ. 

માતૃભાષા ગુજરાતી ગમતું નથી – અને અંગ્રેજી આવડતું નથી પણ બોલવું છે.  

- બીરેન કોઠારી (‘ગુજરાતમિત્ર’ ૩-૩-૨૨)

હકીકતમાં અતિશુદ્ધ ભાષાનો ઉપયોગ અશક્યવત છે, કારણ આવા પાત્રો ઉપહાસને પાત્ર બને છે અને અતિશુદ્ધ ભાષામાં સંવાદ સાધવો ખરેખર મુશ્કેલ છે.

પ્રાંતવાર અને પેટા પ્રાંતવાર આપણે ત્યાં વિવિધતાવાળી અલગ અલગ ગુજરાતી ભાષાની તદ્દન જુદી પડતી બોલી ચલણમાં છે. જેને અન્ય બોલીવાળા લોકો ઉપહાસની નજરે જુએ છે. વર્તમાનમાં ગુજરાતીના ભોગે અંગ્રેજી અપનાવવાનો પ્રવાહ વધતો ચાલ્યો છે–અંગ્રેજી મિશ્રિત ગુજરાતી વર્ણશંકર ભાષા બની ચૂકી છે ત્યારે, શુદ્ધ ગુજરાતીનો સહજપણે ઉપયોગ કરવો જરૂરી છે. બાકી તો કોઈપણ ભાષા–પોતાના બળે જ–તકે છે, વિસ્તરે છે કે મૃત થાય છે. 

આપણો ધર્મ ગુજરાતીનો વ્યાપક ઉપયોગ કરવાનો છે, બાકી મૃત થવાની કે લુપ્ત થવાની ફિકર કરવાની કોઈ ફેર પડશે નહીં.

તો, ચાલો આપણે ગુજરાતી ભાષાનો ઉદભવ સમજીયે અને ત્યારબાદ માતૃભાષાનું મહત્વ જાણીએ.


ગુજરાતી ભાષાનો ઉદ્દભવ
લે. હર્ષ પટેલ, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

આપણી ગુજરાતી ભાષાએ ભારત યુરોપિયન પરિવારની છે. ઉત્તર ભારતની તથા યુરોપની લગભગ બધી જ ભાષા ભારત યુરોપિયન પરિવારની છે. આ પરિવારની મુખ્ય 10 શાખા છે : ગ્રીક, ઇટાલિક, કેન્ટિન, જર્મેનિક, સ્લાવોબાલ્ટિક,અર્મોનિયન, આલ્બેનિયમ, હિટ્ટાઈટ, તોબારી, ભારત, ઈરાની. આમાંથી આપણો સંબંધ ભારત ઇરાની સાથે છે. ઈ.સ.પૂર્વે 3500ની આજુબાજુ ભારત યુરોપિયન પરિવારના લોકો મધ્યએશિયા અને તેની આજુબાજુના પ્રદેશમાં રહેતા હતા. (બહુ મોટી સંખ્યામાં ફેલાયેલા)

કેટલાક કારણોસર સ્થળાંતર થતાં પરિવારનું વિભાજન થાય છે. તે સમયગાળો એટલે ઈ.સ. પૂર્વે ૨૦૦૦ની આસપાસસ્થળાંતર થતા કેટલાક લોકો યુરોપ તરફ, કેટલાક અન્ય દિશા તરફ અને કેટલાક ઈરાન તરફ પ્રયાણ કરે છે ઈરાનમાં થોડો સમય સ્થાઈ થાય છે. ઈ.સ. પુર્વે 1500ની આસપાસ કોઈ ધાર્મિક વૈમનસ્ય ઉભું થતા તેમાથી ઘણામોટા સમુહમાં લોકો ભારત તરફ પ્રયાણ કરે છે. આમ ભારત તરફ પ્રયાણ કરનાર આર્યોનો સમૂહ દેવપૂજક આર્યો તરીકે ઓળખાય છે.

પ્રાચીન ભારતીય આર્યોના સમયમાં ધર્મશાસ્ત્રોની ભાષા વૈદિક સંસ્કૃત હતી. તથા બોલચાલની ભાષા સંસ્કૃત હતી. સંસ્કૃત સાહિત્યની ભાષા બની, ત્યારે પ્રાકૃતિક બોલચાલની ભાષા બની.

ધીમેધીમે પ્રાકૃતમાં પણ સાહિત્યનું સર્જન થતું ગયું અને પ્રાકૃત ભાષા વિસ્તાર પામી અને અલગ-અલગ પ્રદેશમાં તે અલગ-અલગ નામે ઓળખાવા લાગી. તે અરસામાં બોલચાલની ભાષા અપભ્રશં અસ્તિત્વમાં આવી.

અહીંથી ગુજરાતી ભાષાનો અંશ અસ્તિત્વમાં આવ્યો એમ કહેવાય છે.

ગુજરાતી ભાષાનો ઉદભવ હેમચંદ્રાચાર્યના અપભ્રંશથી થયો. જેને હેમચંદ્રાચાર્ય શૌરસૈની અપભ્રંશ કહે છે.

મથુરામાં આશૌરસૈની અપભ્રંશનું ચલણ વિશેષ થતુ. સમય જતાં અને સ્થળ બદલાતાં ભાષાની ભિન્નતાઓ આકાર લેવા માંડી અને તે એટલી હદે કે તે એક જ અપભ્રંશમાંથી કાળક્રમે, આ અપભ્રંશ , વ્રજપ્રદેશમાં આભીર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલા ભાષા હિન્દી. રાજસ્થાનમાં મારુ અપભ્રંશ તેમાંથી ઉદભવેલ ભાષા રાજસ્થાની. ગુજરાતમાં નાગર / ગૌર્જર અપભ્રંશ, તેમાંથી ઉદભવેલ ભાષા ગુજરાતી.

આમ , ગુજરાતી ભાષાના ઉદભવના તબક્કા:
  1. વૈદિકસંસ્કૃત
  2. લૌકિકસંસ્કૃત
  3. પ્રાકૃત
  4. અપભ્રંશ
  5. ગૌર્જરઅપભ્રંશ
  6. જૂની ગુજરાતી
  7. મધ્યકાલીન ગુજરાતી
  8. અર્વાચીન ગુજરાતી
આમ, મૂળ ગુજરાતી ભાષા ભારત-યુરોપિયન પરિવારની છે. પ્રાચીન ભારતીય આર્યશાખાની છે. હાલની ગુજરાતી ભાષાના મૂળ ઋગ્વેદમાં જોવા મળે છે.

ગુજરાતી એવું નામ તેને ગુર્જર શબ્દ પરથી મળ્યુ. ગુર્જર લોકોનું વતન ગુજરાત અને તેઓની ભાષા એટલે ગુજરાતી.

માતૃભાષા-દૂધભાષા-હૃદયની ભાષા
લેખિકા: ઉઝમા ચોરાવાલા, શ્રીરંગ શિક્ષણ મહાવિદ્યાલય, બીલીમોરા

સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી...
મળી માતૃભાષા મને ગુજરાતી...
- ઉમાશંકર જોષી 

એવી ગુજરાતી ભાષાને વંદન.

જે ભાષામાં વિચારવાનું, લાગણીઓ અનુભવવાનું તેમજ વિચારો પ્રદર્શિત કરવાનું, બાળક શીખ્યું તે ભાષા એટલે ગુજરાતી ભાષા. ગુજરાતી ભાષાના વિકાસને ત્રણ તબક્કામાં વહેચવામાં આવી છે.

પ્રથમ: 10 થી 14 મી સદી દ્વિતીય: 14 થી 17 મી સદી તૃતીય: 17 મી સદી થી
“જૂની” ગુજરાતી “મધ્યકાલીન” ગુજરાતી આજ દિન સુધી

પાલનપુરથી પોરબંદર, અમદાવાદથી અમરેલી, દાહોદથી ડાંગ, શામળાજીથી સુરત, ભુજથી ભરુચ, દરેક જગ્યાએ અલગ-અલગ ગુજરાતી બોલાય છે. દરેક ગુજરાતી બોલીની પોતાની એક આગવી ઓળખ છે. તેથી જ તેની એક અલગ લિજ્જત છે.

મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “ભલે મારી માતૃભાષા અધૂરી રહી. જેમ હું માંની છાતીએથી અળગો ના થાઉં તેમ હું મારી માતૃભાષાથી અલગ ના થાઉં, મારા જીવનને ઘડનારું દૂધ અમને તેના સિવાય બીજે ક્યાંથી મળે”?

મહાત્મા ગાંધીજીએ આપણી માતૃભાષાને દૂધભાષા તરીકે ઓળખાવી છે. આપણે તેને અવગણશું અને તે પ્રત્યે બેદરકાર રહીશું તો ભાવિ પ્રજાને તેને માટે અફસોસ કરવો પડશે.

“બાળકના શરીરના વિકાસ માટે માતાનું દૂધ જરૂરી છે તેમ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા જરૂરી છે” આમ ગાંધીજી એ બાળકના મગજના વિકાસ માટે માતૃભાષા નું ખૂબ જ વિશેષ મહત્વ દર્શાવ્યું છે.”

અંગ્રેજી તો સારું જ છે, પણ ગુજરાતી તો મારું છે.

પોતાના લોકોના મૂલ્યો, વિચારો, અભિપ્રાયો કે જે સામાજીકતાથી ઘડાયેલા છે, તેના વારસાનો પરિચય આપતી ભાષા એટલે માતૃભાષા.

એક સંશોધન એવું જણાવે છે કે નાનપણમાં બાળક એકથી વધુ ભાષા સરળતાથી શીખે છે. માટે શાળામાં અન્ય ભાષા ભલે શીખે, ઘરમાં માતૃભાષાનો જ પાયો મજબૂત કરવો.

માતૃભાષા દ્વારા તર્કશક્તિનો વિકાસ થાય છે. માતૃભાષા એ વ્યક્તિગત, સામાજિક, આગવી સંસ્કૃતિ ઓળખ વિકસાવે છે. જેથી વ્યક્તિ સમાજમાં એક ચોક્કસ પ્રતિષ્ઠા ઊભી કરી શકે છે.

માતૃભાષા હ્રદયમાંથી આવે છે. અન્ય ભાષા મગજમાંથી આવે છે.

માતૃભાષા દ્વારા થતી વાત એ કુદરતી ઘટના છે, અન્યભાષા માં થતી વાત... એ કૃત્રિમ ઘટના છે.

માતૃભાષા એ વ્યક્તિના જીવનનો મહત્વનો ભાગ છે. અન્ય ભાષા નબળી કે ખરાબ તેવું નથી, પણ આપણાં માટે માતૃભાષા જ ઉત્તમ છે.

યુનેસ્કોના મતે દુનિયાની લગભગ 3,000 જેટલી ભાષાઓ ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતીનો પણ સમાવેશ થાય છે. ત્યારે એક ગુજરાતી તરીકે આપણાં સૌની ફરજ બની રહે કે આપણે આપણી માતૃભાષા ને બચાવવાના પ્રયત્ન કરીએ.

માતૃભાષા ગુજરાતીને આત્મસાત્ કરવું આપણો ધર્મ છે. તો, વિશ્વ માતૃભાષા દિવસ (૨૧ ફેબ્રુઆરી) ની ઉજવણી કરી. થોડી ઘણી ઉદાસીનતાને ખંખેરી ગુજરાતી માતૃભાષાને એનું હક્કના સ્થાને પ્રસ્થાપિત કરીયે. આપનો શું વિચાર છે?

તા. ૨૧-૦૨-૨૦૨૨ 
ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
+91 2634 284 620

Post a Comment

0 Comments