ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.



ખ્રિસ્તી ધર્મના લગ્નો સાધારણ રીતે ચર્ચમાં થાય છે – ત્યાં એકબાજુ સ્ત્રીઓ અને બીજી તરફ પુરુષો બેસે છે- સ્ત્રીઓ સાધારણ રીતે ભારે સાડી અને માથે ઓઢવાનું વસ્ત્ર સાથે દેખાય છે. પુરુષો બ્લેઝર-ટાઈ-પેન્ટ અને શર્ટમાં હોય છે. ચર્ચના સ્ટેજ ઉપર બે-ત્રણ ધર્મગુરુઓ – બિશપ કે ફાધર બેસે છે, સ્ટેજની નીચે બીજા ચાર-પાંચ ખ્રિસ્તી ધર્મના અભ્યાસી બેસે છે. ટેબલની સામેની બાજુ થનાર પતિ-પત્ની એમના એક એક મિત્ર સાથે બેસે છે. એક બાજુએ વરપક્ષ અને કન્યા પક્ષના માબાપ અને ભાઈબહેન જેવા અગત્યના સગાઓ સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ બેસે છે. તો બીજી તરફ કેસીઓ-ઢોલક જેવાં વાજિંત્રો થી સજ્જ છ-સાત વ્યક્તિઓની મંડળી લગ્નગીતો – પ્રાર્થના – ભજનો ગાવા હાજર રહે છે.

લગભગ એકથી દોઢ કલાક ચાલતી લગ્નવિધિ કોઈપણ જાતના ઘોંઘાટ વગર શાંતિથી-દરેકને પૂર્ણ સાક્ષીભાવે વિધિમાં પૂર્ણ ગંભીરતા સાથે ભાગીદાર થઈ બાઈબલ પુસ્તક વર-વધુ–પાદરીઓ અને સંગીતમંડળ ના હાથમાં રાખી વાંચતાં-વાંચતાં ગુજરાતીમાં કરવામાં આવે છે. સાધારણ રીતે દરેક પ્રદેશની ભાષામાં બાઈબલ લખાયેલું છે. મોબાઈલ બંધ રાખી તથા પરસ્પર વાતચીત ન કરીને દરેક હાજર વ્યક્તિને લગ્નમાં જોડાવાની વિનંતી કરવામાં આવે છે.

લગ્નવિધિ

સફેદ લાંબા ઝભ્ભા પહેરેલા લાલ કે ભૂરા લાંબા પટ્ટા લગાવેલા પાદરીઓમાંથી એક સંપૂર્ણ વિધિ દરમ્યાન બાઈબલમાંથી કયા પાઠોના કયા ષ્લોકો વાંચવા તેનો આદેશ આપી લગ્ન કરાવે છે.

પ્રાર્થના

લગ્નની વિધિ શરૂ કરતાં પહેલા, લગ્નને લગતા અને તે સિવાયના ભગવાન ઈસુને ભક્તિભાવ બતાવતાં ગીતો સાત-આઠ ગાયકો અને કલાકારોની મંડળી વાઘો વગાડીને ગાયન કરે છે.

લગ્નને લગતા પાઠોનું બાઈબલમાંથી વાંચન

પાદરીના આદેશ અનુસાર બાઈબલમાંથી વિવિધ ઉપદેશો જે ભક્તોને કહેવાય તેણે વાંચી સંભાળવવાનું હોય છે. આમ ઈસુ ખ્રિસ્તના લગ્નને લગતા વિચારો પરણનારને અને સાક્ષી રહેલા સર્વેને વિગતવાર કહેવામાં આવે છે.

પ્રભુનો આભાર વચન

જ્ન્મ આપવાથી માંડીને સુખરૂપ મોટા કરવા બદલ અને જીવનસાથી સાથે મેળાપ કરી આપનાર ભગવાન ઈસુનો વિવિધ રીતે આભાર પ્રદર્શિત કરવામાં આવે છે.

લગ્નનો હેતુ

રીતભાત અને જવાબદારી સમજાવવા માટે બિશપ દ્વારા માર્ગદર્શન

ઉપદેશ અને સરળ ગુજરાતી ભાષામાં આ વિષયક બિશપ બાઈબલને આધારે લગ્ન કરનાર યુગલને સમજ આપતા કહે છે કે નીચેનો ચાર “વ” વાળી બાબતોમાં વિશ્વાસ રાખી લગ્નજીવન જીવો.

  1. ઈશ્વરના વચનો = વચનો
  2. ઈશ્વરનો સંપૂર્ણ વિશ્વાસ = વિશ્વાસ
  3. ઈશ્વરનો આપણાં ઉપર અધિકાર સ્વીકારી સાચું વલણ અપનાવવું = વલણ
  4. ઈશ્વરે આપણને આપેલ આર્થિક સમૃદ્ધિની સમાજમાં વહેંચણી = વહેંચણી

લગ્નવિધિ

મુખ્ય લગ્નવિધિ કરાવનાર ફાધર દ્વારા ગંભીરતાપૂર્વક અને જવાબદારી સાથે સૌને સાથે જોડીને આ વિધિ કરી છે.

  1. હાજર સૌને પ્રશ્ન: પાદરી એ સૌને થનાર વર-વહુ વિષે લગ્નમાં બાધ હોય તેવું કઈં જાણતા હોય અથવા પૂર્વે તેમાંથી કોઈએ ગુનાહિત કાર્ય કે લગ્ન કરેલા હોય તો જણાવવા કહ્યું. બધાની સંમતિ પછી જ લગ્નવિધિ કરતાં હોવાનું જણાવ્યું
  2. વર-વધુને પ્રશ્ન: લગ્ન ન થઈ શકે એવા બાધ ન હોવા વિષે પહેલાં પુરુષને અને ત્યાર પછી સ્ત્રીને વારાફરથી સવાલ પૂછીને જવાબ મેળવ્યો
  3. પત્ની તરીકે સ્વીકારની સંમતિ બાબતે પ્રશ્ન અને પુરુષનો જવાબ. પતિ તરીકે સ્વીકારની સંમતિ બાબતે સ્ત્રીને પ્રશ્ન અને સ્ત્રીનો જવાબ
  4. બાઈબલમાંથી લગ્નને લગતા વચનોનો પુરુષ દ્વારા પત્ની સ્વીકારના વચનોનું વાંચન. એજ પ્રમાણે સ્ત્રી દ્વારા પુરુષને પતિ તરીકે સ્વીકારના ગંભીર વચનોનું વાંચન
  5. પતિ-પત્ની દ્વારા વીંટીની આપલે અને પતિ-પત્ની દ્વારા લગ્ન માટેનો હાર પહેરાવવાની વિધિ તેને લગતા બાઈબલના પાઠોનું વાંચન
  6. ફાધર દ્વારા બન્નેના લગ્ન સંપન્ન થયા હોય તેઓની પતિ-પત્ની તરીકે જાહેરાત
  7. લગ્નના રજીસ્ટરમાં બન્નેની અને બન્નેના એક એક નજીકના સાથીની સહી અને બન્નેના લગ્નનું પ્રમાણપત્ર અર્પણ
  8. હાજર સૌ દ્વારા-ભજનમંડળીના સંગીત સાથે ઊભા થઈ નવદંપતિને આશિષ આપતાં ગીતોનું ગુંજન સર્વે દ્વારા લગ્નની સફળતા માટે આશીર્વચન
  9. આભારવિધિ: સૌનો આભારમાની વિદાય થવા સૂચન અને લગ્નવિધિ પૂર્ણ થયાની જાહેરાત

કન્યાવિદાય

લગ્નવિધિનું અંતિમ કાર્ય કન્યાને વરને ઘરે જવામાટે વિદાય-બધા જ સમાજમાં સરખું જ હોય છે – તે ખૂબ લાગણીસભર અને કરૂણ પ્રસંગ છે. તેનું વર્ણન જરૂરી નથી, પણ તે પહેલાં આ વિશિષ્ટ સમાજમાં જુદા પડતાં સારા રિવાજો સમજી લઈએ.

લગ્નને આગલે દિવસે વરપક્ષ તરફથી વહુને સોનાના ઘરેણાં અને વસ્ત્રો ભેટ આપવામાં આવે છે જેથી કન્યા લગ્નમાં તે પહેરી શકે. ખ્રિસ્તી સમાજનો આ રિવાજ બીજા ધર્મથી અલગ પાડે છે અહી વરપક્ષ તરફથી કોઈ જાતની રોકડ-દહેજ કે ભેટ મંગાતી નથી.

લગ્નવિધિ થયા પછી ભોજન વિધિ હોય છે અને ત્યારપછી વરપક્ષના અને કન્યાપક્ષના દાદા-દાદી માતા-પિતા પછી વડીલ સગાઓ જેવાં કે કાકા-કાકી મામા-મામી ફૂવાજી અને છેલ્લે ભાઈ-ભાભી અને બહેન-બનેવી અરસપરસપર એટલે કે વરપક્ષના સગાને અભિવાદન કરી ભેટની સામ-સામે આપલે કરે છે અહી બન્ને પક્ષનું સરખાપણું અને સન્માન અનુભવાય છે. ભેટ તરીકે સોનાના ઘરેણાં-કપડાં-સાડી- કે અન્ય વસ્તુ આપવાનો રિવાજ છે નવપરિણીત વર-વધુ નો આ રીતે શુભેચ્છા અને આશીર્વચનો આપી બન્ને પક્ષના સગાનો પરિચય કેળવાતો જોવાનો લહાવો ચુકવાજેવું નથી. છેલ્લે વિદાય થતાં વરપક્ષને-જાનને લગ્નવિધિ કરાવનાર ધર્મગુરુ-પાદરી આશીર્વચનો આપતાં કહે છે હે પ્રભુ, જે રીતે જાનને તેમના ઘરેથી અહીં તકલીફ વગર સુખરૂપ પહોંચાડ્યા છે તેજ રીતે વરકન્યા સહિતનો જાનને વિના વિધ્ને સુખરૂપ તેમના મુકામે પહોંચાડજે.

આમ લગ્નવિધિનું સમાપન થાય છે. ચાલો તક મળે ખ્રિસ્તી સમાજનો લગ્નવિધિ માણીએ અને એમના સારા રિવાજો અપનાવીએ.

તારીખ ૨૫-૦૪-૨૦૧૯ ગુરુવારે ખેરગામ (તાલુકો ખેરગામ, જિલ્લો .નવસારી) ખાતે સી.એન.આઈ. ચર્ચ માં શ્રી પ્રમોદભાઈ વેલજીભાઈ પટેલની પુત્રી ચિ. અર્ચનાના ચિ. જેરેમી સાથે લગ્નવિધિના અનુભવને આધારે.

સૌજન્ય: શ્રી પી. એ. પટેલ, જાલનગર, બીલીમોરા

ડો. ભરત એમ. દેસાઈ
બીલીમોરા
તા. ૨૩-૦૭-૨૦૧૯

3 comments