અનાવિલ કુટુંબનું વાર્ષિક સ્નેહસંમેલન

ડુંગરી (તા. પારડી વાયા: ઉદવાડા) ગામે દયાળજી (ચુનીભાઈ) નાગરજી દેસાઈ પરિવાર તા. ૫-૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૨૫ના ત્રણ દિવસ (શુક્ર-શનિ-રવિ) ભેગો થયો હતો. ૨૦૧૩થી લગભગ દર વર્ષે અનુકૂળતા મુજબ ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આ પરિવારના સદસ્યો "કુમુદ ફાર્મ" ખાતે નિયમિત ભેગા મળી સ્નેહસંમેલન કરે છે. આ રીતનું તેમનું આ તેરમુ સમૂહજીવન હતું.

દયાળજી (ચુનીભાઈ) નાગરજી પરિવારના લગભગ ૮૦ જેટલા સદસ્યો છે. તેઓની પાંચ પેઢીના લગભગ ૬૦-૬૫ સભ્યો દર વર્ષે આવે છે. તે માટે તેઓ અમેરિકા - દક્ષિણ આફ્રિકા જેવા પરદેશથી ઉપરાંત ભારતમાં મુંબઈ - પુના - અમદાવાદ - સુરત - બીલીમોરા - વાપી જેવાં શહેરોમાંથી અહીં નિયમિતપણે આવે છે.

તેઓને રહેવા માટે કાયમી ધોરણે તેમણે તંબુઓ (Tents) વસાવ્યા છે. ઉપરાંત કુમુદફાર્મની વાડીમાં ડો. હિરેનભાઈ દેસાઈનો બંગલો પણ વાપરે છે. અહીં ૮૫ વર્ષથી માંડીને ૩-૪ વર્ષના બાળકો સહિત બધા જ આવે છે. આ વર્ષે લગભગ ૫૫ વ્યક્તિઓ હાજર હતા. ભાઈઓ અને બહેનો તેમના સમગ્ર પરિવાર સાથે હોંશે હોંશે ભાગ લે છે. ત્રણ-ચાર વેવાઈઓ પણ આ વખતે જોડાયા હતા.

ભોજન વ્યવસ્થા: મુકેશભાઈ - મેહુલભાઈ - નીતિનભાઈ - ડો. હિરેન તથા ચારુબેન સાથે મળીને આ વહીવટ સંભાળે છે. ત્રણ દિવસ અનાવિલ સ્વાદના દાળ-ભાત-લાપસી-ભજીયા ઉપરાંત ખાતા ધરાઈ જવાય એટલી વાનગીઓ પીરસે છે. નાળિયેર પાણી, કુલ્ફી, ઉબાડિયું - પોંક - પાણીપુરી - ભેળ - સેવપુરી - બિરયાની - લસણિયું ચવાણું - ચણા દાળ ઉપરાંત ગાજરનો હલવો જેવી અસંખ્ય વાનગીઓ આવતી જ રહેતી હોય તો ખાવામાં ભૂલ ન પડે તો જ નવાઈ!

રમતગમત: યુવાવર્ગ ક્રિકેટ, વોલીબોલ, બેડમિન્ટન, સાપસીડી, કબડ્ડી, પાના જેવી રમતો આખો દિવસ થાક્યા વગર રમતા હોય છે. તે માટે ગ્રાઉન્ડ – નેટ – બોલ – સ્ટમ્પ – બધી જ કાર્યવાહી અને વ્યવસ્થા ડૉ. હિરેનભાઈનો સ્ટાફ અગાઉથી જ કરી રાખતો હોય છે.

મનોરંજન: ત્રણ દિવસમાં મનોરંજનની વ્યવસ્થા દેવાંગભાઈ અને જિજ્ઞા સંભાળે છે. બોલાવેલા પ્રખ્યાત કલાકારો દ્વારા અને કુટુંબના સભ્યો દ્વારા રજૂઆત ખૂબ આનંદદાયક હોય છે. કોઈવાર ઘેરૈયા – તો કોઈવાર ઘોડેસવારી – અંતાક્ષરી – દેવાંગભાઈ દ્વારા સંગીતખુરશી જેવી વિવિધ રમતો અનુકૂળતા મુજબ ગોઠવાતી હોય છે.



ત્રણ દિવસમાં કુટુંબભાવના – પરસ્પરનો ગાઢ સંપર્ક – મિત્રતા અને પ્રેમભાવ અવશ્ય થતો જ હોય છે. વર્તમાન સમયમાં આવી કુટુંબભાવના જોવી – અનુભવવી એ એક નસીબની વાત છે. પછી છૂટા પડવું વિશાદપ્રેરક જ હોય શકે. અનાવિલ સમાજમાં એકતા – ભ્રાતૃભાવ – અન્યોઅન્ય માટે સન્માન ફક્ત અહીં જ જોવા મળે છે. જે કદાચ અપવાદરૂપ છતાં નમુનેદાર અને અનુકરણીય છે. 

આપણે કંઈ પ્રેરણા લઈશું?

ડો. ભરત દેસાઈ, બીલીમોરા.
તા.: ૦૮-૧૨-૨૦૨૫



Comments