હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

Post a Comment

1 Comments

  1. Very good description. Create interest to read this book 👌👌

    ReplyDelete

Thank you for your comment!