લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા મેળવતો નથી તે વિચારીએ. દેખીતાં કારણો : 1. લગ્નનાં ચોકઠાં ગોઠવનાર સમુહનો અભાવ :40-50 વર્ષ પહેલા લગ્નો ગોઠવવાના શોખીન–ઉત્સાહી–વડીલોનો એક વર્ગ સક્રિય હતો. જે મેળાવડામાં, લગ્નમાં કે મરણમાં પરણવાલાયક ઉમેદવારોને શોધી–માહિતી પહોંચાડી લગ્નનું નક્કી કરાવીને જ છૂટતા તે વર્ગ જ અદદ્રશ્ય થઈ ગયો છે. 2. અભિપ્રાયોમાં નિરસતા : લગ્ન માટે ઓફર મુકાયા પછી, લાગતાવળગતા વડીલો તપાસ માટે નીકળે છે. ત્યારે પ્રામાણિકતાથી સારો કે ખરાબ તટસ્થ અભિપ્રાય આપવાને બદલે, ગોળગોળ, અસ્પષ્ટ અથવા મોઘમ જવાબ આપતા હોય છે. માંબાપની ખબર છે–છોકરાની નહીં અથવા દીકરાના દિવસના સ્વભાવની માહિતી છે–પણ રાત્રીનો નહીં–દારૂડિયો હોઈ શકે એવો ઈશારો. 3. લગ્ન લાયક ઉમેદવારોમાં વ્યસન : દારૂ–તમાકુ માવો–ધુમ્રપાનની કુટેવો વ્યાપક પ્રમાણમાં પ્રસરેલ છે. એ હકીકત છે. વખાણવા લાયક, ખૂબ ભણેલા અને ખૂબ કમાતા આદર્શ ઉમેદવારો છે, પણ આળસુ, રખડેલ, વ્યસની અને ઓછું ભણેલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં છે. ત્...