Dr. Bharat Desai's Blog
Dr. Bharat Desai's Blog
  • Home
  • Anavils
  • History
  • Religions
    • Hinduism
    • Islam
    • Chritianity
    • Sikhism
    • Jainism
    • Buddhism
    • Taoism
  • Book Reviews
  • Videos
  • ગુજરાતી લેખો
૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું.

બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા.

૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આંખના ડૉકટર હોવાથી ખૂબ કામ રહેતું. મોટા ભાગની સારવાર થતી. ડૉકટર - દર્દીનો સંબંધ સન્માનનીય અને વિશ્વાસનો હોવાથી દર્દી ડૉકટરને ભગવાન માનતા - તો ડૉકટર તરીકે હું કમાવા કરતાં સેવાભાવના વધારે રાખતો.


તો ચાલો, નેત્રયજ્ઞોનો હિસાબ તપાસીએ.

લાયન્સ કલબ, બીલીમોરા - ચીખલી - ગણદેવી આયોજીત નેત્રયજ્ઞ

૧૯૭૮માં બીલીમોરા ખાતે મૈ આંખની હોસ્પિટલ શરૂ કરી. ત્યારે આખા ગુજરાતમાં ફકત ત્રણસો આંખના ડૉકટરો હતો, તેમાંથી પણ નવસારી પછી બીલીમોરા, વલસાડ, વાપી, ઉમરગામ, વાંસદા અને આહવા ખાતે પૂર્ણ સમયના આંખનું વ્યવસ્થિત ભણેલા ડૉકટરો બિલકુલ ન હતા. મેં અભ્યાસપૂર્ણ કયો ત્યારે શિક્ષક (Teacher / Academician) થવાની તીવ્ર ઇચ્છા હતી, પણ ગરીબોની સેવા કરવાની ભાવનાએ તેની ઉપર વિજય મેળવ્યો અને હું બીલીમોરા સ્થાયી થયો. સદ્નસીબે તે જ સમયે વલસાડ ખાતે કસ્તુરબા હોસ્પિટલમાં ડૉ.ભૂષણ શુકલ અને વાપી ખાતે ડૉ. ઉપેન્દ્ર રાવલે નેત્રરોગીઓની સેવા શરૂ કરી (હાલમાં આ જ વિસ્તારમાં પચાસથી વધુ નિષ્ણાતો છે, તે જાણખાતર). લગભગ પચાસ વર્ષ પહેલાં ડૉકટરોને ભગવાનનો દરજ્જો લોકો આપતા ઉપરાંત ડૉકટરો પણ કમાવા કરતાં વધારે લોકસેવાને પ્રાધાન્ય આપતા અને સાદું સંતોષી જીવન જીવતા.


રોટરી ક્લબો પોલિયો નાબુદી માટે વિશ્વમાં પ્રખ્યાત છે, એમ લાયન્સ કલબો નેત્રરોગોઓનાં અંધત્ત્વ નિવારણ માટે નેત્રયજ્ઞો માટે પ્રખ્યાત છે. બીલીમોરા લાયન્સ કલબના પ્રમુખ હરગોવિંદ ઈટવાલા અને ઝોન ચેરમેન ડૉ.ઈશ્વરચંદ્ર દેસાઇએ ખારા અબ્રામાના નિવાસ સ્થાને વાંસદાના નેત્રયજ્ઞમાં સેવા આપવા પ્રથમવાર આમંત્રણ આપ્યું અને ત્યાંથી મારી નેત્રયજ્ઞમાં સેવાની શરૂઆત થઇ. હકીકતમાં ૧૯૭૯ હું લાયન્સ કલબ, બીલીમોરામાં જોડાયો પણ ખરો.

બીલીમોરા ખાતે નેત્રયજ્ઞો

ત્યારે નેત્રયજ્ઞો હાઇસ્કુલ જેવા સ્થળે સાધારણ રીતે દીવાળી વેકેશન કે નાતાલ વેકેશનમાં યોજાતા. શનિવારે નિદાન કરી જરૂરી સારવાર - ચશ્મા આપી મોતીયા - ઝામર - વેલના ઓપરેશનો હાઇસ્કુલમાં અઠવાડિયું રાખીને કરવામાં આવતા. રહેવાની - ખાવા પીવાની તથા દવા વગેરેની વ્યવસ્થા હાઇસ્કુલના રૂમમાં ગાંદલા પાથરી અને રસોડું કરી કરવામાં આવતી. આપરેશન માટે એક રૂમ ચુનો લગાવી વ્યવસ્થિત સાફસૂફ કરીને જરૂરી લાઇટો મુકીને (અથવા મોટી બેટરી દ્વારા) તૈયાર કરવામાં આવતી. ઓપરેશનના ત્રણ ચાર સેટ રાખીને, પાણીમાં ઉકાળીને વારાફરતી ઉપયોગમાં લેવાતા. આપરેશન પહેલાં બી.પી. - ડાયાબિટીસ અને બીજા રોગોની તપાસ કરવામાં આવતી.


મારી સાથે ધર્મપત્ની ડૉ. ભાવના દેસાઇ સહાયક તરીકે સેવા આપતી. મારી હોસ્પિટલનો સંપૂર્ણ સ્ટાફ ઓપરેશન સમયે મદદરૂપ થતો. સહાયક નિષ્ણાત સર્જનો તરીકે કોઇવાર ડૉ.સુતરીયા (નવસારી) તો કોઇવાર ડૉ. એ.જે.ભટ્ટ (વલસાડ) જોડાતાં. લગભગ ૫૦-૬૦ દર્દીઓના ઓપરેશન થતાં.


બીલીમોરા ખાતે (૧) જવેર જીવણ હાઈસ્કૂલ, ફીડર રોડ, (૨) ટાટા હાઇસ્કુલ જવાહર રોડ, (૩) એલ. એમ. પી. હાઇસ્કુલ, મોરારજી માર્ગ, (૪) બીલી પાઠશાળા જેવા સ્થળોએ ઓપરેશન થતાં. કલબ દ્વારા બે વાર સરીખુરદ હાઇસ્કુલ અને ત્રણવાર અનાવલ વલ્લભ - રમુજીમંદિર ખાતે નેત્રયજ્ઞો યોજાયેલાં.

લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે એકવાર નેત્રયજ્ઞ યોજાતો અને દર્દીઓ ત્યાં સુધી ઓપરેશન માટે રોકાતા. દાખલ દર્દીને આંતરે દિવસે ડ્રેસિંગ કરીને છેલ્લે અઠવાડિયાં પછી દવા - ચશ્મા વગેરે આપી રજા આપવામાં આવતી.

તે સમયે સીવીલ હોસ્પિટલો નવસારી - વલસાડ ખાતે અને વલસાડ આર. એન. સી. આંખની ધર્માદા હોસ્પિટલ ખાતે સારવારમાં લોકોને શ્રધ્ધા ન હોવાથી જતાં નહીં, પરંતુ પાછળથી કસ્તુરબા હોસ્પિટલ, વલસાડ, આર. એન. સી આંખની હોસ્પિટલ, વલસાડ ઉપરાંત નવસારી - વલસાડની સીવીલ હોસ્પિટલોમાં વ્યવસ્થિત ઓપરેશનો ભણેલા સેવાભાવી ડૉકટરો દ્વારા થવાનું શરૂ થતાં લોકો ત્યાં જવા લાગ્યા અને નેત્રયજ્ઞોની અનિવાર્યતા ન રહેતાં, નેત્રયજ્ઞો બંધ થયા.

લાયન્સ ક્લબ, ચીખલી, આયોજીત નેત્રયજ્ઞ

બધી કલબોમાં લાયન્સ કલબ, ચીખલીનું આયોજન સૌથી સુંદર રહેતું, કારણ તેમાં દરેક કાર્ય માટે કાયમી નિશ્ચિત સ્વયંસેવકો રહેતા. દા.ત.,

૧. મેડીકલ તપાસ અને કાળજી:
ડૉ. ધીરૂભાઇ દેસાઇ
નલીનીબેન દેસાઇ
અરવિંદ ગાંધી
દીલીપ મોદી

૨. દવા સાચવવી અને આપવી:
નવનીતભાઇ દેસાઇ
પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ

૩. ભોજન વ્યવસ્થા:
જયંતિભાઇ એમ. દેસાઇ
સાદકયેરરના ખેડૂત કાલીદાસ પટેલ

૪. નેત્રયજ્ઞના આયોજકો તરીકે મને યાદ છે તે પ્રમુખો નવનીતલાલ કાપડીયા, રજનીકાન્ત એમ. ગાંધી, પ્રિ. ઈશ્વરભાઇ સી. દેસાઇ, દલીચંદ એફ. શાહ, સન્મુખલાલ જી. કાપડીયા, ડૉ. દીલીપભાઇ મોદી, ડૉ. અરવિંદભાઇ સી. ગાંધી.

ડી. એ. ઇટાલીયા હાઇસ્કુલ, ચીખલી ખાતે દર વર્ષે યોજાતા નેત્રયજ્ઞમાં શનિવારે આંખની તપાસ અને રવિવારે દર્દીના ઓપરેશનો યોજાતા.

જે તે વર્ષના ચીખલી લાયન્સ કલબના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને ખજાનચીશ્રી બદલાતા. તેઓ આયોજન અને તે પહેલાં પ્રચારમાં મદદગાર થતા. દાતાઓ રોકડ-સીધું સામાન કે બીજા સ્વરૂપે ખર્ચને પહોંચી વળતા મદદરૂપ થતા.

હું, ડૉ. ભાવના દેસાઇ (મારા ધર્મપત્ની) તેમજ મારી દેસાઇ આંખની હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશન કરતો. અનુકૂળતા હોય તો વલસાડથી ડૉ. એ. જે. ભટ્ટ કે નવસારીથી ડૉ. કે. સી. સુતારિયા તેમની ટીમ સાથે ઓપરેશનમાં જોડાતા. ચીખલીના સ્વયંસેવકો (કાલીદાસ) પીયુષ દેસાઇ, પંકજ દેસાઇ, વીપીન દેસાઇ, હોમગાર્ડના ભૂપેન્દ્ર એ. દેસાઇ અને બીજા સેવાયજ્ઞમાં મદદરૂપ થતા.

આમ, અઠવાડિયું ચાલતો કાર્યક્રમ ૧૯૮૦ થી લગભગ દસ વર્ષ સુધી દર વર્ષે નિયમીત ચાલ્યો. પછી ચીખલીમાં કોટેજ હોસ્પિટલ અને રોટરી આંખની હોસ્પિટલ ચાલુ થતાં નેત્રયજ્ઞની જરૂરિયાત ન રહેતાં બંધ થયા.

લાયન્સ ક્લબ, ગણદેવી, આયોજીત નેત્રયજ્ઞ

લાયન્સ મેમ્બરો દર વર્ષે નેત્રયજ્ઞ અને મોતીયા ઓપરેશન કેમ્પનું આયોજન કરતા. તેઓ હાલની દમણીયા હોસ્પિટલની પાછળ આવેલ “વિવેકાનંદ હોલ” ખાતે કાયમ આયોજન કરતા- ભોજન અને રહેવાની સગવડની ગોઠવણ કરતા. પ્રાથમિક શાળા દેવધાના સેવાભાવી ખાદીધારી આચાર્ય પટેલ ભીખુભાઇ અને અમલસાડના દેસાઇ અહી, વર્ષો સુધી સેવા આપતા - તેઓ બન્ને દિવસ-રાત ચોવીસ કલાક ત્યાં રહી સેવા આપતા.

૧૯૭૯ થી લગભગ દસ વર્ષ સુધી આયોજનો દર વર્ષે થતાં રહ્યાં. કોઇ વાર સુરતથી ડૉ.ઉપેન્દ્ર કલાઇગર તો કોઇ વાર નવસારીથી ડૉ. કે. સી. સુતરિયા મારી સાથે ઓપરેશનમાં જોડાતા પણ મોટેભાગે હું એકલો જ મારા પત્ની ડૉ. ભાવના દેસાઇ અને મારી હોસ્પિટલના સ્ટાફની મદદથી ઓપરેશનો પાર પાડતો. દર્દીઓને અઠવાડિયું રાખતા - તે દરમ્યાન આંતરે દિવસે જઇ ડ્રેસિંગ કરી છેલ્લે દ્વિસે કાળજી રાખવાની સૂચનાઓ દવા ગોગલ્સ આપી વિદાય આપતા.

શનિવારે: લગભગ ૨૦૦ દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા-ધવા મફત આપી ૫૦-૬૦ મોતીયાના દર્દીઓને ઓપરેશન માટે વિવેકાનંદ હોલ ખાતે દાખલ કરતા. દોઠ મહિના પછી ફરીથી ગણદેવી ખાતે વિવેકાનંદ હોલમાં બોલાવી. ચશ્મા વિતરણ કરતા.

ગણદેવીના નેત્રયજ્ઞો માટે દર્દીઓ વર્ષ સુધી રાહ જોઇ, ત્યાં જ ઓપરેશન કરાવતો - સંપૂણપણે મફત હોવાથી અને ઓપરેશન પછી કોઇ તકલીફ વગર સંપૂર્ણ દષ્ટિ મળવાથી દર્દીઓને કોઇ ફરિયાદ રહેતી નહીં.

નેત્રયજ્ઞમાં સક્રિય ગણદેવીના લાયનો: મધુસુદન વૈદ્ય, મુકુન્દભાઇ દેસાઇ,શ્રી હરિભાઇ દેસાઇ, શ્રી અક્ષયભાઇ દેસાઇ, ઠાકોરભાઇ જોષી, ડૉ. સુરેશભાઇ નાયક, ડૉ. રાજેષ વૈદ્ય, ડો.શરદભાઇ વૈદ્ય, મહેન્દ્ર ગાંધી, બચુભાઇ ઉર્ફે નરેન્દ્રભાઇ નાયક, જીતેન્દ્રભાઇ ચોકસી, વગેરે.

લાયન્સ કલબ કિલ્લાપારડી નેત્રયજ્ઞો

૧૯૮૨ થી ૧૯૮૫ના ત્રણ વર્ષો દરમ્યાન દર વર્ષે પારડી ખાતે ચૌહાણ પ્રાથમિક શાળામાં ત્રણ નેત્રયજ્ઞ કર્યા.

લા. પીરોજશા પારડીવાલા, લા. દશરથ વશી - નીલીમા વશી - લા. ડૉ. પ્રતાપ ઠોસર - ડૉ. રાજેશ્રી ઠોસર, ડૉ. પ્રભાતસિંહ ઠાકોર, ડૉ. ગીતા ઠાકોર, લા. ગીરધરલાલ રાણા, લા. નરીમાન વાઘ છીપાવાળા, ડૉ. કુલકર્ણી વગેરે લાયનમિત્રો ત્યારે સક્રિય હતા.

લા. દશરથ વશી મેડિકલ લાઇનના જાણકાર અને સેવાભાવી હોવા ઉપરાંત મારા હાઇસ્કુલના મિત્ર હોવાને નાતે નેત્રયજ્ઞ આયોજનમાં સક્રિય રહેતા. મુખ્ય નેત્રયજ્ઞના આગળના પાંચ રવિવારે રોહીણા, વાઘછીપા, પરીઆ જેવાં પાંચ સ્થળે નેત્રયજ્ઞો યોજી તેમને પારડી ઓપરેશન માટે આવવાની તારીખ આપતા.

ઉપરાંત શનિવારે કિલ્લાપારડી ખાતે નિદાનયજ્ઞ અને રવિવારે ઓપરેશનનું આયોજન કરતા. દર વર્ષે ૭૦-૧૦૦ જેટલાં ઓપરેશનો થતાં.

વ્યવસ્થિત પ્રચાર અને ખરેખર ઓપરેશનની જરૂરિયાત જ હોવાથી દર્દીઓ વ્યવસ્થાનો લાભ લેતા.

જીલ્લા અંધજન સહાય મંડળ અને દાતાઓને કારણે ખર્ચની વ્યવસ્થા થઇ જતી.

મે ૧૯૬૩-૭૦ના સાત વર્ષ બાલાખાડી, કિલ્લાપારડી રહીને અભ્યાસ કર્યો હોવાથી લગભગ બધા લાયનમિત્રો મારા પરિચિત હતા. ઉપરાંત નિસ્વાર્થ સેવાભાવના અને ઓપરેશનમાં નિપુણતા નેત્રયજ્ઞોને સફળતા બક્ષતા.

બીલીમોરાથી શનિ-રવિ-મંગળ-બુધ-શનિ એમ પાંચ વખત જઇ કામ કરવાનું તફલીફવાળું હોવા છતાં ઉત્સાહ અને સેવાભાવનાને કારણે કામકાજ સફળ અને સુંદર રહેતું. દર્દીને યોગ્ય ન્યાય મળી રહેતો.

લાયન્સ કલબ, ધરમપુર, આયોજીત નેત્રયજ્ઞ

૧૯૯૦ની આસપાસ સ્થપાયેલ નવી લાયન્સ કલબ, નેત્રયજ્ઞો યોજાતી હતી. તેઓ મને આમંત્રી ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં નેત્રરોગનું નિદાન - ચશ્મા વિતરણ અને ધ્વાની સારવાર કરતા. પરંતુ ઓપરેશન એસ. એમ. અને એસ. એમ. હાઇસ્કુલ ખાતે કરતા. લગભગ ૪૦-૫૦ ઓપરેશનો કરતા. મારા બે મિત્રો ડૉ. બાબુભાઇ સી. પટેલ અને ડૉ. વિક્રમસિંહ પરમાર. આ કલબમાં હોવાથી તેઓ બાકીની સંભાળ રાખતા. દર્દીઓને અઠવાડિયું રાખતા તે દરમ્યાન બે વખત જઇ હું ડ્રેસિંગ વગેરે કરી શનિવારે વિદાય આપતા. આમ લગભગ બે - ત્રણ વર્ષ નેત્રયજ્ઞો યોજાતા. - પછી ધરમપુર લાયન્સ કલબ બંધ થવાથી આ કાર્યકમ આગળ થઇ શકયો નહીં.

આહવા ડાંગમાં નેત્રયજ્ઞો

શામગહન, હડકાઇ ચોંધ, વઘઇ અને આહવા જેવા સ્થળે દર વર્ષે સુરતનું ટ્રસ્ટ આવીને સર્વરોગ નિદાનકેમ્પ કરતા. તેમાં હું નેત્રરોગ નિષ્ણાત તરીકે આંખના દર્દીઓને સારવાર આપતો. પાછળથી મારા સ્નેહીશ્રી સ્વરાજ આશ્રમના નિયામક શ્રી છોટુભાઇ નાયક અને શ્રી ઘેલુભાઇ નાયકના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલમાં આહવા ખાતે હું સર્વરોગ નિદાન શિબિરનું આયોજન કરતો. રેડકોસ સોસાયટી અને તેના પ્રમુખ મારા સહાધ્યાયી મિત્ર ડૉ. એ. જી. પટેલ અને મારા અમદાવાદના સહાધ્યાયીઓ જે આહવાના સિવિલ સર્જન બન્યા હતા, તેવા ડૉ. નીનામા, ડૉ. સિંઘવ અને ડૉ. રમેશ પટેના સહકારશ્રી ત્રણેક સર્વરોગ નિદાન અને ઓપરેશન શિબિર યોજાયા. આહવા ડાંગ જિલ્લાના જંગલખાતા દ્વારા અને રેડકોસ સોસાયટી દ્વારા આર્થિક સહકાર અને પ્રચારમાં મદદ મળતી.

આંખના ઓપરેશનમાં ડૉ. દર્શના નાયક અને ડૉ. હિરેન નાયક પણ મદદરૂપ થતા. આમ હું - ડૉ. ભાવના દેસાઇ (ધર્મપત્ની) અને બીજાની સહાયથી મોતીયાના ઓપરેશન પાર પાડતા. પછી ડ્રેસિંગ માટે ત્રણ વાર જવાનું રહેતું. આવા ત્રણ-ચારથી વધારે મોતીયાના ઓપરેશન કેમ્પ મેં આહવા ડાંગમાં વારંવાર યોજયા.



૨૦૦૦ - ૨૦૦૧

ગણદેવી - ચીખલી તાલુકા ખાતે નેત્રયજ્ઞો

લાયન્સ ક્લબ ઓફ બીલીમોરા (યુગ્મ) અને લાયન્સ કલબ, ગણદેવીના સંયુકત ઉપક્રમે જુન, ૨૦૦૦માં નડિયાદ ખાતે ડૉ. ભાવના - હું - ડૉ. વિજયભાઇ દેસાઇ અને દીલીપભાઇ મહેતા લાયન્સ ડીસ્ટ્રીકટ સ્કુલીંગ માટે ગયા હતા. પરત આવતાં ભરૂચ ગોલ્ડન બ્રીજના અંત ભાગે મારી ઝેન મારૂતિ કાર સામે આવતી જીપ સાથે ધડાકા સાથે અથડાઇ હતી. કારને જેમ તેમ ચલાવીને અંકલેશ્વર તરફ હું અને ડૉ. વિજયભાઇ દેસાઇ અંકલેશ્વર ફાટક આગળના ગાયત્રીમાતા મંદિર સુધી લાવ્યા હતા. બીલીમોરાથી અમને મદદરૂપ થવા - લેવા આવનારને ત્રણ ચાર કલાક લાગ્યા તે દરમ્યાન અમે ચારે ભયંકર અકસ્માતમાં કારને નુકસાન થવા છતાં અમે સૌ સુખરૂપ ઇજાવગરના બહાર આવ્યા. તેને ઇશ્વરકૃપા માની વર્ષ દરમ્યાન નેત્રયજ્ઞો દ્વારા ૧,૦૦૦ મોતીયાના ઓપરેશન કરવાનો સંકલ્પ કર્યો.

“સારા કામમાં સૌ સાથી” એમ અમારી કલબના પ્રમુખ ડૉ. વિજયભાઇ દેસાઇ સાથે ગણદેવી લાયન્સ કલબના પ્રમુખ લા. ગોપાળભાઇ ગોહિલની ટીમ પણ જોડાઇ. લા. દીલીપભાઇ મહેતા વસુધારા ડેરીમાં કામ કરતા હોવાથી આ વિસ્તારની સહકારી મંડળીઓ - ગણદેવા - દેગામ - અમલસાડ - ગણદેવી - ચીખલી ઉપરાંત બીગરી - બીલીમોરા એમ ઇસ સ્થળે દર શનિવારે ર થી ૪ નેત્રયજ્ઞ કરવાનું ઠરાવ્યું. બીલીમોરા જયોતિકેર હોસ્પિટલના સર્જન ડૉ. દર્શના નાયક (અમારી કલબના લાયન મેમ્બર) સાથે જોડાયા. સોમવારે બીલીમોરા ખાતે જયોતિકેર આંખની હોસ્પિટલ અને મારી દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે મોતીયાના ઓપરેશન કરવાનું નક્કી કર્યું.

સિવિલ સર્જન, નવસારી, જીલ્લા આરોગ્ય અધિકારી વલસાડ અને અંધજન સહાય સમિતિની યોગ્ય મંજુરી મેળવી કાર્યક્રમ શરૂ કર્યો.

પહેલાં બીગરી, પછી બીલીમોરા એમ દરેક સ્થળે શનિવારે નિદાન અને સારવાર માટે નેત્રયજ્ઞો કર્યા. બીલીમોરા ખાતે સોમવારે બન્ને હોસ્પિટલમાં દર્દીઓના ઓપરેશન ડર્યા.

આમ, ત્રણ મહિના ચાલેલો બે કલબનો સંયુકત સેવાયજ્ઞ સુખરૂપ પાર પાડયો.

૨૦૦૯-૨૦૧૦

વૃધ્ધાશ્રમ ખાતે નેત્રયજ્ઞો

ડૉ. ભાવનાબેન દેસાઇ પ્રમુખ થતાં એમને દષ્ટિકોણથી પિડાતા વૃધ્ધોને સહાયરૂપ થવા ચાર વૃધ્ધાશ્રમો ખાતે નેતાયજ્ઞો ગોઠવ્યા.

હું અને લા. ડૉ. દર્શનાબેન નાયક દર શનિવારે વારાફરતી એક એમ ચારે વૃધ્ધાશ્રમોની મુલાકાતે ગયા.

દર્દીઓને તપાસી જરૂરી ચશ્મા અને દવાઓ અમે મફત પહોંચાડી અને મોતીયાના ઓપરેશનની જરૂતિયાતમંદ લોકોને ઓપરેશન મારી દેસાઇ આંખની હોસ્પિટલ, બીલીમોરા ખાતે કર્યો.

૧. મહાવીર વૃધ્ધાશ્રમ, બીલીમોરા
ર. સોલંકી વૃધ્ધાશ્રમ, ગણદેવી
૩. લા. રેખાબેન પરમાર અને લા. રમણભાઇ પરમારની ઈચ્છાથી મોચી સમાજ વૃધ્ધાશ્રમ, નવસારી
૪. વૃધ્ધાશ્રમ, અતુલ નજીક મગોદ.


નવસારીના નેત્રયજ્ઞમાં જતો વખતે ભયંકર વરસાદને કારણે સાલેજ આગળ રસ્તા ઉપર પાણી હોવાથી કાર બંધ થઇ ગઇ. છતાં અમે ઉત્સાહપૂર્વક નવસારી ગયા. આમ, નવતર પ્રયોગ દ્વારા અંધત્ત્વ નિવારણ માટે વૃધ્ધોને મદદરૂપ થયા.

નેત્રયજ્ઞ

ચીખલી તાલુકા મોતીયા નાબુદી અભિયાન

તા. ૧૩-૧૦-૧૯૯૬ના રોજ ૩૨ સભ્યો સાથે બીલીમોરા ખાતે લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના સ્થાપક પ્રમુખ તરીકે મારા (ડૉ. ભરતચંદ્ર દેસાઇ) નેતૃત્વમાં શરૂ થઇ. લાયન્સ કલબો નેત્રયજ્ઞમાં દુનિયામાં પ્રખ્યાત હોવાથી અમે પણ એ બાબતે કાર્ય કરવાનું વિચાર્યું.

જીલ્લા અંધત્ત્વ નિવારણના પ્રમુખ અને કલેકટર કુ. એસ. અર્પણા, વલસાડ જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને ચીખલી તાલુકા શિક્ષણ વિભાગ પાસે જરૂરી મંજૂરી મેળવી. “ચીખલી મોતીયા નાબુદી અભિયાન” નામનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ બનાવ્યો.

હું પોતે આંખના નિષ્ણાત તરીકે સેવા આપવા તૈયાર હોવાથી અને મારી હોસ્પિટલમાં ઓપરેશનની સગવડ પૂરી પાડવાની તત્પરતાને લીધે કામ ખૂબ જ સહેલું થઇ ગયું.



ચીખલી તાલુકા ખાતે મારા પડોશી અને વાડેલ શ્રી રમેશભાઇ રાવલ બીટ નિરિક્ષક તરીકે કાર્યરત હોવાથી શાળાઓમાં પ્રચારની જવાબદારી એમણે ઉપાડી. ત્યારપછી મારા બીજા મિત્ર વસુધારા ડેરીના મેનેજર (હાલમાં મેનેજીંગ ડિરેકટર) શ્રી નરેન્દ્ર દેસાઇએ દરેક દૂધ મંડળી ખાતે પ્રચારનું પોષ્ટર ચોટાડી. આખા વિસ્તારની દૂધ મંડળી અને તેના ગ્રાહકો મળી પ્રચારકાર્ય સરળ અને સફળ બનાવ્યું. આરોગ્ય અધિકારીશ્રીએ ચીખલી તાલુકાના બાર (૧૨) પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે નેત્રયજ્ઞ (નિદાન પૂરતો) રાખવાની મંજૂરી આપી. આમ, લાયન્સ કલબે કરવા ધારેલ મહાનેત્રયજ્ઞનું આયોજન કલેકટરશ્રી, જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી, ચીખલી તાલુકા શિક્ષણાધિકારીશ્રી અને લાગતા વળગતા ગામના સરપંચ - પંચાયત સભ્યો અને હાઇસ્કુલના આચાર્યોની મદદથી નવી સ્થપાયે લાયન્સ કલબે ઉપાડયું.

દેસાઇ આંખની હોસ્પિટલ ખાતે દર સોમવારે સવારે ૧૧ થી ૧ મફત આંખની તપાસની જાહેરાત કરી.

દર અઠવાડિયે એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (ચીખલી તાલુકા) એમ ૧૨ ગુરૂવારે બાર જગ્યાએ નેત્રનિદાન દર ગુરૂવારે સવારે ૧૨ થી ર દરમ્યાન યોજયો.

તા. ૨૧-૧૧-૧૯૯૬ થી શરૂ થયેલ નેત્રયજ્ઞ તા. ૩૦-૦૧-૧૯૯૭ સુધી ચાલ્યો. તે સમયે આંખના ડૉકટરો ખૂબ જ ઓછા અને મફત આંખની હોસ્પિટલ ખાસ ન હોવાથી લોકોની જરૂર ખૂબ જ હતી. ગુરૂવારે કેમ્પમાં અને સોમવારે આંખની હોસ્પિટલ બીલીમોરા ખાતે નિદાન કરીને દર્દીઓને શુકવારે બોલાવી બીલીમોરા ખાતે ઓપરેશન કરતા. સારવાર - ભોજન - દવા - ચશ્મા સંપૂર્ણ મફત હોવાથી મોટી સંખ્યામાં લોકો ભાગ લેતા.


દરેક આયોજન પહેલાં, પ્રાથમિક શાળા, હાઇસ્કુલ, ગ્રામપંચાયત, દૂધમંડળી અને બસ સ્ટેન્ડ ઉપર પોષ્ટરો લાગી જતાં અને દરેક સંસ્થાનો સહકાર ખૂબ હોવાથી સેવાકાર્ય સફળપૂર્વક પાર પડાતું.

દર વખતે ૮૦ થી ૧૨૦ દર્દીઓની તપાસ, દવા અને ચશ્મા વિતરણ કરી લગભગ ૧૫ થી રપ દર્દીઓના મોતીયાના ઓપરેશન થતા.


લાયન્સ કલબ ઓફ બીલીમોરા (યુગ્મ)ની સ્થાપના વર્ષમાં નેત્રયજ્ઞો દ્રારા લગભગ ૨,૦૦૦ દર્દીઓની તેમના ઘરે જઇ સારવાર થઇ શકી.

ડૉ. આર. એન. માથુર સ્મૃતિ નેત્રયજ્ઞ - ધરમપુર

મારા ગુરૂજી અને પથદર્શક માથુર સાહેબ સેવામૂર્તિ હતા. પોતાની માતા અને માતૃભૂમિની સેવા કરવા, તેઓ અપરિણિત રહ્યા હતા. જામનગરના લોકો તેમને નેત્ર રોગોના ધર્દીઓની સેવા માટેના ભગવાન માનતા હતા. તેઓ વિષય નિષ્ણાત - દરેક ઓપરેશન અને આંખના રોગોને સર્વોચ્ચ જાણકાર હોવા ઉપરાંત નમ્રતા - સાદાઇ અને સેવાભાવનામાં અદ્વિતીય હોવાને કારણે દર્દીઓ ઉપરાંત સર્વ વિદ્યાર્થીઓમાં પૂજનીય હતા. આવા ડૉ. આર. એન. માથુર સાહેબના દેહવિલય સમયે મેં કંઇક સમાજસેવા ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્તારમાં કરવાનું વિચાર્યું.

સારા સંકલ્પને ભગવાનની સહાય મળતી જ હોય છે. મને ધરમપુર તાલુકાને સેવાક્ષેત્ર બનાવનાર વાલોડના શ્રી ભીખુભાઇ વ્યાસ અને શ્રીમતી કોકીલાબેન વ્યાસ મળ્યા. તેઓ ધરમપુરના લોકોના સ્વવિકાસ અને સહાય અર્થે સમર્પિત હતા. લોકોના શ્રમ દ્વારા પાણીની ખેંચ દૂર કરવા ગામેગામ ચેકડેમ અને કૂવા ખોદાવવાનો કાર્યકમ તેઓ કરતા હતા. ઉપરાંત વિવિધ સ્થળોએ ગરીબ વિદ્યાર્થીઓ માટે આશ્રમશાળાઓ ચલાવતા હતા. જયાં આશ્રમમાં રહી વિદ્યાર્થીઓ અભ્યાસ ઉપરાંત આદર્શ જીવનના પાઠ ભણતા હતા. તેમની સાથે ચર્ચાવિચારણા કરી ડૉ. આર. એન. માથુરસાહેબની પૂણ્યયાદમાં છ મહિના માટે નેત્રયજ્ઞ (નિદાન - સારવાર અને ઓપરેશન) કરવાનું આયોજન કર્યું.

નેત્રયજ્ઞ (દર ગુરૂવારે)

૧. ધરમપુર - એમના તાલુકાના મુખ્યમથકે દર ગુરૂવારે બપોરે ૧ થી ર આંખની તપાસ કરવા માંડી.
૨. ધરમપુર તાલુકાના ચાર મથકો પિંડવળ - કપરાડા - તામછડી અને બિલપુડી જેવી ચાર આશ્રમશાળાઓ ખાતે મહિને એકવાર વારાફરતી ગુરૂવારે આંખની તપાસનું આયોજન કર્યું.
૩. આંખના ઓપરેશન બીલીમોરા ખાતે દર શનિવારે મારી “દેસાઇ આંખની હોસ્પિટલ”માં કરવાનું વિચાર્યું.

આશ્રમશાળાના શિક્ષકો - ગામના સેવાભાવી સ્વયંસેવકો અને શ્રી ભીખુભાઇ વ્યાસની સેવાસમિતિની મદદ મળતાં આ શકય બન્યું.

દર ગુરૂવારે બીલીમોરાથી નીકળી ધરમપુર જઇ પહેલાં ત્યાં ભેગા થયેલા દર્દીઓ બપોરે ૧ થી ૨ તપાસી સારવાર આપવાની હતી. ત્યાંથી વારાફરતી નક્કી કરેલા એક ગામે આશ્રમશાળામાં જઇ ભેગા થયેલા દર્દીઓની તપાસ કરી યોગ્ય સારવાર - ચશ્મા - માર્ગદર્શન આપવાનું હતું. તપાસ - નિદાન - ઘ્વા - ચશ્મા અને સારવાર માટે જરૂરી સામગ્રી હું જાતે લઇ જતો હતો.

નક્કી થયેલા મોતીયાના ઓપરેશનના દર્દીઓને લઇ આશ્રમશાળાનો શિક્ષક બીલીમોરા “દેસાઇ આંખની હોસ્પિટલ” શનિવારે આવતો હતો. ત્યાં રહેવાની અને ઓપરેશનની સગવડ હતી. જાતે લાવેલ શાકભાજી - દાળ - ચોખામાંથી રસોઇ શિક્ષક બનાવી તેમને હોસ્પિટલના રસોડે જમાડતા.

આ આયોજન લગભગ છ મહિના દર ગુરૂવારે બીલીમોરાથી ધરમપુર અને ત્યારપછી અંતરિયાળ ગામડે જઇ નિસ્વાર્થ સેવાભાવનાથી ચલાવ્યું.

મારા ગુરૂજી ડૉ. આર. એન. માથુરસાહેબને આ રીતે એક શિષ્ય તરીકે મે શ્રધ્ધાંજલિ આપવાનો પ્રયત્ન ધરમપુર તાલુકાના આદિવાસીઓને નવી દષ્ટિ પ્રદાન કરી.

નંદિમ્રામ, વાંકલ (ધરમપુર) નેત્રયજ્ઞો - ૧૯૯૦

એકવાર સૂફી સંત - ઓલીયા - નિર્દોષ ભગવાનના માણસ એવા લેખક શ્રી મકરંદ દવેને એમના આશ્રમ ખાતે મળવાનું થયું. એમના જેવા માણસ લાખોમાં એક હોય છે અને તેમને મળ્યા પછી સર્વમાનવપ્રેમ, સરળતા અને સાદગી ન શિખાઇ તો જ નવાઇ. તેઓ આશ્રમમાં દર્દીઓ માટે સારવારની સુવિધા ધરાવતા હતા. ત્યારે તેમના આમંત્રણથી ચાર - પાંચ વખત ગુરૂવારે ૧ થી ૩ નેત્રયજ્ઞો મે ડર્યા હતા.

ગ્રામ સેવા ટ્રસ્‍ટ, ખારેલ નેત્રરોગ નિષ્ણાત તરીકે સેવા

૧૯૯૪માં મારા સહાધ્યાયી અને મિત્ર ડૉ. અશ્વિન શાહ અને ડૉ. હર્ષા શાહે ખારેલની હોસ્પિટલને નવપલ્લવિત કરી નવેસરથી કારોબારીની રચના કરીને એમના સ્વપ્નની ગ્રામસેવા કરવા હોસ્પિટલ ચાલુ કરી. મૈ આંખના નિષ્ણાત તરીકે બુધવાર અને શુક્રવારે સેવા ચાલુ કરી. બન્ને દિવસે બપોરે ર થી ૪ આંખના દર્દીઓની સારવાર કરતો.

મારા ઉત્સાહના અનુરૂપ મારા તપાસના સાધનો અને ઓપરેશનના સાધનો હું બીલીમોરાની મારી આંખની હોસ્પિટલમાંથી લઇ જતો.


દર બુધવારે મોતીયાના ઓપરેશન કરી શુક્રવારે ડ્રેસિંગ કરી દર્દીને રજા આપતા. હોસ્પિટલમાંથી દવા - ચશ્મા વગેરે મફત આપતા.

બીલીમોરાની રોટરી કલબ અને બીજા દાતાઓની મદદથી દર બે 2ણ મહિને મફત મોતીયાના ઓપરેશન માટે નેમ્રયજ્ઞનું આયોજન કરતા. ઓપરેશનમાં બીજા આંખના સર્જન તરીકે ડૉ. દર્શના નાયક અને એનેસ્થેટીસ્ટ તરીકે ડૉ. હીરેન નાયક અથવા ડૉ. ભરત નાયક સેવા આપતા. દર વખતે ૫૦ થી ૬૦ દર્દીઓ ઓપરેશન કરાવતા.

મારા બીલીમોરાના અને અમલસાડના દર્દીઓ ઉપરાંત ખારેલ પંથકના લોકો આ સેવાનો લાભ ઉઠાવતા.

૧૯૯૪માં શરૂ થયેલ સીલસીલો પાંચ વર્ષ ચાલ્યો.

ચીખલી , રોટરી આઇ હોસ્પિટલ ખાતે સેવા

ઓગસ્ટ, ૨૦૦૪ થી જુન, ૨૦૧૫

ખારેલ ગ્રામસેવા ટ્રસ્ટમાં લગભગ પાંચ વર્ષ સેવા આપ પછી ધર્માદા આંખની હોસ્પિટલમાં સેવા કરવાની મહેચ્છા રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે પુરી કરી.

રોટરી કલબ દ્વારા નિર્મિત અને સંચાલિત આંખની હોસ્પિટલને સેવાભાવી ડૉકટરની જરૂર હતી તેવું ડૉ. કિરણભાઈ શાહ અને ધર્મેશ કાપડીયાએ મને જણાવી આમંત્રણ આપ્યું હતું. લગભગ નગણ્ય માનદ્વેતન નક્કી કરી. રોટેરીયન જયંતિભાઇ ઘેલાભાઇ પટેલ રોટરી આઇ હોસ્પિટલ, ચીખલી ખાતે સવારે બે કલાક અને સાંજે બે કલાક સેવા આપવાનું શરૂ કર્યું. ઓગસ્ટ, ૨૦૦૪ થી મારી વયમર્યાદા ૬૫ (પાંસઠ) વર્ષ થતાં જુન, ૨૦૧૫ સુધી સેવાઓ આપી.

આંખની તપાસ રૂ. ૧૫માં અને ઓપરેશન આશરે રૂ. ૧,૫૦૦માં (લેન્સ - ધ્વા - ઓપરેશન સહિત) કરતા હતા.

વર્ષ દરમ્યાન દાન મળતાં ઓછામાં ઓછા ચાર - પાંચ નેત્રયજ્ઞો કરી મફત તપાસ અને મફત ઓપરેશનનું આયોજન પણ કરતા હતા.

ઓટો - રિફેકટોમીટર, માઇકોસ્કોપ, ફેકો અને લેસર જેવા સાધનોથી સજ્જ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓની સેવા કરવાની સારી મોકળાશ રહેતી.

બીલીમોરા - ચીખલી રસ્તો ખાડાથી સંપૂર્ણ રીતે ખરાબ થયો હતો. જે જાતે કાર ચલાવવા ત્રાસદાયક હતો. ઉપરાંત ચીખલી જવાને કારણે બીલીમોરાની મારી પ્રેકટિસને પણ ધક્કો લાગતો હતો - નુકસાન થતું હતું. પણ ગરીબોની સેવા કરવાની ધૂનને કારણે આ નેત્રસેવા લગભગ ૧૦ - ૧૧ વર્ષ કરી શક્યો હતો.

ભણસાલી ટ્રસ્‍ટ આયોજીત બોધિગયા, બિહાર નેત્રયજ્ઞ

મારા મિત્ર ડૉ. સુનિલ ઠક્કરની પુત્રીના લગ્નમાં અમે ડીસા (૨૦૦૦) ગયા હતા. ત્યાં ડૉ. કિશોર અસ્નાનીએ બોધિગયામાં ચાલતા નેત્રયજ્ઞમાં જોડાવા. મને આમંત્રણ આપ્યું અને અચાનક સેવાની નવી દિશા મળી.

પાલનપુરમાં ગાંધી - લિંકન જનરલ હોસ્પિટલ ચલાવતા ભણસાલી ભાઇઓ મુંબઇ હીરાબજારમાં પુષ્કળ અર્થાપાર્જન કરતા હતા, તેથી સમાજસેવા કરવાની અદમ્ય ઇચ્છા તેઓ રાખતા અને તેમણે બિહારના અતિગરીબ લોકોને નેત્રરોગ મોતીયાના ઓપરેશન દ્વારા અંધાપામાંથી મુક્તિ અપાવવાનું બીડું ઝડપ્યું હતું.

ડીસાના ડૉ. અસ્નાનીને તેમના આંખના સર્જન મિત્રો સાથે બિહારના બોધિગયા ખાતે નેત્રયજ્ઞનું આયોજન કરવાનું સોંપ્યું.

કેમ્પના ત્રણ મહિના પહેલાં તેઓ જીપ - માઇક અને સ્ટાફના સભ્યોને મોકલી ગામેગામ આ નેત્રયજ્ઞનો પ્રચાર કરવા મોકલતા હતા અને ત્યાર પછી મોતીયાનું નિદાન કરી શકે એવા સ્વયંસેવકો દ્વારા ગામડે ગામડે તેમને મોકલી મોતીયાના ઓપરેશનની જરૂરિયાતવાળા દર્દીઓને બોધિગયા ઓપરેશન માટે આવવાની તારીખનો કાર્ડ આપતા.




કારતક સુદ છઠનો તહેવાર બિહારમાં છઠ પૂજા તરીકે ભક્તિભાવથી ઉજવાય છે - તે દિવસથી દોઢ મહિના સુધી આ નેત્રયજ્ઞ કરવામાં આવે છે. વિશાળ મેદાનમાં તંબુઓ દ્વારા ઓપરેશન થીયેટર, ડ્રેસિંગ માટેની જગ્યા અને દર્દીની રહેવાની પથારી ઉપરાંત રસોડું ઉભું કરવામાં આવતું.

ઓપરેશનમાં જોડાવા માંગતા ડૉકટરોને ડૉકટરના નિવાસેથી દિલ્હી અને દિલ્હીથી ગયા સુધી રાજધાની એક્ષપ્રેસની ટિકિટ રિઝર્વ કરાવી અપાતી. પોતાની અનુકૂળતા મુજબ ડૉકટરો ૧૦ - ૧૫ કે ૨૦ દિવસ રહી ઓપરેશન કરતા. એક રૂમમાં ત્રણ ડૉકટરોને હોટેલના રૂમમાં નિવાસ કરાવાતો. પરત વતન પહોંચવાની સગવડ કરાતી.

ડીસાની આજુબાજુના આંખની હોસ્પિટલના સ્ટાફને અને નર્સને - ડૉકટરને મદદરૂપ થવા રોકવામાં આવતા. પરચૂરણ કામ માટે પી. ટી. સી. કોલેજ કે બીજી કોઇ કોલેજના ૧૦૦ - ૨૦૦ વિદ્યાર્થીઓને મહિના માટે લાવી રખાતા. સફાઇ કામદારો અને ગાંધીવાદી સ્વયંસેવકો પણ સફાઇકામમાં જોડાતા.

સવારે પાંચ વાગ્યે જાગીને છ વાગ્યા સુધીમાં ચા - નાસ્તો પતાવી દરેક ઓપરેશનમાં જોડાવાનું રહેતું. બપોરનું ભોજન ઓપરેશનના સ્થળે પીરસાતું. સાંજનું ભોજન રસોડામાં થતું. રાત્રિના આઠ સુધી કાર્યકમ ચાલતો.

સવારથી રાત્રિ સુધીમાં દરેક ડૉકટર સરેરાશ ૧૦૦ ઓપરેશન કરતા. આમ, ૧૫ ડૉકટરો ૧,૫૦૦ જેટલાં ઓપરેશન કરતા અને દોઢ મહિના ચાલતા નેત્રયજ્ઞમાં ૫૦ - ૬૦,૦૦૦ ઓપરેશન દર વર્ષ થતાં.


મે પહેલીવાર ૧૦ દિવસમાં ૫૦૦, બીજે વર્ષે ૨૦-૨ર દિવસ રોકાઇ ૧,૫૦૦ - આમ ૨૦૦૦ થી ૨૦૦૫ સુધીમાં, પાંચ વર્ષમાં લગભગ ૫,૦૦૦ ઓપરેશનો બિહારના ગરીબ લોકોને દષ્ટિ પ્રદાન કરવાના હેતુથી કર્યા.

ડૉકટરો અને બાકીના બધા મળી ૫૦૦ - ૬૦૦ વ્યક્તિઓ સેવાભાવનાથી ગુજરાતના અમદાવાદ - ડીસા - વડોદરા - સુરત જેવા સ્થળેથી બોધિગયા આવી સેવાની સુવાસ ફેલાવી વતન પરત થતા.

ભણસાલી ટ્રસ્ટની સેવાભાવના જેટલી બિરદાવીએ એટલી ઓછી.

ઉપસંહાર
છેલ્લાં પચાસ વર્ષના આંખના નિષ્ણાત તરીકેના જીવનના હિસાબ - ટૂંક ઇતિહાસને મેં મારા સંતોષ ખાતર શબ્દદેહ આપ્યો છે.

મને ખબર છે કે ગરીબી શું છે કારણ કે બાળપણમાં મેં કારમી ગરીબી જાતે અનુભવી છે. ત્યારે ભણતરનો ઉપયોગ સમાજસેવા માટે કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે.

અત્યારે જીવનના ૭૬માં વર્ષે મને સંતોષ લાગે છે - જીવન સાર્થક ગયું છે, ત્યારે છેલ્લાં વર્ષો આનંદથી પસાર કરવાનો નમ્ર ઉદ્દેશ સાથે હું સંપૂર્ણપણે સેવા નિવૃત થઇ વરિષ્ઠ નાગરિક જીવન પરિવાર - સ્વજનો અને સહદયી મિત્રો સાથે વિતાવું છું.

પૈસા કમાવા ભણતર નહી, ગણતર જરૂરી છે.
મારી જીવનયાત્રા (આત્મકથા) - ગોવિંદ ધોળકિયા

Diamonds are forever. So are morals. 
From nothing to everything.. a divine journey. 

૭૫ વર્ષ વિતાવી ચુકેલ ગોવિંદ ધોળકિયાની આત્મકથાનું પુસ્તક વાંચ્યા પછી વ્યક્તિપરિચય માટે પુસ્તક પરિચય લખવાનું મન થાય એ સ્વાભાવિક છે, ત્યારે પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કંઠા થાય એટલી જ મર્યાદિત માહિતી આપવું યોગ્ય છે.

વર્તમાન મા-બાપો બાળકના અભ્યાસ માટે ખૂબ ખર્ચ અને ખૂબ ફિકર રાખતા હોય ત્યારે આ પુસ્તક તેમને માર્ગદર્શક બની શકશે. પૈસા કમાવા માટે ફકત ભણતર નથી ચાલતું તેટલું જાણશો, તો ગોવિંદ ધોળકિયા (સ્વભાવને કારણે ગોવિંદભગત કહેવાતા)નું પુસ્તક સફળ ગણાશે. છઠ્ઠા ધોરણમાં નાપાસ થઇ ભણવાનું માંડી વાળનાર વિદ્યાર્થી “ઓનરરી ડૉકટર”ની પદવી શી રીત મેળવે કે પછી તાલીમાર્થી તરીકે છ મહિના કોઇ પણ જાતનું વળતર વગર, ત્યારપછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાઇ અને આજે ૬,૦૦૦ લોકોને રોજીરોટી આપવા છતાં અબજોપતિ શી રીતે બની શકે તે જાણવા ૩૬૮ પાનાનું પુસ્તક વિગતે વાંચવું જ રહ્યું.

પુસ્તકનો સાર છેલ્લે કહેવાને બદલે હું પહેલાં જ કહીશ. એમના જીવનના ત્રણ સિદ્ધાંતો શાંતિથી સમજવા અને જીવનમાં ઉતારવા અનિવાર્ય છે તે હું પહેલા કહીશ.

જીવનમૂલ્ય ત્રિવેણી મૂળભૂત સિદ્ધાંતો 

૧. માનવીની સર્વપ્રવૃત્તિઓમાં પ્રામાણિકતા અને નૈતિકતા હોવા જોઇએ.
૨. કોઇ અદ્રશ્ય શક્તિ કે ભગવાન બધું સંચાલન કરે છે.
૩. જીવનના કેન્દ્રમાં પોતાનો પરિવાર હોવો જ જોઇએ. “જેના અન્ન ભેગાં, એનાં મન પણ ભેગાં”.

I am nothing, but I can do anything. 

જીંદગીમાં ખોટું કર્યા વગર પણ ધનવાન થઈ શકાય છે.

करिष्ये वचनं तव : આપની આજ્ઞાનું પાલન કરીશ.
मामेकं शरणं वज : મારા એકલાના શરણે આવ. (ભગવદ્ગીતાજ્ઞાન)

કૌટુંબિક વિગતો

બાપદાદા ધોળકાથી નીકળ્યા હોવાથી ધોળકિયા કહેવાયા.

દાદા: કાનજીદાદા
પિતા: લાલજીદાદા
માતા: સંતોકબા
જન્મ: તા. ૦૧-૧૧-૧૯૪૯, ગામ : દૂધાળા જી. અમરેલી
પત્ની: ચંપાબહેન લગ્ન : તા. ૦૩-૦૭-૧૯૭૧ નાની વાવડી ખાતે
સાત ભાઇ બહેનો (અનુક્રમે ઉમર પ્રમાણે): ભીમજીભાઇ, નાગજીભાઇ (રિયલ એસ્ટેટ ડેવલપર), શાંતાબહેન, પરબતભાઇ (ડાયમંડ ટ્રેડિંગ), ગોવિંદભાઇ (પોતે), દેવકુંવરબેન અને અરજણભાઇ
બાળકો: મીનાક્ષી (જન્મ ૧૯૭૮), શ્રેયાંશ (જન્મ ૧૯૮૭), શ્વેતા (જન્મ ૧૯૮૩), પૌત્ર ઇશ (જન્મ ૨૦૧૩)

બાળપણ 

દૂધાળા ગામમાં કારમી ગરીબીમાં મોટા થયા.

ભોજનમાં ફકત રોટલા મળતા (બાજરાના કે જુવારના).

દર અઠવાડિયે કે પંદર ધ્વિસે સ્નાન.

શાળામાં અક્ષર સારા ન હોવાથી નાપાસ થયા, ત્યારે મા પાસે પાસ થયા છે એવું પ્રથમવાર જુઠું બોલ્યા. ત્યારથી સાચું જ બોલવાની પ્રતિજ્ઞા લીધી.

પ્રથમ આવકનો પ્રયત્ન : લાઠી જતાં ઘેલાભાઇ રાજપુતની શાકભાજીની ગાંસડી ઉચકીને છ આના કમાવા કોશિશ કરી, પણ કામ ન મળ્યું.

પછી જન્માષ્ટમીના મેળામાં ત્રણ રૂપિયાના કાકડી, ફુગ્ગા અને પપૂડાં ખરીદી દૂધાળા ચોકમાં રામજી મંદિરે ગોવિંદો (આપણા ગોવિંદભાઇ) વેપાર કરવા બેઠા. સાડા ત્રણ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો.

બાળપણની છોડેલી કુટેવો

ધ્રુમપાન: બાળપણમાં બીડીના ઠુંઠા વીણીને પીવાનું શરૂ કર્યું. પાંચ-સાત વખત બીડી પીધા, પછી ધ્રુમપાન કાયમ માટે છોડયું.

જુગાર: જન્માષ્ટમીના દિવસે રમાતો જુગાર રમી એકાદ કલાકમાં ત્રણ રૂપિયા જીત્યા. ત્યારપછી જુગાર ન રમવાની પ્રતિજ્ઞા લીધી.

ખોટી રીતે પૈસા ન કમાવાની માન્યતા અને વિશ્વાસ દઢ થયાં.

ખેતરમાં સાપ પસાર થતાં દેખાયો, ગાય કે વાછરડાંને ડંખ ન મારે તેટલા ખાતર સાપને પાવડો માર્યો, ત્યાં જ સાપ ક્ષણમાં જ મૃત્યુ પામ્યો. ત્યારથી કોઇ પણ જાતની હિંસા ન થાય તેની સતત કાળજી રાખી. 

લાઠીમાં ચૌદેક વર્ષનો છોકરો પોતાની પાસેના પાંચ પૈસા પડાવવા દબડાવવા લાગ્યો. સામનો કરી પૈસા બચાવ્યા. ત્યારે મન, વચન અને કર્મથી નિર્ભયતાના પાઠ ભણ્યા. 

આમ, બાળપણની ગરીબી વચ્ચે નીતિમત્તા, અહિંસા અને નિર્ભયતાના પાઠ ભણ્યા. વેપાર શીખ્યા.

મારો વાંચનનો શોખને કારણે મેં ઘણી આત્મકથાઓ વાંચી છે. આ પુસ્તકમાં બે વસ્તુઓ નવીન અને અનુકરણીય છે - જે બીજે કયાંય નથી. જીવનકથાના દસે પ્રકરણોના અગત્યના મુદાનો સાર અંતમાં છે અને બીજું ત્રણ પરિશિષ્ટોમાં જીવનતવારીખ હદ્યસ્થ સૂત્રો અને ૭૨16 કંપનીની નીતિના સિદ્ધાંતો. આ બાબતો કદાચ પહેલાં વાંચીશું, તો દરેક પાઠ વિગતવાર સમજવામાં અનુકૂળતા રહેશે.

વ્યાવસાયિક ઘટનાક્રમ

તા. ૦૨-૦૪-૧૯૬૪ સુરત આવીને છ મહિના વગર પૈસે હીરા ઘસવાનું કામ ગોરધનદાસ ખરસલિયાના કારખાને શીખ્યા. પછી પ્રથમ મહિને રૂ. ૧૦૩ કમાણીથી જીવનની શરૂઆત કરી. તા. ૦૨-૦૮-૧૯૭૦ વીરજીભાઇ અને ભગવાનભાઇ સાથે નાગોરીવાડ, સુરતમાં શ્રી રામકૃષ્ણ (SRK) નામે ઓફિસ શરૂ કરી. એપ્રિલ, ૧૯૭૦માં પ્રથમવાર મુંબઇ ઓફિસ શરૂ કરી અને રૂ. ૯૨૦ના રફ હીરા ખરીધ્યા. ત્યારથી ૧૯૭૫ની પાર્ટનરશીપ વિભાજીત થઇ અને ત્રણ કંપનીઓ બની. ૧૯૯૭માં ૧૭૦૦ રત્નક્લાકારો કામ કરી શકે અને ટ્રેનિંગ આપવા શ્રી રામકૃષ્ણ કોમ્પલેક્ષ અને SRK Institute of Diamond ની સ્થાપના કરી. ૧૯૬૪-૨૦૧૪ પચાસ વર્ષ નિમિત્તે ઉજવણી. ત્યાંથી આગળ વધતાં તે હોંગકોંગ, એન્ટવર્પ, ન્યુયોર્ક, કેનેડા, રશિયા સાઉથ અફ્રીકા જેવા ઘણા બધા દેશોમાં હીરા ઉદ્યોગ આગળ વધાર્યો. છેલ્લે ૬,૦૦૦ રત્નકલાકારોને વ્યવસાય આપી પોતે અબજોપતિ બન્યા. કંપની ૧.૮ અબજ અમેરિકન ડોલર (USD 1.8 Billion) કમાણી કરતી થઈ. હીરા ઉદ્યોગમાં ગોવિંદભાઇ નિષ્ક્રિયતાને ભગાવી દિવસમાં ૧૪ કલાક કામ કરી ખૂબ મહેનત, આપલગન, સતત આગળ વધવાની ધગશ અને માણસ પારખવાની કળાથી સફળતાને વર્યા.

સફળતા માટે તેમના સૂત્રો:

૧. સફળતા મારે લીધે હોવાનું માનશો નહી. : કોઇ પણ કાર્ય સંપન્ન થવા પાછળ ઘણા પરિબળો હોય છે. 

૨. જે કંઇ કાર્ય કરો તેમાં શરીર, મન હદય એમ ત્રણેનો વિનિયોગ કરવો જરૂરી છે.

૩. જવા દેવાની વૃત્તિ રાખો.

૪. ભગવાન અને ભાગ્યમાં શ્રધ્ધા રાખી સતત કાર્યરત રહો.

પ. જે લોકોની જરૂર હોય ત્યારે તેવા લોકોને મેળવવાનું અને અલગ કરવાનું ઉપરવાળો જ ગોઠવે છે.


“ઉર્ધ્ધગમન” Ascend: ટેકનોલોજી અપગ્રેડ કરી, કમ્પ્યુટર-આધારિત વ્યવસ્થાપન પદ્ધતિ ઉભી કરી, ફેકટરીના વિસ્તરણ માટે આધુનિક મકાન બનાવ્યું.

એવોર્ડ

એમને મળેલા ઘણા બધા એવોર્ડમાં સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા મળેલ “સૂર્યપૂર રત્ન એવોર્ડ” અને ઇન્ડસ્‌ યુનિવર્સિટી, અમદાવાદ દ્વારા અપાયેલ “માનદ્‌ ડૉકટર” (D.Phil) ની પદવી મુખ્ય ગણાય.

પરિવાર

એમનું સૂત્ર છે, ભવિષ્યની પેઢીનું નિમાર્ણ કરો. હિરણ્યગર્ભ બનાવો.

પહેલાં રપ વર્ષ ભગવાનભાઇ અને વીરજીભાઇ સાથે ભાગીદારી કરી. ૧૯૯૫માં છૂટાં પડતાં SRKના માળખાનું નવીનકરણ કર્યું.

પ્રથમ રાહુલભાઇ, જયંતિભાઇ, દિનેશભાઇ અને અરજણભાઇને સાથે લીધા. નાગજીભાઇને રિયલ એસ્ટેટ ડેવલપર અને પરબતભાઇ ડાયમંડ ટ્રેડિંગમાં લગાડયા.

ત્યાર પછીની પેઢીમાં શ્રેયાંસ, અક્ષય, નિરવ, અર્પિત અને નીરવને લીધા. તેઓ તાલીમબધ્ધ, કેળવાયેલ અને નવી ટેકનોલોજીના જાણકાર છે. નવી પેઢીના કેવીન, ઉત્કર્ષ, દર્શિલ, ધુવલ, રાજ તેજ, ધુવ અને ક્રિસ ઉગતા સિતારાઓ છે.

આમ, પરિવારને કેન્દ્રમાં અને સાથી બનાવીને પેઢીનો વિકાસ કર્યો છે. પરિવારના છ પેઢીના ૧૫૦૦ સભ્યો સૌ સાથે દર નવરાત્રિએ ભેગા નિયમિત મળે છે.

સમાજસેવા

કમાવું જેટલું ભારી છે તેનાથી વધારે ભારી સમાજને દાનમાં પરત કરવું છે. એમની સફળતાનું રહસ્ય સમાજસેવા જ છે, એમ સ્વીકારવું રહ્યું.
  • ૧૯૭૫માં પ્રથમદાન રૂ. ૫૧,૦૦૦ પિતાના નામે દામ કર્યું અને “લાલજીભાઇ કાનજીભાઇ પટેલ વાડી”ની સ્થાપના કરી.
  • સાત મિત્રો ભેગા મળી “સોરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ” સ્થાપ્યું.
  • “સૌરાષ્ટ્ર પટેલ સમાજ ટ્રસ્‍ટ” બનાવી ૧,૦૦૦ જોડીના સમુહલગ્ન સાદાઇથી કર્યા. પોતાના પરિવારસભ્યને જોડી દાખલો બેસાડયો.
  • દીકરી મીનાક્ષી કમળામાંથી સાજી થવાની ખુશીમાં - દૂધાળા રામજીમંદિર જિર્ણોધ્ધાર, “પડદા પ્રથા”માંથી બહેનોની મુક્તિ કરાવી.
  • જરૂરિયાત મંદોને આર્થિક મદદ માટે ટ્રસટ બનાવ્યું.
  • ૧૯૮૩ - દીકરી શ્વેતાના જન્મની ખુશાલીમાં દર અઠવાડિયે શનિવારે સત્સંગ માટે સ્વાધ્યાય પરિવાર સ્થાપ્યો.
  • ૧૯૭૭ - દૂધાળા ખાતે દૂધેશ્વેર મહાદેવ મંદિરની સ્થાપના.
  • ૧૯૮૯ - કતારગામમાં વી.એન.ગોધાણી કન્યા વિદ્યાલય એજ કન્યાશાળામાં તબીબી સહાય માટે નંદુબા મેડિકલ સેન્ટરની સ્થાપના.
  • દુકાળ સમયે જોથાણ ખાતે “પ્રભુહદય જીવદયા ટ્રસ્ટ” સ્થાપી સૌરાષ્ટ્રથી ૨,૦૦૦ પશુઓ લાવી રાખ્યાં.
  • સૌરાષ્ટ્રની દરેક (૫૦) ગૌશાળાને રૂ. ૧ લાખ દાનમાં આપ્યા.
  • ૧૯૯૩ - Welcome Cleartiy સ્થાપી. ૨૫૦ સ્વચ્છતા સૈનિકો દ્વારા સુરતની સફાઇ.
  • ૨૦૦૮ - સાર્વજનિક એજ્યુ-સોસાયટીમાં કોલેજ સ્થાપી, નામ “શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટયુટ ઓફ કોમ્પ્યુટર એજયુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ”.
  • સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્‍ટ મારફતે પાણી બચાવવા ૧,૨૫,૦૦૦ ચેકડેમ બનાવ્યા.
  • ૨૦૧૪ - સૌરાષ્ટ્રના લોકોના પ્રવાસ માટે વિમાનો ખરીદી “વેન્ચુરા એરકનેકટ એરલાઇન્સ” શરૂ કરી.
  • ૨૦૧૪ - પચાસ વર્ષની ઉજવણી વખતે 52 અઠવાડિયામાં દર અઠવાડિયે એક નવી સેવા પ્રવૃત્તિ કરી.
  • ૨૦૧૭ - ગરીબ, રખડતાં, અભાવગ્રસ્ત બાળકો માટે “મોબાઇલ સ્કુલ” ચલાવી.
  • ૨૦૧૭ - ડાંગના ૩૦૦ ગામમાં, પી.પી.સ્વામી સાથે “ગ્રામ્યમંદિરો” બાંધ્યા.
  • ૨૦૧૭ - રૂ. ૫૦૦ કરોડના ખર્ચે ૫૫૦ ખાટલાવાળી અદ્યતન Kiran Hospital સ્થાપી. લોકોએ ચેરમેન બનાવ્યા.
આ યાદી સંપૂર્ણ નથી. ઘણું રહી ગયું છે, જેમ કે,

૨૦૦૧ - કચ્છ ભૂકંપમાં બે ગામ દત્તક લીધાં.
ગરીબોને મદદ કરવા સુરત રીલીફ સેન્ટર શરૂ કર્યા.
આદિવાસી ક્ષેત્રોમાં વનવાસી મેડિકલ કેમ્પ શરૂ કર્યા.
માલેગાંવ (ડાંગ) સંતોકબા સ્કુલ શરૂ કરી.
સુરત ટ્રાફિક માટે CCTV કેમેરા પ્રોજેકટ લોકાર્પણ.

વિશ્વભરના મહાનુભાવોને સમાજસેવા માટે બિરદાવવા “સંતોકબા માનવરત્ન એવોર્ડ” શરૂ કર્યા. સમાજસેવાને વરેલાને દર વર્ષે આમંત્રી જાહેર સમારંભમાં સન્માન અને એક કરોડ રૂ. પુરસ્કાર આપ્યો.

૨૦૨૧ - પુસ્તક અયોધ્યા રામમંદિરને રૂ. ૧૧ કરોડનું અનુદાન.

ચાલો, પુસ્તક પરિચયના અંતમાં એમના સુવિચારો જાણીએ.
૧. આપણું ધાર્યું થાય તે ભગવાનની કૃપા, આપણું ધાર્યું ન થાય તે ભગવાનની ઇચ્છા. 
૨. સફળતાનું સૂત્ર - જે કરી શકતા હો, તે વધારે સારી રીતે કરો. 
૩. નિજાનંદ માટે હંમેશા કોઇને મદદ કરતા તત્પર રહો. 
૪. આ જગતને સુધારવાની ભાંજગડમાં પડશો નહિ, પોતે જ સુધરો. 
પ. “ચાલશે, ફાવશે, ભાવશે, ગમશે” વાળી સર્વ-સ્વીકારની ભાવના અને અન્યોને માન-સન્માન આપશો, તો જીવન સંપુર્ણ સફળ થશે.

ચાલો, તીક્ષ્ણ ધંધાકીય આવડતવાળા, નિરાભિમાની, સફળ અને સેવાભાવી “ગોવિંદભગત”ને વંદન કરીએ.


Diamonds are Forever, So are Morals
  • Book Title: Diamonds are Forever, So are Morals - Autobiography of Govind Dholakia
  • Author: Arun Tiwari, Kamlesh Yagnik
  • Book reviewed by: Dr Bharat Desai, Bilimora on 16-Mar-2026
  • Pages: 380 pages
  • ISBN-10: 0670095729
  • ISBN-13: 978-0670095728
વર્તમાન સમય કલિયુગ તરીકે ઓળખાય છે તેમાં દરેક લોકો – પૈસાદાર-ગરીબ, પુરુષ-સ્ત્રી, હિન્દુ-મુસ્લિમ, યુવાન-વરિષ્ઠ કોઈપણ કારણસર કે વગર કારણો માનસિક તણાવથી પીડાય છે- ત્યારે ભગવાન- ધર્મગુરુ કે મંદિરોના શરણે જઈ તેનો ઉપાય શોધે છે – શાંતિ શોધે છે.

સમયે સમયે શ્રદ્ધા અને પૂજનના ભગવાન બદલાતા રહે છે – વર્ષો પહેલાં મા અંબાજી- શ્રી કૃષ્ણ – શ્રી રામ - શ્રી શંકર- સર્વ લોકોમાં ભજાતા હતા-પૂજાતા હતા. સમય બદલાયો નવું કે કંઈક જુદું શોધવાની ટેવને કારણે ભગવાન બદલાતા ગયા. વીરપુરના જલારામબાપા લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે વર્ષો સુધી રહ્યા. પણ જનસાધારણ એકવિધતાથી કંટાળે છે અને તેમને નવો ટેકો શિરડીના સાંઈબાબામાં મળ્યો. દરેક શુભકાર્ય પહેલાં – પરીક્ષા પહેલા કે પરિણામ પછી – લગ્ન પછી – કોઈ સાહસની શરૂઆતમાં લોકો શિરડી જઈને પગે લાગી આશીર્વાદ લેવા માંડ્યા. ત્યાંથી થાક્યા ત્યારે સારંગપુરના હનુમાન મળ્યા. મનની શાંતિ – પ્રશ્નનું સમાધાન – માનસિક તણાવનો ઉપાય આ રીતે મેળવ્યો. હવે છેલ્લા એક વરસથી ચારે બાજુ "ખાટુ શ્યામજી"નો જયજયકાર થઈ રહ્યો છે.

તો ચાલો, કલિયુગના દેવતા – હારે કા સહારા ગણાતા 'ખાટુ શ્યામજી' વિશે જાણીએ.

મહાભારતના જાણકારો આપણે સૌ ભીમને પાંડવોમાંના એક તરીકે જાણીએ છીએ. તેના પુત્ર "ઘટોત્કચ"નો પુત્રનું નામ બબરિક હતું. પિતા ઘટોત્કચ અને માતા કામકંટકટાનો પુત્ર બબરિક તે જ આપણી વાર્તાનો નાયક "ખાટુ શ્યામજી".


મહાભારતના કુરુક્ષેત્રમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે બબરિકને પોતાની પાસેના ત્રણ બાણોથી કોઈપણ લડાઈને જીતવાના આશીર્વાદ ધરાવતો હતો – તે મેદાનમાં ઉતરી પડ્યો હતો. તેની પ્રતિજ્ઞા હતી કે યુદ્ધમાં જે પક્ષ નબળો પડશે તેનો સાથ આપી જીતાડશે (હારે કા સહારા). આમ તે કૌરવોના પક્ષે હતો.

ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોના પક્ષે હતા. તેમને બબરિકની પોતાના ત્રણ બાણો વડે યુદ્ધ જીતવાની શક્તિની જાણ હતી. તેથી તેમણે પીપળાના બધા પાંદડાને બાણથી મારવાનું કહ્યું. કૃષ્ણે જાણી જોઈને એક પર્ણ પગ નીચે દબાવી રાખ્યું. પીપળાના બધા પાંદડામાં કાણાં પડ્યાં, પણ એક રહી જતાં બબરિકે કૃષ્ણને પગ હટાવવા કહ્યું. કૃષ્ણે પગ ન હટાવતા બાણ પગની આરપાર જઈ પર્ણને કાણું પાડ્યું. આનાથી કૃષ્ણને પાંડવોના હારવાની શક્યતા દેખાય.

ત્યારે, કૃષ્ણે બ્રાહ્મણના વેશે બબરિક પાસે જઈ ભિક્ષા માંગવા લાગ્યા. બબરિકે તેમને ભિક્ષામાં શું જોઈએ તેમ પૂછતા કૃષ્ણે બબરિકનું માથું માંગ્યું. બબરિકે તેમનો પરિચય માંગતા ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય સ્વરૂપમાં દર્શન આપ્યા. ભગવાન સ્વરૂપે જોતાં જ બબરિકે પોતાના માથાનું બલિદાન તરત જ આપ્યું.

ત્યારે શ્રી કૃષ્ણે બબરિકને વરદાન આપ્યું – કલિયુગમાં તમે મારા નામ 'શ્યામ'ના નામથી ઓળખાશો અને પૂજાશો. આ દિવસ ફાગણ સુદ બારસે બબરિકે બલિદાન આપ્યું હોવાથી આખો ફાગણ માસ "નિશાન યાત્રા" નીકળે છે. રાજસ્થાનના સીકર જીલ્લાના ખાટુ ગામ ખાતે મહાભારતના યુદ્ધ બાદ બબરિકનું માથું નદીમાં વહીને પહોંચ્યું. જ્યાંથી આ બબરિકનું માથું મળ્યું તે સ્થળે મંદિરનું નિર્માણ થયું. આમ, ખાટુ ગામ સ્થિત મંદિરમાં બિરાજતા આપણા બબરિકને લોકો "ખાટુ શ્યામજી" તરીકે પૂજે છે.

રાજસ્થાનના સીકર જીલ્લાના ખાટુ શહેરમાં કુરુક્ષેત્રના યુદ્ધક્ષેત્રથી નદીમાં વહેતું બબરિકનું માથું આવ્યું. તેથી 'ખાટુ શ્યામજી' મંદિરમાં ફક્ત માથું જ ધરાવતી મૂર્તિની પૂજા થાય છે.

નિશાન યાત્રા: ખાટુથી ૧૭ કિ.મી. દૂર આવેલ રીંગસ રેલ્વે સ્ટેશનથી પગપાળા પદયાત્રીઓ આખા ફાગણ માસ દરમ્યાન નીકળે છે. આ નિશાન યાત્રામાં ભગવા-લાલ રંગના ત્રિકોણીયા ધ્વજ લઈ લોકો શ્રદ્ધાભાવથી ચાલતા અંતર કાપી મંદિરે પહોંચે છે.

પહેલાં ઈ.સ. ૧૦૨૭ માં રાજા રૂપસિંહ ચૌહાણ અને તેમની ધર્મપત્ની નર્મદાકુંવરે ખાટુમાં મંદિર બંધાવ્યું. મુગલ બાદશાહ ઔરંગઝેબે તેને તોડાવ્યું પણ ઈ.સ. ૧૭૨૦ માં અભયસિંહે ફરીથી હાલનું મંદિર બંધાવ્યું.

"ખાટુ શ્યામજી"નું મંદિર સુરત ખાતે પણ છે. વર્તમાનમાં શ્રદ્ધાળુ લોકો ખાટુ શ્યામજી મંદિરના દર્શનની ચર્ચા અવારનવાર કરતા હોય છે.

એવી માન્યતા છે કે ખાટુ શ્યામજીના દર્શનથી ભક્તોને ઘણો લાભ થાય છે. જેમ કે – સાચા મનથી આરાધના કરનારના જીવનની બધી પરેશાનીઓ અને દુઃખ દૂર થઈ જાય છે – એમની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે – આર્થિક સ્થિતિ સુધરે છે – કેટલાક ભક્તો ખાતરી પૂર્વક માને છે કે તેમના કુંડનું પાણી પીવાથી ગંભીર બીમારીઓમાંથી મુક્તિ મળે છે. ઘરમાં સુખ-શાંતિ વધે છે અને આધ્યાત્મિક વિકાસ થાય છે. 'ખાટુ શ્યામજી'ને સાચા હૃદયથી પ્રાર્થના કરી દર્શન કરવાથી નોકરી-લગ્ન-સંતાન સંબંધિત બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે.

હારે કા સહારા – ખાટુ શ્યામજી હારેલા-નિરાશ-નિષ્ફળ દરેકનો સહારો બની હિંમત આપે છે. જીત-આનંદ અને સફળતા આપે છે.

હકીકતમાં મજબૂત મનોબળ, ધ્યાન અને શ્વાસ પર ધ્યાન ઉપરાંત પ્રાણાયામથી બધા પ્રશ્નો હલ કરી શકે છે. પણ ભક્તિયોગમાં માનનાર શ્રદ્ધાળુ માટે કલિયુગમાં "ખાટુ શ્યામજી" છેલ્લો સહારો છે.

ડો. ભરતચંદ્ર દેસાઈ
બીલીમોરા

વર્તમાન સમયમાં લોકોને ઉજવણી કરવાનો ખાસ શોખ જાગ્યો છે એટલે નાનામાં નાના કારણોમાં પણ ભભકાદાર - ખર્ચાળ અને મોટા મેળાવડા જેવી પ્રસંગોની ઉજવણી કરતા હોય છે. લગ્ન - જન્મદિવસ - ઉપનયન સંસ્કાર - શ્રીમંત વિધિ - ઘરનું વાસ્તુ - લગ્નના કે પોતાના ૨૫-૫૦ કે ૭૫ વર્ષ - નોકરીમાં પ્રમોશન - પરદેશગમન - પરીક્ષામાં સફળતાથી માંડીને મરણ પછીની ભોજન જેવા કારણોસર પ્રસંગો બનાવાતા હોય છે.

પ્રસંગોમાં આમંત્રણનો જ વિષય હોવાથી ઉજવણીમાં સાદાઈ - ઓછા વ્યક્તિને જોડવા કે સમૂહઆયોજન દ્વારા ખર્ચની બચત વિષયની ચર્ચા દરેકના વિવેકાધિન માની છોડીએ છીએ.

અહીં આપણે આમંત્રણ આપવાની રીતની વિવિધતા જેવી કે રૂબરૂ - ફોનથી - વોટ્સએપના સંદેશાથી કે પોસ્ટ/કુરિયર દ્વારા મોકલાતા આમંત્રણની અસર વિશે એટલું કહી શકાય કે હવેથી રૂબરૂ આમંત્રણની અનિવાર્યતા રહી નથી. કોઈપણ રીતે આમંત્રણ આમંત્રિતને પહોંચવા સાથે કમસેકમ ફોન દ્વારા આમંત્રણ મળે એવી અપેક્ષા વધારે પડતી ન કહેવાય ખરુંને?

મારી અંગત વાત એટલા માટે કરું છું કારણ કે આપણે પ્રસંગના આમંત્રણની અપેક્ષા કોની પાસે રાખી શકીએ તે વિચારવાનું છે. આપણને કોણ આમંત્રણ ન આપે તો ખોટું લગાડવાનું નથી તે વિશે મનોમંથન કરવાનું છે. આમંત્રણ ન આપીને સંબંધી કે મિત્રને અપમાનિત કરવાનો ઈરાદો કેટલે અંશે યોગ્ય છે. પ્રસંગની સફળતા આમંત્રિતોની હાજરીથી છે- એ તો હકીકત છે. તો આમંત્રણમાં વિવેક- માનમર્યાદા- સન્માન જળવાય એ ખાસ જરૂરી છે. આમંત્રણ આપવામાં કે ન આપવામાં કોઈ મહાનતા નથી- આમંત્રણ વ્યવસ્થિત રીતે, કાળજીપૂર્વક રીતભાત વર્તનની તકેદારી સાથે અપાય તે મહત્વનું છે.

મારી દીકરીના લગ્નમાં સાતસો (૭૦૦) કંકોત્રી વહેંચી હતી. સગાંસંબંધી- જાનપક્ષ- મિત્રમંડળ ઉપરાંત રહેઠાણની સોસાયટીના વ્યક્તિઓ- મેડિકલ એસો.- આંખના ડોક્ટર મિત્રો- લાયન્સ ક્લબ સંસ્થાઓ- દવાવાળાઓ- ચશ્માની દુકાનવાળાઓ- બીજા બધા સંપર્કને આમંત્રિત કર્યા હતા. હવે એ બધા પાસે તેમને ત્યાં પ્રસંગમાં આમંત્રણની અપેક્ષા રાખી શકાય કે નહીં? આપણે જેમને અંગત સ્વજન-સ્નેહી ગણતા હોય તેવાને આમંત્રી સંબંધ હોવાની સાબિતી આપ્યા પછી- તેઓ ન બોલાવે ત્યારે ખોટું લગાડવું કે નહીં?

આમંત્રણમાં એક વ્યક્તિ - બે વ્યક્તિ કે સપરિવાર લખેલ હોય ત્યારે? એક વ્યક્તિ કે બે વ્યક્તિ વાળું આમંત્રણ આપણા સંબંધ દૂરનો હોવાનું કે બિનમહત્ત્વનો હોવાનું દર્શાવે છે. તેમાં ગેરહાજર રહી શકાય - એવા આમંત્રણ ન આપીએ તે વધારે યોગ્ય રહેશે - બધા ખાસ-નિકટના-અંગત સગા સંબંધીઓ - મિત્રોને જ બોલાવો - બાકીનાને મોકૂફ કરો તે વધારે સારું.

આમ આમંત્રણ મળી ગયા પછી વિચારવાનું એ રહે છે કે જવું કે નહીં? આપણે જો આમંત્રણ ન મળે ત્યારે ખોટું લગાડતા હોઈએ તો મળે ત્યારે આમંત્રણને માન આપી અવશ્ય જવું જોઈએ. સંબંધની ઘનિષ્ટતા - તેમના દ્વારા ભૂતકાળમાં આપણી સાથે વર્તન - આ બધું વિચારીને પ્રસંગોમાં હાજરી આપવી જોઈએ.

પ્રસંગો ઘણા બધા વ્યક્તિઓને સમૂહમાં મળવાનો - આનંદ કરવાનો અને સંબંધને મજબૂત કરવાની તકો છે. તો અંગત લાગતા સ્નેહી/મિત્રોને ત્યાં હાજર રહેવાની કોશિશ કરવી જ જોઈએ. બાકી જો- બીજા અનિવાર્ય રોકાણો - માંદગી - પ્રવાસો જેવાં કારણોસર ગેરહાજર રહેવાના હો તો - આમંત્રણ આપનારને પહેલાંથી જણાવી માફી માંગી શુભેચ્છા પાઠવવી જ જોઈએ.

આમ - આપણે આમંત્રણની રીત - સંખ્યા અને તેનો પ્રત્યુત્તર સમજ્યા પછી - પોતાની રીતે મનોમંથન કરીએ અને પ્રસંગો માણીએ.

ડો. ભરતચંદ્ર દેસાઈ, બિલીમોરા.

૬-૦૩-૨૦૨૬

 

 

 

Newer Posts Older Posts Home

POPULAR THIS WEEK

  • પવિત્ર કુરાન - સારાંશ
    દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્ત...
  • સીમંત - સીમંતોન્નયન સંસ્કાર
    હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું ...
  • અનાવિલ સમાજ અને લગ્નો
    લગ્નની ઈચ્છા ધરાવનાર અનાવિલ, લગ્ન કરવામાં કેમ સફળ થતાં નથી? એ વિષે મનોમંથન કરીએ. બધી રીતે યોગ્ય ઉમેદવારો લગ્નની પરીક્ષામાં કેમ ઝળહળતી સફળતા ...
  • [Video]: વરિષ્ઠ નાગરિકનું જીવન દર્શન
    સિનિયર સિટીઝન ટ્રસ્ટ વિજલપોરની 15મી વાર્ષિક સભાના અવસરે દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પ્રમુખ ર્ડો ભરતચંદ્ર દેસાઇનું પ્રવચન (નવસારી કૃષિ ...
  • લગ્નજીવનની સમસ્યાઓ: કારણો, અસર અને મારા ઉપાયો
    છૂટાછેડા (Divorce) : છૂટાછેડા એટલે કાનુની રીતે થયેલ લગ્નનો અંત (Divorce is the termination of a legal marriage) Without marriage, there i...
  • વારસદાર (Legal Heir)
    હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિ...
  • Anavils - An Endangered Community
    After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around t...
  • Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai
    One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-writ...
  • મૃત્યુનું મનોમંથન
    ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની ...
  • શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
    યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જી...

Categories

addiction 7 ahmedabad 3 anavil 19 art 2 bangalore 2 behavior 8 biography 14 birthday 1 blindness 3 blogging 3 body 4 book 35 buddhism 4 camera 2 career 4 cataract 1 change 1 charity 1 childhood 3 children 25 china 1 christianity 5 city 4 cleanliness 1 commitment 1 communication 4 community 4 computer 4 conflict 1 courtesy 2 crime 1 culture 16 cyber world 3 daughters 6 death 16 dedication 1 devotion 1 diet 1 doctor 8 education 10 emotions 8 english 1 environment 1 ethics 1 exercise 3 expectations 3 eye 10 eye-bank 3 eye-care 9 eye-donation 5 facebook 12 family 42 Featured 1 festival 1 fiction 3 finance 4 fitness 6 food 3 formality 2 friendship 17 gadgets 3 God 6 gujarat 23 habit 7 happiness 4 hatred 1 health 16 help 1 hinduism 30 history 26 hospital 1 hospitality 1 human-eye 5 humanity 2 husband 1 india 36 inheritance 2 inspirational 1 internet 3 islam 5 jainism 1 japan 2 jealousy 1 karma 3 kashmir 1 language 2 law 3 legal 3 library 1 life 53 lifestyle 8 literature 4 loneliness 1 love 10 luck 2 manners 4 marriage 19 medical 7 meditation 6 mental 1 mind 23 money 10 mother 6 movie 1 mumbai 1 mythology 2 nationalism 2 nature 3 nostalgia 1 novel 2 old-age 21 opinion 3 pakistan 9 parents 27 Parsi 1 partition 1 parvati 1 patient 2 people 74 philosophy 1 photography 2 politics 6 power 3 prejudice 1 privacy 2 professionalism 4 pune 1 reading 3 relations 22 religion 34 respect 2 retirement 2 review 30 rituals 7 safety 3 school 1 security 2 service 3 shiva 4 sleep 1 social media 19 society 53 speech 11 spiritual 13 stress 5 success 1 taoism 2 technology 6 television 1 terrorism 1 testament 1 tradition 1 travel 17 twitter 2 unique 1 video 8 wedding 5 wife 4 will 1 women 6 work 5 writing 1 yoga 4 youth 3 ગુજરાતી 80
Powered by Blogger

ABOUT THE AUTHOR

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length.

ABOUT THE BLOG

When I started writing on my blog, I used to ask myself if I should write at all. If yes, why? I would like to share my views on this topic with you.
I write for myself. This may sound egoistic, but it is self-explanatory as well. Because I want freedom from my thought cycle, I get mental catharsis by just writing out whatever it is. While having some serious events with myself, say the death of my mother first and then father, writing down makes a record of my emotions at a given time which I’m never going to repeat.
I do write for my daughter Vaishali, son Rahul and their friends. I want to tell my experiences and let them know about me. I have done this in Life At 60 article series – it is my mini-autobiography, telling all about me. Article on Marriage, Parents in old-age homes, etc. are other such articles.

SUBSCRIBE & FOLLOW

Copyright © Dr. Bharat Desai's Blog. Designed by OddThemes