તાઓ ધર્મ

December 08, 2022 , , 1 Comments

વિશ્વના ધર્મોનો અભ્યાસ મેં ભારતના ધર્મો-હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, અને બુદ્ધ-ના અભ્યાસથી શરૂ કર્યો. ને ત્યાર પછી ચીનના ધર્મની ઉત્કંઠા જાગી. ત્યાં તાઓ ધર્મ મળ્યો. ચીનમાં ત્રણ ધર્મોના અનુયાયીઓ છે : કન્ફ્યુશિયસ, તાઓ અને બુદ્ધ.

તાઓ ધર્મના સ્થાપક લાઓ ત્સે ચીનના ‘ચૂ’ રાજ્યના ‘કૂ’ પ્રાંતમાં લી પ્રદેશમાં ઇ.પૂ.૬૦૪માં જન્મ્યા હતા. તેમણે સ્થાપેલ ધર્મનું નામ “તાઓ” TAO – તેનો અર્થ સ્વર્ગનો માર્ગ કે અમર આત્મા થાય છે. લાઓ-ત્સે કહે છે : તાઓ એક જ છે. તે અનાદિ અને અનંત છે. તે અપૌરુષેય, અનંત, અજેય, અશરીરી અને અભૌતિક છે. તાઓ સર્વત્ર છે. સગુણ ઈશ્વરને તેણે પેદા કર્યો છે.

તાઓ ધર્મમાં સાધુ-સાધ્વીઓ હોય છે. તેઓ પીળી ટોપીઓ ધારણ કરે છે અને જગતનો ત્યાગ કરીને ગુફા, જંગલ અને પહાડોના એકાંતમાં વસે છે.

તાઓ ધર્મના મુખ્ય સિદ્ધાંતો
  • સાદાઈ – Simplicity - Patience and Compassion 
  • અકર્મણ્યતા – Inaction 
  • સંવાદીતા – Harmony 
  • મુક્ત કરો – Let-goતાઓ આખા ધર્મના સિદ્ધાંતો સરળભાષામાં અહીં આપેલ વિગતો દ્વારા આપવાનો હું નમ્ર પ્રયાસ કરું છું. 
તાઓ 


જેને કહી શકાય તે પરમ તાઓ નથી.

  • સામાન્ય બનવું, ખરેખર સાચું અસામાન્યપણું છે-સાધારણપણું છે. 
  • સત્સંગનો અર્થ છે – તેની સાથે હોવું. 
  • સૂર્ય ઊગે છે અને સુંદર છે તો બોલવાનો શું અર્થ ? સૌંદર્ય માટે અનુભૂતિ જરૂરી છે – અભિવ્યક્તિ નહીં. જરૂરી છે – નિર્વિચાર – ની : શબ્દતા – મૌન. 
  • પસંદગી કર્યા વગર – પસંદગી વિહોણા – બની જાવ – અને જિંદગીને વહેવા દો. 
  • વિરોધી હોવાનું સૌંદર્ય. 
  • વિરોધી તત્વો વાસ્તવમાં વિરોધી નથી – પણ પૂરક છે. તેઓ સ્વતંત્ર કે પરતંત્ર નથી – પરસ્પરાવલંબી છે – આમ જીવન ન તો સ્વાવલંબી તેઓ સાથે મળીને સંપૂર્ણતા કરે છે. દા.ત. પ્રેમ-ઘૃણા, અંધકાર-પ્રકાશ, કામ-આરામ, જિંદગી-મૃત્યુ, 
  • લાઓત્સે કહે છે – જો તમે દાવો કરો છો તે દાવો નામંજૂર થઈ શકે – પણ દાવો જ ન કરો તો ? – તે જ રીતે – માંગો નહીં અને મળશે – વિજેતા બનવાની કોશિશ ન કરો, તમને કોઈ હરાવશે નહીં. 
સહજતા = પ્રબુદ્ધતા એટલે કુદરતી સહજતા, સરળતા અને શૂન્યતા

  • તમે તમારા પ્રત્યે સાચા બનો – તમે તમે જ બની રહો
  • જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે – જિંદગી કોઈ ઉપયોગિતા માટે નથી. જિંદગી રસ્તાની બાજુમાં ઉગેલા ફૂલ જેવી છે – ફૂલ કોઈને ધ્યાનમાં રાખી નથી ખીલ્યું – તે સુવાસ પવન સાથે ફેલાવે છે – સરનામાને ધ્યાનમાં રાખ્યા સિવાય – તે તેનો પોતાનો નિજાનંદ છે – પોતાનું હોવાપણું છે. 
  • તીવ્ર આકાંક્ષાની મૂર્ખામી છોડો – આકાંક્ષા જ અવરોધ છે. 
  • જ્યાં સુધી તમારી અંદર એક ખાલીપણું, એક શૂન્યતા ઊભી ન થાય ત્યાં સુધી તમારી વચ્ચેનો અવરોધ કેવી રીતે દૂર થાય ? જો ખરેખર પ્રેમ કરવા અને મેળવવા માંગતા હોય તો, તમારે અદ્રશ્ય થવું પડશે – જેથી તમારી શુદ્ધ અને તાજી શૂન્યતા બને. પછી ફૂલની જેમ પ્રેમ ખીલી શકે. 
  • મહત્વાકાંક્ષાની કડી પૂર્ણતા થતી નથી – કારણ મહત્વાકાંક્ષાનો કોઈ અંત નથી – તમે એક ઈચ્છા પૂરી કરો ત્યાં બીજી હજારો ઈચ્છાઓ તરત પેદા થાય છે. 
  • જ્યારે તમે તમારા ખાલીપણામાંથી આપતા હો છો ત્યારે તમે આપવાથી ભયભીત થતાં નથી – કારણ ખાલીપણું કદી ખૂટતું નથી – તમે આપ્યે જ જાવ છે. 
  • અસ્તિત્વ સહેતુક અને અર્થસભર છે. 
  • લાઓત્સે અપ્રદુષિત અને શુદ્ધ રહી શકે છે કારણ કે તે સમાધાન કરતો નથી. તેની સમગ્રતા જ રહસ્યમય છે. કારણ કે તે જંગલ જેવો, નિયમો વિનાનો, બિન્દાસ વિકાસતો હશે – એ જ સુંદરતા છે – મહાનતા છે. 
તાઓના લક્ષણો
  • ધાર્મિક વ્યક્તિ હંમેશ અહીં અને અત્યારે હોય છે. તે વર્તમાનમાં હોય છે. તે સંપૂર્ણતામાં જીવતો હોય છે. 
  • ધર્માચાર્યોએ તમારા ભગવાનને મોટામાં મોટા અત્યાચારી તરીકે ચીતર્યા છે. તે ભગવાન જાણે કે લોકોને નર્કમાં નાખવા ઉકળતા તેલમાં નવડાવવા કે અગ્નિમાં નાખવા નવરો ન હોય ! 
  • તમે મૃત્યુથી એટલા માટે ભયભીત છો, કારણ તમે જિંદગીને સંપૂર્ણતાથી જીવ્યા નથી – ડર ન જીવાયેલી જિંદગી સાથે છે. જ્યારે કોઈ વસ્તુ પૂરેપુરી બને છે ત્યારે તમે તેનાથી મુક્ત થાવ છો – જો જિંદગી ખરેખર જિવાઈ હોય તો કોઈપણ તેનાથી મુક્ત થઈ શકે છે. 
  • ઈશ્વર એટલે ખાલીપો – ખાલીપણું અને શૂન્યતા. તમે ખાલીપણાથી શૂન્ય સાથે જન્મો છો અને તેમાં રહો છો અને ઓગળી જવા છો. ઈશ્વર અગાધ છે, તેની કોઈ સીમા નથી. ખાલીપણા સાથે ફરો – ખાલીપણા સાથે જીવો. 
  • અસ્તિત્વનો સ્વભાવ સ્ત્રી જેવો વધુ છે. 
  • જગત સમયના ભાન વિના જ ચાલે છે. ઘડિયાળો – વૃક્ષો, નદીઓ અને પહાડો માટે નથી. તેમ સમય વિનાનું જગત છે. 
  • અસ્તિત્વને સંઘર્ષની જેમ નહીં પણ આનંદની જેમ જુઓ. અસ્તિત્વને ઉત્સવની જેમ જુઓ અને અનંત ઉજવણી કરો. 
ચાલો, ઉપરોક્ત માહિતી દ્વારા ‘તાઓ’ ધર્મને જાણીએ. તાઓ ધર્મની આ વાતો હું ફરીથી કહીશ.
‘તમારી મિલકત નાની રાખો,
ઇચ્છાને ગરીબ રહેવા દો.
વિદ્વાન હોવાનું મિથ્યાભિમાન છોડો.
પોતાને જીવો – મહાસમર્થ બનો.’
ડો. ભરત દેસાઈ
તા. ૦૮-૧૨-૨૦૨૨

An ophthalmologist by qualification and profession, Dr. Bharatchandra Desai loves reading about history, religion, and spirituality. He has written about them and also about 'Anavils' at length. Read all articles. ડૉ. ભરતચંદ્ર દેસાઈના ગુજરાતી લેખો વાંચવા અહીં ક્લિક કરો.

1 comment:

  1. ♦️સુંદર લેખ.
    જિંદગી જીવવાની કળા: સરળ સંક્ષેપ.
    ગ્રહણ કરવા યોગ્ય ઘણું બધું.

    ReplyDelete

Thank you for your comment!