મારી આત્મકથા - ડો. ભાવના દેસાઈ

આત્મકથા લખવી મતલબ આપણને આપણા જન્મથી અત્યાર સુધીની દરેક હકીકતો તથા પ્રસંગો, અનુભવોની ખબર હોવી જોઈએ. મારી (સંક્ષિપ્ત) આત્મકથા જરાક જુદી લખાશે એવું મને જણાય છે.

શરૂઆત મારા જન્મથી કરીશ. મારો જન્મ ૨૧/૧૧/૧૯૫૦ દિને વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં થયો. મારી માતા ૨૪ વર્ષના હતા. મારા મોટાભાઈ મારાથી ૬ વર્ષ મોટા અને મારી મોટીબેન ત્યારે ૩ વર્ષના. મને ધરાઈને રમાડે અને જોઈને ખુશ થવાના સમયે જ મારા પિતાનું અવસાન થયું. હાર્ટ અટૈક થી. મારી માતા સ્ટ્રોંગ - હિંમતવાળા - સમજી ગયા હતા કે કઈક ગડબડ છે. કારણ હોસ્પીટલમાં લિમિટેડ સગાઓની આવનજાવન અને દીકરીના પપ્પા કેમ આવ્યા નથી એનો અણસાર આવી ગયો હતો. સમાચાર સાંભળી દુ:ખી થયા. રડાય એટલું રડી લીધું. પછી મારા પિતાના વાક્યને સાર્થક કરવા કમર કસી.

મારુ મોસાળ વલસાડમાં નાની મહેતવાડ ફળિયામાં. મારા આજાબાપા ડોક્ટર. મારા દાદાનું ઘર સુરત - કાળામાતાની શેરી. મારા દાદી, મારા નાનાકાકા તથા કાકી બધા જ ઘણા સારા અને પ્રેમાળ, છતાં અમે ત્રણેય બાળકો મોસાળમાં મોટા થયા. કારણ જણાવું - મારા મામા મારી માતાથી ૧૦ વર્ષ નાના. તેઓ મેટ્રીક પાસ થયા બાદ ડોક્ટરી કરવા ઇચ્છતા હતા. એમણે જાતે જ નિર્ણય લીધો કે મારી બેનને (માતાનું નામ ડો. ઈન્દુમતી) મને જે કોઈ મેડિકલ લાઈનમાં એડમીશન મળશે તેમાં જ હું મારી બેનની સાથે જ ભણીશ અને મારી સાથે જ ડોક્ટર બનાવીશ. મારા આજાબાપાને સમજાવી મારા આજીબાએ દાદીને મળવા મોકલ્યા. એમને સમજાવી લીધા અને વિનંતી કરીને અમને ત્રણેય બાળકોને મોસાળમાં ઉછેરવાની તૈયારી બતાવી. વલસાડ લઈ આવ્યા. હું ત્યારે ૬ માસની, મારા ભાઈ બહેન સમજણા એટલે મારા કાકા મારી માતાને ભાભી કહેતા, એટલે તેઓ પણ ભાભી કહેતા. મારી વાત કરું તો હું ૬ માસની હતી ત્યારથી જ મોસાળમાં રહેતી એટલે મામા-મામી-અડોશપડોશ ઈન્દુબેન કહેતા એટલે હું સમજણી થઈ ત્યારે મારી માતાને હું પણ ઈન્દુબેન કહેતી.

મારી બાળપણની ઘણી બધી વાત લખવા માંગુ છું. પરંતુ એવું કઈ બાળપણ મને યાદ જ નથી. પાંચ વર્ષની થઈ ત્યાં સુધીનું કાઈ ખબર નથી. ઘરની નજીક જ બાલમંદિર એટલે મૂકવા લેવા માટે અમારો નોકર વલભો (વલ્લભ) આવતો. મને બરાબર યાદ છે બાલમંદિરમાંથી બાળકોને નજીકની સ્કૂલમાં ૧૫મી ઓગષ્ટના પ્રોગ્રામમાં ગીત ગાવા લઈ જવાના હતા. મારા આજાબાપા પ્રમુખપદે આવવાના હતા એટલે બાપાએ મને સમજાવેલું કે તું સરસ ગાઈને એકશન કરશે તો ઘરે પણ બીજું ઈનામ આપીશ. અરે જવા દો, બાપાના સમજાવ્યાં છતાં ગીતની પહેલી જ પંક્તિની એક્શન કરીને બાપાને બૂમ પાડી સ્ટેજ ઉપર વળગી પડી. મને યાદ છે મારી આજીબાને બાપાએ વાત કરી ત્યારે બા મને વળગીને ખૂબ રડેલા.

ત્યાર પછી તો ૬ વર્ષની થઈ એટલે મને બાજુની જ પ્રાથમિક શાળામાં ભણવા દાખલ કરી. બાજુવાળા માસી એ જ સ્કૂલમાં હતા એટલે શાળામાં મને ગમતું. ઘર જેવુ લાગતું. આજીબા મારી ખૂબ જ કાળજી રાખતા. કારણકે નાનપણમાં જન્મ સમયે મારી તબિયત ખૂબ જ નબળી રહેતી તેથી મારી બાએ મારા દૂધ માટે ગાય રાખી હતી, જાતે જ દોહતા.

સમય જતાં માતા-પિતા વગર હું મોસાળમાં રહી તો બાળમાનસમાં એવું જ અંકિત થયેલું કે મારા સગા જ મારા-બા-બાપા-મામા-મામી. સમજણી થઈ ત્યાં સુધી ઈન્દુબેન મારા માતા એવી સમજ જ નહીં.

Dr Indumati and Children

૮ વર્ષની થઈ ત્યારે મામાના લગ્ન થયા. મારા ભાઈના જનોઈ ત્યારે જ થયા. ત્યારે અમારા ત્રણનો ફોટો સોફામાં બેસીને પળાવેલો. એ ફોટો મારી પાસે હમણાં યાદગીરી રૂપે છે. આ સાથે અગત્યની વાત જણાવું, મારા મામા જયારે મામીને જોવા મુંબઈ ગયેલા ત્યારે વાતચીત દરમ્યાન મામીને જણાવેલું મારા ત્રણ બાળકો છે. તેમને સંભાળવાની તૈયારી હોય તો લગ્ન માટે સમજીને “હા” જવાબ આપશો. મારા મામી મુંબઈના પ્રખ્યાત ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર ધીરુભાઈ દેસાઈના પુત્રી. ઘરના સભ્યોને આશા ના હતી કે મામા આવી વાત કરીને આવ્યા છે તો ફિલ્મવાળાની દીકરી રાજી થશે નહીં. પરંતુ મારા સારા નસીબ ને મારા બા-બાપાના સારા નસીબ કે મને ઘણાંજ પ્રેમાળ અને સમજુ મામી મળ્યા. લગ્નની વાત જણાવું તો ત્યારે પહેરામણીનો રિવાજ માટે મામાના સાસરેવાળા વલસાડ આવ્યા હતા. રામજી ટેકરાના ઘરમાં પહેરામણીનો પ્રોગ્રામ રાખેલો. મારા નાનામાસી (વલસાડના જાણીતા ડો. હીરક દેસાઈના મમ્મી) અને હું બે ગયેલા. અરે હું તો ૮ વર્ષની, પણ જલસો થઈ ગયેલો. બે જ જણા જમતા હોય પાટલા પર બેસીને અને સામે પાટલા ઉપર મોટી થાળી અને માથા ઉપર ૧૦ જણા હાજર, ઉપરા ચાપરી સવાલ! મારું પિયરનું નામ દેવયાની. બધા દેવયાનીબેન-દેવયાનીબેન કરે અને આપણે ખુશખુશાલ!

બા, બાપા, મામા, મામી મારી બધી જ માંગ પૂરી કરતાં. બાપાની પારડીમાં મોટી વાડી - 'દુર્લભજી ની વાડી' કહેવાતી. કેરી, ચીકુ, જાંબુ, દેશી-વિલાયતી આંબલી થતી. હું વાડીએ જવા તૈયાર થતી પરંતુ હંમેશા ના કહેતા કારણે બાપાએ મને સાચવવાની. કારણ રાત્રે વાડીમાં જ રહેતા.

શનિવારે બાપા ચુપચાપ વાડી નીકળી જતાં. પરંતુ કોઈવાર હું બાપાના સેન્ડલ સંતાળી દેતી એટલે મને ફરજિયાત લઈ જવી પડતી. જોકે હું એમને બિલકુલ હેરાન નહોતી કરતી.

સમય જતાં મામાના ઘરે દીકરીનો જન્મ થયો. ૧૯૬૦ માં. ત્યારે પણ મે બાપા સાથે મુંબઈ જવાની જીદ કરી તો બાએ મને કહ્યું કે નાની બહેન માટે કઈંક રમકડું લઈ જવું પડે તો મે મારી અક્કલ પ્રમાણે શો કેસમાં નાની ડિઝાઈન વાળી રંગીન ૨કુલડી હતી તે બાને બતાવીને બાપા સાથે ગઈ જ. મામી ખૂબ ખુશ થયેલા.

ત્યાર બાદ મોટા થતાં ધો. ૮ માં જમનાબાઈ હાઈસ્કૂલ માં ભણવાનું શરૂ કર્યું. બાપા-મામા ડોક્ટર એટલે મને સ્કૂલમાં સારું માન મળતું. બધા જ શિક્ષકો બાપા-મામાને ઓળખાતા.

ઇન્દુબેને ડોક્ટર થયા બાદ મુંબઈ-થાણામાં પણ નોકરી કરી. મારા મમ્મીએ ખૂબ જ મહેનત કરીને બધી પરીક્ષા First Trial માં પાસ કરી. વિચિત્ર સાહેબો સાથે internship કરવી પડી. શરીર કાયમ જ એકવડિયું રહ્યું. જિંદગીમાં એમનું વજન ૩૨ કિલો ઉપર ગયું જ નહીં. થાણા પછી સરકારી નોકરી ઈડર તથા ડભોઈમાં કરી. સાહેબ તરીકેની નામના મેળવી. મારા બાપા-મામાને યોગ્ય ન લાગવાથી સરકારી નોકરી છોડાવી દીધી અને વાપીમાં Lady Doctor તરીકેની પ્રેક્ટીસ ચાલુ કરી.

મે ૧૯૬૭ માં મેટ્રિક પરીક્ષા પાસ કરી. First Class ૬૮% બાપાએ પેંડા વહેંચ્યા. First Class આવી એટલે, બાકી Center Firstના તો ૭૨% હતા. મારા પિતાએ ઇન્દુબેનને આ મારી દીકરીને ડોક્ટર બનાવીશું એવું કહેલું એટલે મામાએ નિર્ણય કરેલો કે બહાર દૂર મૂકવી પડે તો પણ દેવયાનીને ડોક્ટર બનાવવી જ. કારણ ઇન્દુબેનને ૧૮ વર્ષની ઉંમરે મેડિકલમાં ભણવા જવા માટે સામાન બાંધેલો અને સારું માંગુ આવેલું - સરભોણનો ઊંચા ગામનો દીકરો. એટલે સામાન છોડી દીધો, લગ્ન થઈ ગયા. પરંતુ મારા પિતાએ કહેલું કે તારા (ઇન્દુબેન) નસીબમાં ડોક્ટર થવાનું છે. એટલે મારા જન્મ વખતે ઇન્દુબેનને કહેલું કે અમારી દીકરીને ડોક્ટરી ભણાવજે.

હું મેટ્રિક પછી બરોડા Pre-Science ભણવા ગઈ. મહેનત ઘણી જ કરવી પડી કારણ કે પહેલીવાર ઘરથી દૂર અને ગુજરાતી મીડિયમમાંથી સીધા અંગ્રેજી મિડિયમમાં ભણવાનું. ૫૫% થી પાસ થઈ એટલે મેડિકલનો ચાન્સ જ નહીં. તે વખતે ઇન્દુબેન વાપીમાં પ્રેક્ટીસ કરતાં અને દર ગુરુવારે સવારે ૯ થી ૧૨ દમણ દવાખાનું ચલાવતા. એટલે એમને સમાચાર મળ્યા હતા કે ગયા વર્ષથી દમણમાં કોલેજ શરૂ થઈ છે અને દીવ-દમણ-ગોવાની કોલેજમાંથી પાસ થનાર વિદ્યાર્થીને ગોવા મેડિકલ કોલેજમાં એડમિશન મળી શકે છે. Inter-Science દમણમાં કર્યું. વાપી ઇન્દુબેન સાથે રહી. સવારે મારા માટે ચા-નાસ્તો કરે, ડબ્બો કરે અને પછી હું ૮:૨૦ ની બસમાં જવા માટે નિકળું. થોડી રસોઈ બનાવી દવાખાને જતાં. બપોરે દાળ-ભાત શાક ઢાંકી જતાં. હું આવીને જમીને અભ્યાસ કરતી. રાત્રે જ્યારે ઇન્દુબેન દવાખાનું બંધ કરીને આવતા ત્યાર પછી જ ભાખરી-શાક બનાવતા અને અમે સાથે જમતા. દેસાઈવાડમાં ભાડેથી રહેતા તે ઘરના માલિક પણ સારા હતા. મારી કાળજી રાખતા. ઇન્દુબેનને ધરપત આપતા કે અમે છીએ ફિકર કરશો નહીં. મહેનત તો કરી પણ ૬૨% માર્કસ જ આવ્યા. જો કે ક્લાસમાં બીજા નંબરે હતી. મામાએ બધી જ કોલેજ માં ફોર્મ ભરાવેલા. ત્યારે મારા Result બાદ મારા કાકાના મોટા દિકરા વલસાડ આવેલા અને મને ફોર્મ ભરવામાં ખૂબ જ મદદ કરેલી. રાહ જોઈ-જોઈને થાક્યા ત્યારે જુલાઈમાં એડમિશનનો તાર આવેલો. મારા મામી તે સમયે pregnant – ૩૨ weeks. મામી બધી જ ગાડીઓ ચલાવતા. એમની સુજબુજ અને ત્વરિત નિર્ણયથી તે જ દિવસે હું મારા મામાના મિત્ર મુંબઈ રહેતા હતા તેની સાથે પ્લેનમાં ગોવા પહોંચી ગઈ. બે દિવસ પછી મામાના friend મને ગોવા મૂકીને પરત મુંબઈ ગયા. રડવું આવતું ખૂબ જ. ઘરની યાદ આવતી. ભાષાની તકલીફ - ખાવાની તકલીફ - હોસ્ટેલમાં રહેવાનુ. જાતે પોતાનું કામ કરવાનું, આકરું લાગતું એટલે ઘર ખૂબ જ યાદ આવતું. ઘરનો કોંટેક્ટ કરવો હોય તો call book કરાવી exchange માં માંગવો પડતો. રવિવારે 2-3 કલાક ફોન પાસે બેસી રહીએ ત્યારે વાત થાય. પહેલીવાર 6 મહિના પછી ઘરે જવા મળ્યું. વધારે સમય વલસાડ અને 2-3 દિવસ પછી વાપી રહેતી. મેડિકલના કોલેજકાળ દરમ્યાન friends બન્યા તે ડો. ભુપેન્દ્ર પાંચાલ (બીલીમોરા), ડો. નયન ચોક્સી (અમેરિકા), ડો. જ્યોતિ શુક્લ (ગોંડલ) અને ડો. રમેશ (સંજાણ- ડો. સૂર્યકાંત બીલીમોરાના વેવાઈના-વેવાઈ).
 

Final M.B.B.S. દરમ્યાન લગ્નનું નક્કી થયું. રિવાજ મુજબ જોવાનું ગોઠવાયું. વાપીમાં અમારા ઘરે આ સમય દરમ્યાન મારી માતા ઇન્દુબેન ખૂબ જ મહેનત અને સારી પ્રેકટિસથી બંગલો બનાવી શક્યા. જોવાના પ્રોગ્રામ બાદ જવાબ આવ્યો નહીં એટલે અમે સમજ્યા ગોવામાં ભણી છે એટલે વિચાર કરતાં હશે. પરંતુ ડો.ભરતે અમારી મુલાકાત પછી પણ 2-3 છોકરીને chance આપ્યો હતો. હું નસીબદાર, અમારા લગ્ન થયા. મારી internship ચાલુ રહી અને ડો.ભરત ૧૯૭૬માં અમદાવાદ ખાતે D.O.M.S થયા.

૧૯૭૭ ની ૧૯ મેના દિવસે મારી દીકરી વૈશાલીનો જન્મ થયો અમદાવાદમાં. ડો ભરતનો અભ્યાસ ચાલુ હતો એટલે નવસારીમાં મારા સાસુ-સસરા સાથે રહીને ડો. રમાબેનની હોસ્પીટલમાં નોકરી કરી. કારણ મારી દીકરી એના દાદા-દાદી સાથે સારી રીતે રહી શકતી હતી. દીકરી મારે ઘરે લક્ષ્મી થઈને આવી. અમારી સારી પ્રગતિ થતી ગઈ. M.S. થયા બાદ ડો. ભરતે Rotary Eye Hospitalમાં job સ્વીકારી અને મેં પ્રાઈવેટ પ્રેક્ટીસ ચાલુ કરી.

વખત જતાં આંખની પ્રાઈવેટ પ્રેક્ટીસ શરૂ કરવાનો વિચાર આવતા બીલીમોરામાં ડો. ભરતે consulting ચાલુ કર્યું અને મારી અબ્રામા પ્રેક્ટીસ ચાલી.

૧૯૭૯ માં આંખની હોસ્પિટલ ચાલુ કરવાના ઈરાદાથી હું અને મારી દીકરી પણ બીલીમોરા રહેવા આવ્યા. બીલી પાઠશાળામાં રહ્યા અને હોસ્પિટલ પણ પાઠશાળામાં ચાલુ કરી. ખૂબ મહેનત કરી. આ સમય દરમ્યાન મારી friend ભાવિકાએ મને ઘણી મદદ કરી. સમય જતાં બીલી અનાવિલ મહોલ્લામાં રહેવા લાગ્યા.



વૈશાલી બાલમંદિર જવા લાગી ને એના નાના ભાઈ રાહુલનો જન્મ થયો ૧૯૮૧, ૧૬ મે. Complete family. દરમ્યાન ૪-૬ મહિના મેંગુષી માં half-day નોકરી કરી. Wood Polymer Clinicમાં થોડો સમય નોકરી કરી. બાળકો સ્કૂલમાં અભ્યાસ કરતાં હતા. સમય જતાં ગૌહરબાગ વિસ્તારમાં હોસ્પિટલ માટે સારી જગ્યા મળતા આંખની હોસ્પિટલ ગૌહરબાગમાં ચાલુ થઈ અને હું પણ મદદનીશ તરીકે ડો. ભરતની સાથે કામ કરવા લાગી. બાળકોના અભ્યાસમાં મદદ કરતી. ખાવા-પીવાની કાળજી રાખતી સાથે સાથે ESISની તથા LIC ની Medical Officer બની. બાળકો થોડા મોટા થયા એટલે થોડો સમય ગૌહરબાગમાં પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી.

બાળકો મોટા થતાં ગયા. સમય જતાં વાર લાગતો નથી. દીકરી ૮૦% થી SSC pass થઈ અને સુરત Girls Polytechnicમાંથી આર્કિટેક્ટ થઈ. બાદમાં મુંબઈમાં Interior Designerનો અભ્યાસ કર્યો. દીકરો HSC pass કરી લાતુર થી BE (Electronics) અને પૂનાથી ME થયો.
 


દીકરીના લગ્ન કર્યા - હાસકારો થયો. મે અબ્રામા PHCમાં સરકારી નોકરી લીધી. દીકરાનો અભ્યાસ ચાલુ હતો. થોડો સમય અમારો ખરાબ ગયો. પણ અમે બિલકુલ હિંમત હાર્યા નહીં. દીકરાના લગ્ન કર્યા. એના જીવનમાં પણ થોડી તકલીફ આવી. દુ:ખનું ઓસડ દહાડા. સાચી કહેવત. આનંદના દિવસો આવ્યા. દિકરી બરાબર મુંબઈમાં સ્થાયી થઈ અને દિકરા-વહુ પુનામાં સ્થાયી થયા. વહુ M.Pharm થયા બાદ PhD કરીને D. Y. Patil College માં job કરે છે. સાથે એની research પણ ચાલુ છે. દરમ્યાનમા ઘણા publications કર્યા છે અને awards પણ મેળવ્યા છે.

૧૪ વર્ષની સરકારી નોકરી કર્યા બાદ નિવૃત થઈને private practice ચાલુ કરી છે. સમય સારો જાય છે. સેવા કર્યાનો આનંદ છે. બાળકો સુખી છે. પોતપોતાના કામમાં વ્યસ્ત છે ખુશ છે. આનંદથી જિંદગી જીવીએ છીએ. ડો.ભરત practice થી retired થઈ પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવે છે.

લાયન્સ કલ્બ, સિનિયર સિટીઝન્સ ક્લબ, તથા IMA માં કાર્યરત રહીએ છીએ એટલે લોકોના સંપર્કમાં રહેવાથી આનંદ મળે છે. અમારી બંનેની તબિયત સારી રહે છે એટલે અવાર-નવાર નાના- મોટા પ્રવાસો પણ કરીએ છીએ. લોકોને ઉપયોગી થવા પ્રયત્ન કરીએ છીએ.


મારુ કહેવું એટલું જ છે કે જો તમારી તબિયત સારી હોય, તો આપણે જેટલું જીવ્યા તેને ઇશ્વરી આશીર્વાદ સમજી બીજાને સહાય કરવી, મદદ કરવી કે બીજાને માટે જીવી જાણીએ એવું વિચારવું. આપણાં માટે, આપણાં કુટુંબ માટે, આપણાં સગાવાહલા માટે ખૂબ સારું જીવ્યા. હવે આપણે શક્ય હોય તો બીજાને માટે સારું જીવવાનું શરૂ કરીએ તો ખૂબ આનંદ થશે.
નમસ્કાર!

ડો. ભાવના "દેવયાની" દેસાઈ
વીરા ક્લિનિક, વંકાલ, બીલીમોરા




નોંધ : સીનીયર સીટીઝન ક્લબ, બીલીમોરા આયોજીત નિબંધ સ્પર્ધામાં દ્વિતિય ઈનામ વિજેતા ક્રૃતિ




Post a Comment

0 Comments