વહાલનું અક્ષયપાત્ર - પુસ્તક પરિચય

વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકને વિદાય સમયે કદાચ સ્મૃતિ-ભેટ અપાય કે શાળા અને/અથવા વિદ્યાર્થીઓ દ્વારા સારી રીતે મઢાવેલ સન્માન-પત્ર વિદાય સમારંભ વખતે અર્પણ થાય. કદાચ વધુ ઉત્સાહી હોય તો સંભારણું કે પરિચય પુસ્તિકા છાપવામાં આવે છે. પણ વર્ષો પછી 2014 માં સ્ટુડન્ટ રિયુનિયનમાં ભેગા થયેલા 1988 બેચના વિદ્યાર્થીઓ તેમના ગુરુજી માટે એક જીવનચરિત્ર અને વિવિધ પ્રકારના લેખકો-સગા સંબંધીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા લેખકોનું સંકલન કરી 422 પાનાનું પુસ્તક છાપાવે તેવું પહેલીવાર જોવા મળ્યું. ધન્ય છે ગુરુજી મહેશભાઈ અને ધન્ય છે આ સાહસ કરનાર વિરેનભાઈ-જીનાબેન શેઠ અને વિદ્યાર્થીઓ-શિષ્યો!  

“વહાલનું અક્ષયપાત્ર” શીર્ષક બિલકુલ યથાર્થ છે, કારણ અહીં શિષ્યોએ (વિદ્યાર્થી અવસ્થામાં અને ત્યાર પછી જીવનપર્યંત) ગુરૂજીએ વરસાવેલ અનહદ પ્રેમ-આશીર્વાદ અને માર્ગદર્શનનું ઋણ અદા કારવાનો નમ્ર પ્રયાસ આદર્યો છે. મહાભારતમાં શ્રીકૃષ્ણે દ્રૌપદીને આપેલ અક્ષયપાત્રની જેમ જ આ માનવીય અક્ષયપાત્ર ક્યારેય ખાલી થયેલ શિષ્યોને લાગ્યું નથી ત્યારે, ગુરુજી પ્રેમના પ્રતીકરૂપ “વ્હાલનું અક્ષયપાત્ર” શિર્ષક યથાયોગ્ય અને સંપૂર્ણ છે.

કોઈ જાતની કટુતા, ટીકા કે ડંખ વગર નિર્ભેળ પ્રેમ-સરળતા-લાગણી બતાવતા પત્રો અને મુલાકાતો દ્વારા પરિચય આપતી જીવનકથા વાંચવી જ રહી.

ચાલો, પહેલાં આપણે હરેશભાઈ ધોળકિયા સાહેબનો પરિચય મેળવીએ.
  • જન્મ: તા. 30 જૂન 1946
  • પિતા : ચમનલાલ 
  •  માતા : રસિકબાળા
  • મોટાભાઈ : સુધાકર 
  • નાની બહેન : દર્શના
  • પત્ની : વંદનાબહેન - લગ્ન : 1972
  • વ્યવસાય : શિક્ષક, આચાર્ય
  • નિવૃત્તિ : 45 વર્ષે 31 જુલાઈ, 1991 સ્વૈચ્છિક નિવૃત્તિ
  • પ્રિય સ્થળો : જ્યાં હોઉ ત્યાં, મહ્દ અંશે ઘર, સમુદ્રકિનારો
  • પ્રિય વ્યક્તિઓ : સમગ્ર જગતની
  • કુદરતી ઉપચાર (1983થી) અને શીવામ્બુ ચિકિત્સા (1981થી) સક્રિય
  • મુખ્ય શોખ : વાંચન, લેખન, પ્રવચનો, શિબિરો, સંગીત, વિચરવું, અનેક વિષયોમાં જિજ્ઞાસા
પુસ્તકવાંચન મિત્રો શોધી આપે છે, એવું પહેલીવાર જાણ્યું-અનુભવ્યું. મારા સ્નેહી આચાર્યા શ્રીમતી જયશ્રીબેન દેસાઈએ મને “અંગદનો પગ” પુસ્તક વાંચવા આપ્યું. મે સ્વભાવવશ વાંચીને પ્રતિભાવ એમને અને આપશ્રી ને લખી મોકલ્યો. તેનું પરિણામ તે મારા નવા મિત્ર વડીલ શ્રી હરેશભાઈ! (આવા અકસ્માતો ઓછા થતાં હોય છે. કારણ કે સાહિત્યકારો કદાચ આપના જેવા અપવાદ રૂપે જ સાદા રહેતા હોય છે. બાકી તો, થોડુંક નામ થવાથી તેઓ વાચકોના પત્રો વાંચતાં નથી - જવાબ તો બહુ દૂરની વાત થઈ.)

પુસ્તક દ્વારા આપનો પરિચય થયો, પણ ઉંમર સિવાય વધુ વિગતો ન હતી. ત્યારે આપના વિદ્યાર્થીઓ - વિરેન શેઠ અને જીના શેઠ - દ્વારા લખેલ “વ્હાલનું અક્ષયપાત્ર” પુસ્તક દ્વારા વિગતવાર અને સંપૂર્ણ પરિચય થયો.

મારા જીવનમાં ભણતર દરમ્યાન અમિટ છાપ છોડનાર પાંચ ગુરુજીઓને ટેલિગ્રામ, ટેલિફોન કે તે પહેલાં પત્ર દ્વારા હું દર ગુરુપૂર્ણિમાએ પ્રણામ પાઠવતો. તેમના પ્રતિભાવો પણ નિયમિત મળતા. તેઓ ધીરેધીરે વિદાય થયા ત્યારે આપના પુસ્તક પછી આપના વિદ્યાર્થીઓ પ્રત્યે આપે દાખવેલ પ્રેમ જોઈ મને તેમની યાદ તાજી થઈ.

ચાલો હરેશભાઈ વિષેના મંતવ્યો મમળાવીએ!
 
વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો, સગા સંબંધીઓ અને સાહિત્યકારો દ્વારા હરશેભાઈના જીવનની વિશેષતા જ એ કે - એમની પોતાની આગવી શૈલીથી જીવન જીવે. એમનું જીવન બધાથી તદ્દન અલગ. એમની જીવનશૈલી ફક્ત તેમણે જાતે લીધેલા નિર્ણય પર આધારિત. કોઈની સલાહ કે કોઈના આદર્શ કે કોઈના નિર્ણયથી પ્રભાવિત નહીં. એક વખત નિર્ણય લીધો પછી એમાં કોઈ ફેરફારની શક્યતા નહીં. (૭૭, નાના બહેન ડો.દર્શના

તેમને હું ‘મિનિ ગાંધીજી’ કહું, કારણકે એમણે એમની સમાજલક્ષી પ્રવૃત્તિ, વિચાર લેખન અને શિક્ષણ, ભલે કૌટુંબિક જીવનના ભોગે પણ ચાલુ રાખી છે. અને તે પણ જિંદગીના આઠમાં દાયકા સુધી જરાપણ ચલિત થયા વિના. (૭૭

મરતી વેળા હું કશી બચત ધરાવતો ન હોઉં તેથી શું? કદાચ કફન જેટલા રૂપિયા મારી પાસે ન હોય તો તેની ઉપાધિ પણ મારે શા માટે કરવી? (૩૯૮

૪૫ વર્ષે સ્વૈચ્છિક નિવૃતિ સ્વીકારનાર હરેશભાઈ-સવેતન શાળા-શિક્ષક મટીને અવેતન લોકશિક્ષક તરીકે અનૌપચારિક શિક્ષણમાં મસ્ત. (૩૯૯

સ્વભાવે શરમાળ અને ભણતરમાં સાધારણ પણ બાળપણથી વાચન ઝનૂન એવું કે રોજની એક ચોપડી તો વાંચે જ વાંચે. (૩૯૯

અલીયાબાડાની દરબાર ગોપાલદાસ શિક્ષણ મહાવિધ્યાલયમાં પ્રખર પૃચ્છક (પ્રશ્ન કરનાર) તરીકે પંકાયા. (૪૦૧

વિદ્યાર્થીઓ અને પ્રૌઢોને જાતીય શિક્ષણ વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક રીતે આપ્યું. 

સ્વભાવે નાળિયેર જેવા કઠોર અને કોપરાં જેવી મીઠાસ ધરાવતા હરેશભાઈ આનંદના ભાવ ઉછળીને ન બતાવે, જેથી કોઈવાર લાગણીશૂન્ય લાગે. 

Crystal Clear Personality - પારદર્શી વ્યક્તિત્વ: એમને તમે સોંસરવા જોઈ શકો અને છતાં કહી પણ ન શકો એવા અભેધ. 

વસ્તુને અને વ્યક્તિને ખુલ્લા દિલથી સ્વીકારે, પૂર્વગ્રહ થી નહીં. તેમણે પોતાની શાલીનતા-તાજગી કદી છોડી નથી. (૭૯

એ ટોળાંના માણસ નથી, પણ one-to-one સંબંધોના માણસ છે. 

સંબંધોની વ્યાખ્યાની બહાર જીવનારો માણસ છે અને ચોકઠાની બહાર (Out of Box) વિચારનારો માણસ છે. (૭૯

હરેશભાઈ તેમની તર્કશીલ બાહ્યપ્રતિભા નીચે એક સંવેદનામય લાગણીઓ ધરાવતો વ્યક્તિ છે. (૮૨

પરિવારમાં સૌ એકબીજાને મૂક રીતે ચાહતા. કોઈ દેખાડો નહીં. બસ માત્ર ચાહવું એજ પરસ્પરનો એકમાત્ર સ્વધર્મ. ટાંચા સાધનો, આર્થિક સંક્રામણ, સંયુક્ત પરિવાર, અને જીવનની ગુંચો- આ બધા વચ્ચે અમારું બાળપણ વીત્યું. (૮૫, બહેન દર્શના)

હરેશનું જીવન તદ્દન અંતર્મુખી, નીરવ, અવધૂત સમું રહ્યું. સંસારની ભરમારોથી દૂર, એકલપંડ, પણ તેમનું શિક્ષકત્વ પ્રભાવક રહેવાથી તેનો પ્રભાવ ખૂબ વિસ્તર્યો. (૮૭

કાકા કહે કે કોઈપણ બાબત માટેનું કારણ હોય જ. એ શોધી લેવું તો કોઈ નકારાત્મક લાગણી નહીં અનુભવાય. પછી એ કોઈ બીક હોય કે કોઈ માટેનો પૂર્વગ્રહ. (૮૧, ભત્રીજી ઉત્કંઠા

હરેશભાઈ ક્યાંય બંધાતા નથી. કોઈ ગુરુની કંઠી પહેરી નથી. પણ અનેક ગુરુઓની સાધના જાણી છે – સમજી છે અને સમાજમાં લેખો દ્વારા પહોંચાડી છે. (૧૦૫

“કચ્છમિત્ર” દૈનિકમાં કચ્છ વિષે ૪૦ વર્ષથી અભ્યાસપૂર્ણ લેખોનાં લેખક. (૧૦૭

તેઓ ચિંતકની ચિત્તવૃત્તિને પણ મઠારે એવા વિચારક છે. (૧૧૦

ધર્મમાં શ્રદ્ધા માનવું-ન-માનવું વગેરેમાં ફસાયા વગર પોતાની આંતરિક વૃતિઓને જ હંમેશા ચકાસવાનુ કહે. ગમે તે કરીને મૂળ ઉદ્દેશ્ય “જાગૃતિપૂર્વક જોવું” જ હોવો જોઈએ. (૧૪૭, Awareness)

શ્રી શંકરાચાર્ય રામકૃષ્ણ પરમહંસ, વિવેકાનંદ, ગાંધીજી, વિનોબાભાવે, મહર્ષિ અરવિંદ, રમણ મહર્ષિ, જેવા અનેક મહાપુરૂષોએ હરેશભાઈને ગૃહસ્થાશ્રમી સાધુ બનાવ્યા. શિક્ષણ માટેનો ભેખ લેવડાવ્યો અને સમાજના બાળકોને જ પોતાના સંતાન બનાવ્યાં. (૧૫૧

મૌજ કરો નહીં - મોજ માં રહો! (૧૪૩

સાલું આમને આંખમાં ક્યાક વાંધો હશે કે શું? બધામાં સારું જ દેખાય છે. ખરો માણસ છે, નહીં? 

જેમના સુખનો આધાર વ્યક્તિ, ઘટના કે સ્થળ પર ન હોય તે સુખી વ્યક્તિ. 

જેનું તંત્ર “સ્વ” પર હોય તે સ્વતંત્ર. સ્વતંત્ર વ્યક્તિ જ સુખી. (૧૮૦

હરેશભાઈ એક હરતી ફરતી યુનિવર્સિટી છે, એમ કહીએ તો ખોટું નથી. તેઓ જે કામ ઉપડે તેમાં મંડ્યા રહે અને પૂર્ણતાને પ્રગટાવે. (૧૩૪

ઘણાબધા સાહિત્ય પ્રકારો એમણે ખેડયા છે, અનેક ક્ષેત્રોમાં એમની સેવાની સુગંધ પ્રસરી છે. વિવિધ વિધ્યાઓમા ચાંચ ડુબાડી છે. અને કંઈકેટલાના પથદર્શક બન્યા છે. તેથી હરફનમૌલા સાબિત થયા છે. (૧૩૬

હરેશભાઈ હંમેશા કહે, લખતા રહો. લખતા રહો, એક દિવસ તમારું નામ પણ આગળ હશે, હશે અને હશે જ. (૧૨૫

વડોદરાની બાજુના મુનિ આશ્રમ, ગોરજમાં અનુબેનને તેમના બ્રહ્મચર્ય અને સેક્સ વિષે સવાલ પૂછેલા. (૧૧૮

હવે પછીની તેમની યાત્રા - પ.પૂ.ધ.ધુ.(પરમપુજ્ય ધર્મ ધુરંધર) બનવા તરફની દેખાય રહી છે. (૧૧૮)

હરેશભાઈ ધોળકિયાનો સ્વ-પરિચય
: (પોતે આપેલો પરિચય)
  • ભણવામાં હું તદ્દન નબળો હતો. મારા બધા મિત્રો અતિ હોંશિયાર. માત્ર હું જ ભયંકર ઠોઠ. (સફળ શિક્ષક, આચાર્ય, પ્રસિદ્ધ લેખક, અને પ્રભાવશાળી વક્તા તરીકેની નામના થયા પછી હરેશભાઈની નમ્રતા જ આવું સ્વીકારી શકે.)
  • છોકરીઓ ખૂબ ગમતી. તે સન્યાસી થવા દે એમ ન હતું. એટલે લગ્ન કરવાનું નક્કી કર્યું. (પારદર્શક પ્રમાણિક્તા - નિર્દમ્ભ ખુલ્લાપણું હોય તો જ આ વાત કારણ સ્વરૂપ પ્રદર્શિત કરી શકાય.)
  • શિક્ષક તરીકે “ચારસો ટકા આનંદ”! આજનાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે એવો જ પ્રેમ તેમના પ્રત્યે ઉભરાઈ આવે છે. વિદ્યાર્થીઓ જ મારા સંતાન રહ્યા છે અને આજે પણ છે. (આદર્શ શિક્ષક અને ગુરુ-શિષ્યના સંબંધની આ ઊંચાઈ વિદ્યાર્થીઓને નસીબથી જ મળે. આવા આદર્શ શિક્ષકને રાજ્ય કે રાષ્ટ્રીય સન્માન એટલે વિદ્યાર્થીઓનો પ્રેમ.)
  • નિવૃત્તિ પછી ૨૯ વર્ષથી મોટા ભાગે ઘરે રહીને જ કામ કરેલ છે. મુખ્ય પ્રવૃત્તિ લખવું-વાંચવું જ રહી છે. ઉપરાંત પોતા સાથે સમય ગાળું છું. હરું છું. ફરું છું. મજા કરું છું. (વરિષ્ઠ નાગરિક ૭૪ માં વર્ષે આનંદપૂર્વક પ્રવુત્તિમય દિવસ અને તેથી જીવન જીવે - એજ એમનો ઉપદેશ.)
  • If You Love What You Are Doing, You Will Be Successful. તેમણે આ વાક્ય પોતાના જીવનમાં ચરિતાર્થ કરીને નેત્રદિપક સફળતા મેળવી છે.
૪૨૨ પાનાનાં પુસ્તકનો સાર અથવા પુસ્તક પરિચય ટૂંકમાં લખીએ તો પણ લાંબો જ થઈ જાય એટલે કથાવસ્તુની વિગતો સમાવી શકાય. જીવન ઝરમરમાંથી વ્યક્તિનો પ્રાથમિક પરિચય થઈ જાય – પછી વધુ સમાવવાના લોભને મેં છોડીને કલમને વિરામ આપવાનું નક્કી કર્યું. આશા છે હરેશભાઈ ધોળકિયાનો ઓછો પરિચય મેં અહી સમજાવ્યો છે – વધુ ઉત્કંઠા જાગે તો પુસ્તક વાંચવા સિવાય છૂટકો નથી.





વહાલનું અક્ષયપાત્ર
  • પુસ્તકનું નામ: વહાલનું અક્ષયપાત્ર
  • સંપાદન : જીના શેઠ, વિરેન શેઠ
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૦૮-૦૮-૨૦૨૦
  • વર્ષ : ૨૦૧૯
  • પાનાં : ૪૨૨
  • પ્રકાશન : સંસ્કાર સાહિત્ય મંદિર, અમદાવાદ

Post a Comment

0 Comments